- સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મળશે દિવાળી ભેટ
- સસ્તો પ્રવાસ અને પર્યાવરણની જાળવણી થશે
- રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે
- ટ્રાફિક સમસ્યા હળવી બનશે
સુરતઃ વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રો-પેક્સ ફેરી સેવા વડાપ્રધાન તરફથી દિવાળીની ભેટ સાબિત થશે. 8 નવેમ્બરે હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનું વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જોકે આ લોકો પોતાના મૂળ વ્યવસાય ખેતી અને વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકનો માર્ગ પ્રવાસ કરવો પડે છે. ત્યારે રો-પેક્સ સેવાને કારણે આ પ્રવાસ માત્ર 4 કલાકનો થઇ જશે.
PM મોદીએ કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ
વળી, લોકો પોતાની સાથે તેમના વાહનો પણ તેમના વતન લઇ જઈ શકશે. જે આ પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તો રવિવારે વડા પ્રધાન મોદી દ્વારા લીલી ઝંડી બતાવી ફેરી સર્વિસનું લોકાર્પણ કરાયુ હતું.
રો-પેક્સ ફેરી દિવસમાં કેટલી ટ્રીપ કરશે ?
આ રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ પ્રવાસીઓ, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની હેરાફેરી શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે. જે ઘટીને જળ માર્ગ પર માત્ર 90 કિમી જેટલું રહેશે.
રો- પેક્સમાં પ્રતિ દિવસ ઈંધણનો ઉપયોગ
રો- રો પેક્સ ફેરીથી ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9 હજાર લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ 3 ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન 24 એમટીકાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.
સુરત-સૌરાષ્ટ્ર વચ્ચેનો પ્રવાસ સસ્તો અને સરળ બનશે
આ ફેરીની સેવાથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળશે. આથી સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા રોજગારીની નવી તકો ઉભી થશે.
પ્રવાસન ઉદ્યોગને વેગ
રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનશે. આથી લાંબુ અંતર કાપી આવનારા પ્રવાસીઓ સૌરાષ્ટ્રના પ્રવાસે સરળતાથી આવી શકશે. તો પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે.
સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે. આથી સૌરાષ્ટ્રને રો-પેક્સ દ્વારા એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવાએ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.