- મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા રૂપિયા 2.52 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમૂર્હત
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું સંબોધન
- ઇન્ફ્રાસ્ટ્રકચર-સુવિધાઓ આપીને પોલીસ દળનું મનોબળ વધાર્યુ
રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સામાન્ય માનવીને ન્યાય મળે, છેવાડાનો માનવી પણ નિર્ભયતાથી જીવે અને વિકાસ કરે તેવી ભાવનાથી રાજ્યના પોલીસતંત્રને સમાજ વિરોધી તત્વો, ગૂંડાઓ, ચેનસ્નેચર્સ, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કે ગૌવંશ હત્યા કરનારાઓ સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
મુખ્યપ્રધાન રૂપાણીનું સંબોધન
- આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ નિયંત્રણ, ઇન્ટરનલ સિકયુરિટી, આતંકવાદ વિરોધી દળ વગેરેથી પોલીસદળને છેલ્લા 4 વર્ષમાં સુસજ્જ કરી પ્રજાજીવનમાં શાંતિ, સલામતિ, સુરક્ષિતતાનો કોલ આપણે સૌ કોઇએ સાથે મળીને આપ્યો છે. રાજ્યની વિકાસ યાત્રાને શાંતિ-સલામતિ સાથે સોળે કળાએ ખિલવવી છે.
- મુખ્યપ્રધાન ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ એસ.આર.પી ગૃપ-13 ઘંટેશ્વર રાજકોટમાં રૂપિયા 2.52 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આર્મ્સ-એમ્યુનેશન બિલ્ડીંગ, કંપની સ્ટોર તથા કિચન બ્લોક વગેરેના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. અન્ન-નાગરિક પૂરવઠાપ્રધાન જયેશભાઇ રાદડીયા, રાજકોટના મેયર બિનાબહેન કાર્યક્રમ સ્થળેથી તેમજ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, ગુજરાત પોલીસ આવાસ નિગમના એમ.ડી અને એ.ડી.જી.પી. હસમુખ પટેલ ગાંધીનગરથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
- મુખ્યપ્રધાને પોલીસ સેવા અન્ય વિભાગો કરતા વિશિષ્ટ અને જુદી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિવસ-રાત સતત ખડેપગે કામ તેમજ પ્રજાના જાન-માલ, કાયદો વ્યવસ્થાની જાળવણી કરતા આ કર્મીઓને સ્ટ્રેસફૂલ લાઇફ, તણાવમુકત જીવન માટે તેમને સગવડતાભર્યા મોકળાશ વાળા 2 BHK આવાસો, નવા અદ્યતન પોલીસ મથકો અને ટેકનોલોજીના સૂમેળ સાથેની સેવાઓના અનેક પ્રકલ્પો આપણે સાકાર કર્યા છે. ગુજરાત પોલીસ આવાસ નિગમ દર વર્ષે આવા 10 હજાર જેટલા આવાસો બનાવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
- તેમણે કહ્યું કે, સુદ્રઢ કાયદો વ્યવસ્થાને વિકાસની પૂર્વશરત ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ભૂતકાળમાં કાયદો વ્યવસ્થાના નામે ગુજરાતની હાલત કથળેલી હતી. રાજ્યના ઇલાકાઓ નામચીન તત્વોના નામે ઓળખાતા હતા.
ગાંધી-સરદાર-નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સંગીન
- તેમણે વધુમાં કહ્યું કે, આપણે હવે, ગાંધી-સરદાર-નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સંગીન બનાવી લોકોને સુરક્ષા-સલામતિનો અહેસાસ આપ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. આપણે કાયદાઓ કડક બનાવવા સાથે તેમાં સુધારાઓ પણ કરતા જઇએ છીએ. ગૂંડા તત્વો, પ્રજાને રંજાડનારા લોકો, ગૌવંશ હત્યા કરનારા, ચેનસ્નેચીંગ જેવા કૃત્યો કરનારા છૂટી ન જાય તેમને કડકમાં કડક સજા થાય તેવી નેમ સાથે શાંત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાતના મંત્રથી કાર્યરત છીએ.
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતીને કારણે લોકો પોતાના ધંધા-વ્યવસાયનો વિસ્તાર વધારવા ઇચ્છતા ન હતા. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાંતિ-સલામતિ એવી સુદ્રઢ બનાવી કે ગુજરાત હુલ્લડમુકત બન્યું, ભાઇચારા-સદભાવનાની ભાવનાથી અપિઝમેન્ટ ટુ નન જસ્ટીસ ટુ ઓલ સાથે ગુજરાત પોલીસની પ્રતિષ્ઠાએ દેશમાં આગવી ઇમેજ ઉભી કરી છે.
- મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, આપણે સુરક્ષા-સેવા કર્મીઓને ઉત્તરોત્તર વધુ ઇન્ફ્રાસ્ટ્રકચર-સુવિધાઓ આપીને પોલીસ દળનું મનોબળ વધાર્યુ છે. તેમણે હાલના કોરોના સંક્રમણ કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોતાના જીવના જોખમે પણ પ્રજાની રક્ષા કરનારા પોલીસ-એસ.આર.પી કર્મીઓની સેવાઓને અભિનંદન પાઠવ્યા હતા.
- મુખ્યપ્રધાને રાજ્યમાં ભાવિ પેઢીની સુખ-સમૃદ્ધિ શાંતિ-સુરક્ષા માટે પોલીસદળ ઉત્કૃષ્ટ દાયિત્વ-જવાબદારી નિભાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. હથિયારી એકમોના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ.પી.કે. રોશને સ્વાગત પ્રવચનમાં આ નવી સુવિધાઓની ભૂમિકા આપી હતી.