આ વર્ષે સમગ્ર રાજયમાં ભારે વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે વરસાદની વિદાયનો સમય છે પણ હાલ જોતા એવું લાગી રહ્યું છે કે, ચોમાસુ હજુ હમણાં જ બેઠું છે. સમગ્ર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. જેમાં શાકભાજી, ડાંગર, કપાસ, મગફળી, મગ, સોયાબીન જેવા પાકોને ભારે નુકશાન થયું છે.
કુદરતી આફતે સર્જી તારાજી, પાક નિષ્ફળ જતા જગતનો તાત લાચાર - Farmers in trouble
સુરત: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ચાલુ વર્ષે ૨૨૨ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. ભારે વરસાદને પગલે ખેડૂતોના વાવેલા પાક નેસ્ત-નાબૂત થઈ ગયા છે. જેને પગલે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
આ સમય ડાંગરની કાપણી કરવાનો છે પણ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ડાંગરના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે, જે ડાંગર બચ્યા છે તેને પણ રોગ લાગી ગયો છે. જેને કારણે વેપારી પણ આ ડાંગરના સારા ભાવ આપશે નહીં. જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે.
ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં શેરડી વાવવાનો સમય છે. પરંતુ, વરસાદને કારણે શેરડીનો પાક એક મહિનો પાછળ ઠેલાશે, જેને લઈ શેરડીના પાક લેતા ખેડૂતોને પણ નુકશાન થશે. ઉત્તર ગુજરાતમાં મગફળી અને કપાસ જેવા પાકો પર સરકાર વીમો આપે છે. પરંતુ, દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આવી કોઈ સુવિધા નથી, તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આવો અન્યાય કેમ?