બારડોલી : મહુવા ખાતે આવેલી બ્રાહ્મણ સમાજની વાડી અસ્મિતા ભવન ખાતે આયોજિત ‘સાત પગલાં આકાશ ખેડૂત કલ્યાણ’ના કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે 12 જેટલા ખેડૂત લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2018-19 ના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા તાલુકા કક્ષાના આઠ અને જિલ્લા કક્ષાના બે પ્રગતિશીલ ખેડૂતોને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ભારત દેશમાં ધરતી અને ગાયને માતા તેમજ ખેડૂતને જગતના તાતની ઉપમા આપવામાં આવી છે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ‘સાત પગલા ખેડુત કલ્યાણ’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકારે સાત મહત્વની કૃષિ યોજનાઓ બનાવી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટેની ખેડૂત કલ્યાણના સાત પગલા પૈકી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજના લાગુ કરી રાજ્યનો ખેડૂત ઝીરો બજેટની ખેતી કરતો થાય એવું નક્કર આયોજન કર્યું છે.
રાજય સરકારે લીધેલા ખેડૂત હિતલક્ષી પગલાઓનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20 દરમિયાન સુરત જિલ્લાના 46 હજારથી વધુ ખેડૂતોને રૂપિયા 17.67 કરોડની કૃષિ યોજનાકીય સહાય આપી છે. જ્યારે જિલ્લા પંચાયતની સ્વ ભંડોળ યોજના હેઠળ 1700 થી વધુ ખેડૂતોને રૂપિયા 1.20 કરોડની સહાય ચૂકવાઈ છે. જ્યારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા 1174 ખેડૂતોને રૂપિયા 8.86 કરોડની ડ્રિપ અને માઈક્રો ઇરિગેશન સહાય આપવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલાં નુકસાનની ભરપાઈ કરવા સુરતના65,334 ખેડૂતોને 63 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.