સુરતઃ સુરત SEZમાં ડાયમન્ડના 8 એકમો શરૂ કરવામાં આવ્યા છે. સુરતના હીરા બુર્સમાંથી 10 શિપમેન્ટની નિકાસ કરવામાં આવી છે. આ સાથે હોંગકોંગની એર કનેક્ટિવિટી મુજબ બીડીબીમાં ફસાયેલા ડાયમંડના પાર્સલોને મુક્ત કરાવવા સુરત જિલ્લા કલેક્ટરને જીજેઇપીસી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલ મોટા ઓર્ડર મળવાના કારણે ઉદ્યોગપતિઓ ચાર્ટડ પ્લેન મારફતે સુરતથી મુંબઈ ડાયમંડ જવેલરી મોકલી રહ્યાં છે.
લોકડાઉન વચ્ચે ચાર્ટડ પ્લેનથી પ્રથમવાર સુરતથી ડાયમન્ડ જ્વેલરી એક્સપોર્ટ શરૂ આ અંગે ધી જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રીજીનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 20 એપ્રિલ 2020થી જીજેઇપીસી સતત કસ્ટમ અધિકારીઓ સાથે સંપર્કમાં રહી અને સુનિશ્ચિત કર્યું છે કે, સુરતથી સત્વરે નિકાસ શરૂ થાય. હીરા બુર્સથી પહેલા 10 શિપમેન્ટની નિકાસ કરવામાં આવી છે અને ફ્લાઇટ દ્વારા સુરત મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ઉદ્યોગની નિકાસ શરૂ કરવા સક્ષમ બનાવવા માટે હોંગકોંગ કનેક્ટિવિટી મુજબ આ અઠવાડિયામાં એક કે બે વખત સુરતથી મુંબઈ નિકાસ પાર્સલ ટ્રાન્સફર કરવા માટે જીજેઇપીસી એજન્સીઓ સાથે વધુ સંકલન કરી રહી છે. આ સાથે જીજેઇપીસી હવાઈએ માર્ગ દ્વારા સુરતથી મુંબઈ નિકાસ હેતુ માટે આંતર રાજ્ય પરીવહનની પરવાનગી આપવા માટે પણ જિલ્લા અધિકારીઓ સાથે સંકલન કરી રહીં છે.
સુરત શહેરમાં પણ SEZ ખાતે ડાયમન્ડના 8 એકમો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા આઠ મહિનાથી ડાયમંડ ઉદ્યોગમાં આર્થિક કટોકટીની સ્થિતિ ઊભી થઈ હતી. કારણ કે, હોંગકોંગમાં સતત જે આંદોલનની પરિસ્થિતિ ઉભી થઈ હતી, તેના કારણે સુરતથી જતાં ડાયમંડના જ્વેલરીને દેશના એરપોર્ટ પર જ સિઝ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં પણ આર્થિક ભીંસના કારણે એક્સપોર્ટ થઈ શક્યું નહોતું અને આ વચ્ચે વિશ્વભરમાં કોરોનાની પરિસ્થિતિના કારણે વેપાર ઠપ થઇ ગયો હતો અને ભારતમાં પણ કોરોનાની અસર દેખાતા લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી વેપાર કરી શકાય એમ નહોતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં સુરતના SEZ ખાતે આઠ એકમો શરૂ થયા છે અને આશા છે કે, આવનારા દિવસોમાં ફરી એક વખત ઉદ્યોગ ધમધમી જશે.
પોતાના હીરા ઉદ્યોગના કારણે વિશ્વભરમાં ચમક ધરાવનારા સુરત શહેરની ચમક કોરોના વાઇરસના કારણે જાણીતી થઇ હતી, પરંતુ હાલ ચીનમાં પણ કોરોના વાઇરસની અસર ખૂબ જ ઓછી થઈ છે અને ભારતમાં પણ લોકડાઉન 3.0માં છૂટછાટ મળે એ આશાથી ફરી એક વખત વેપાર શરૂ થવાની આશા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કરી રહ્યા છે. અત્યાર સુધી પંદર હજાર કરોડથી વધુનો વેપાર ઠપ થયો છે.