ગુજરાત

gujarat

By

Published : Oct 20, 2021, 7:32 AM IST

ETV Bharat / city

આજે શરદ પૂનમનો ધાર્મિક તહેવાર, જાણો દૂધ અને પૌવાને આરોગવાનું ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ

આજે શરદ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવશે. શરીરના ત્રણેય તાપને હરનારી શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની શીતળતા પ્રાપ્ત કરવાની ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ જોવા મળે છે. ઋષિ કાળના સમયથી આજના દિવસે ગાયનું દૂધ, પૌવા અને ખડી સાકરને ચંદ્રની શીતળ છાયામાં રાખવાથી સ્વર્ગ લોકોમાંથી વરસતું અમૃત ચંદ્રના પ્રકાશ થકી દૂધ પૌવામાં સામેલ થાય છે. જેને કારણે દૂધ પૌવાને આરોગનાર પ્રત્યેક વ્યક્તિ દીર્ઘ આયુષ્યની સાથે રોગ મુક્ત પણ બને છે અને ચંદ્ર જેવી શીતળતા પણ પ્રાપ્ત કરે છે. જેને કારણે ઋષિ કાળના સમયથી શરદ પૂનમના દિવસે ચંદ્રની છાયામાં રાખવામાં આવેલા દૂધ પૌવાને આરોગવાની સાથે આરોગ્યનું પણ મહત્વ જોડાયેલું છે. જેથી આજના દિવસે દૂધ અને પૌંઆને પ્રસાદ રૂપે આરોગવાની વિશેષ પરંપરા આદિ- અનાદિ કાળથી ચાલતી આવતી જોવા મળે છે.

Junagadh sharad punam
Junagadh sharad punam

  • આજે શરદ પૂનમનો ધાર્મિક તહેવાર મનાવવામાં આવશે
  • શરીરના ત્રણેય તાપને શાંત કરનારી શરદ પૂર્ણિમાના દિવસે આરોગ્ય પ્રાપ્ત કરવાનું છે વિશેષ મહત્વ
  • શરદ પૂનમના દિવસે ગાયનું દૂધ અને પૌવા આરોગવાનું છે આરોગ્યની સાથે ધાર્મિક મહત્વ

જૂનાગઢ: આજે શરદ પૂનમનો તહેવાર મનાવવામાં આવશે. ઋષિ કાળથી શરદ પૂનમનો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉત્તમ આરોગ્ય માટે ઉજવવાની પરંપરા ચાલતી આવી છે, જે આજે પણ જોવા મળે છે. વર્ષ દરમિયાન આવતી 12 પૂનમ પૈકી શરદ પૂનમનું ધર્મની સાથે આરોગ્ય સાથે પણ વિશેષ જોડાણ જોવા મળે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો જોવા મળે છે. આજના દિવસે ચંદ્રમાંથી વરસતી શીતળતા કોઈ પણ વ્યક્તિને ખુબ જ આરોગ્યપ્રદ બનાવે છે, જેને લઇને શરદપૂનમના દિવસે ચંદ્રની શીતળતામાં રાખવામાં આવેલા ગાયના દૂધ, પૌવા અને ખડી સાકરને પ્રસાદના રૂપમાં આરોગવાથી ધર્મની સાથે આરોગ્યનું પણ રક્ષણ થાય છે. તેથી શરદ પૂનમના દિવસે દૂધ- પૌવા આરોગવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. સૌપ્રથમ વખત માતા યશોદાએ ભગવાન શ્રીકૃષ્ણને શરદ પૂનમના દિવસે દૂધ- પૌવાનો પ્રસાદ આરોગવા માટે આપ્યો હતો, ત્યારથી શરદ પૂનમના દિવસે દૂધ અને પૌવાનો પ્રસાદ આરોગવાનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે.

આજે શરદ પૂનમનો ધાર્મિક તહેવાર, જાણો દૂધ અને પૌવાને આરોગવાનું ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ

શરદ પૂનમના દિવસે કૃષ્ણ દ્વારા રચવામાં આવેલી રાસલીલાનું પણ છે મહત્વ

શરદ પૂનમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનો પ્રસંગ પર જોડાયેલો છે. ધર્મ ગ્રંથોમાં જોવા મળતી ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની રાસલીલા થકી હજારો ભક્તોને હરિહરના દર્શન કરાવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત એવા ભક્ત કવિ નરસિંહ મહેતાને પણ આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના સન્મુખ દર્શન થયા હતા. તેથી શરદ પૂનમની વિશેષ ધાર્મિક માન્યતા પણ જોવા મળે છે. પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ અને તેજસ્વી જોવા મળે છે. વર્ષ દરમિયાન 12 જેટલી પૂનમ આવતી હોય છે પરંતુ ધર્મ અને આરોગ્યની દ્રષ્ટિએ આસો મહિનામાં આવતી શરદ પૂનમનું વિશેષ ધાર્મિક મહત્વ પણ આલેખવામાં આવ્યું છે. ચ્યવન ઋષિને ઔષધી અને આરોગ્યના પાઠ પણ અશ્વિનીકુમારોએ આજના દિવસે જ્ઞાન આપ્યું હતું, તેથી પણ શરદ પૂનમનો વિશેષ મહત્વ જોવા મળે છે.

ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે સ્વર્ગ લોકમાંથી ચંદ્ર મારફતે અમૃતની વર્ષા થતી હોય છે

ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂનમના દિવસે સ્વર્ગ લોકમાંથી ચંદ્ર દ્વારા અમૃતની વર્ષા પણ થતી હોય છે, તેથી પણ શરદ પૂનમના તહેવારને ખૂબ જ ધાર્મિક આસ્થા સાથે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર રૂપે પણ માનવામાં આવે છે. કૃષ્ણ સોળે કળાએ નિપુણ માનવામાં આવતા હતા, તેથી આજના દિવસે રાસલીલાનું પણ એટલું જ મહત્વ આલેખવામાં આવ્યું છે. શરદ પૂનમના દિવસે શરુ કરેલું કોઈ પણ કામ તેની પૂર્ણતા સુધી પહોંચે છે તેમજ પૂનમના દિવસે દૂધ પૌવા અને સાકર સાથે આરોગવાથી શરીરના ત્રણેય દોષોને શાંત કરવામાં પણ શરદ પૂનમ વિશેષ મહત્વ ધરાવે છે.

રાસ એટલે જીવની જગદીશ સાથે રસમય આત્મીયતા રાસ એટલે પ્રભુ પ્રત્યેનો અલૌકિક નિષ્કામ પ્રેમ

આપણી પરંપરાની છ ઋતુઓનું મહત્વ અનોખું છે. એમાં પણ છેલ્લી ઋતુ એટલે શરદ ઋતુ ખુબ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન આવતી પ્રથમ પૂર્ણિમાને ભારત વર્ષમાં આ શરદપૂર્ણિમા તરીકે શ્રદ્ધાભક્તિથી ઉજવવામાં આવે છે. આ પાવનકારી દિવસે લક્ષ્મીજી પ્રસન્ન થઈ પૃથ્વી પર વિચરણ કરે છે અને જાણે છે કે આ લોકમાં કોણ જીવનમાં આધ્યાત્મિક રીતે જાગૃત છે, તેથી તેને કો જાગૃતિ એટલે કે કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. આસો સુદ પૂર્ણિમાનું માહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલું છે. શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે નિધિવનમાં આજના દિવસે રાસલીલા રચી હતી એટલે આ દિવસને વૈષ્ણવો રાસલીલાની રાત તરીકે પણ ઉજવે છે. આ ઉત્સવનું માહાત્મ્ય શ્રીમદ્ ભાગવત પુરાણના દશમ સ્કંધનાં રાસપંચાધ્યાયમાં કહ્યું છે. રાસ એટલે જીવની જગદીશ સાથે રસમય આત્મીયતા રાસ એટલે પ્રભુ પ્રત્યેનો અલૌકિક નિષ્કામ પ્રેમ.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ શરદ પૂર્ણિમાને વિશેષ મહત્વ આપવામાં આવે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રએ મનના દેવતા છે. સોળે કળાએ ખીલેલા ચંદ્રમાં મનને સાત્વિક પ્રસન્નતા અને સકારાત્મકતા આપે છે. ચંદ્ર કિરણો શીતળતા તથા ઔષધિય ગુણોનું કામ કરે છે તો સાથે સાથે પ્રકૃતિના ઔષધીય ગુણો ધરાવતા લતા વેલી કે વૃક્ષોને એના ગુણનું સિંચન પણ ચંદ્રના કિરણો દ્વારા જ થાય છે. વર્ષાઋતુમાં નવા ઉગેલા છોડ વગેરેમાં સંપૂર્ણ ઔષધીય ગુણ આજની રાત્રિ દરમિયાન વિશેષ રોપાય છે એટલે જ આપણે ત્યાં ખુલ્લામાં સાકર તથા ખીર મુકવાની પ્રથા છે. જેનાથી ચંદ્રમાંના કિરણોનો એના પર સિધો અભિષેક થાય આ સાકરનો વર્ષભર ઉપયોગ કરવામાં આવે છે. ચંદ્રના કિરણો ચામડીના રોગોનો નાશ કરે છે. ચંદ્રની સોળ કળાઓ અમૃતા માનદા પૂષા પુષ્ટિ તુષ્ટિ રતિ ધૃતિ રાશિની ચંદ્રિકા કાંતિ જ્યોત્સના શ્રી પ્રીતિ અંગદા પૂર્ણા પૂર્ણતમા શરદ પૂર્ણિમાંના પ્રસાદનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે. શરદ પૂનમ એ બે ઋતુનો સંધ્યા કાળ છે. એટલે કે ચોમાસાનો અંત અને શિયાળાનો પ્રારંભ ઠંડીની ઋતુમાં ગરમ તાસીર ધરાવતી વાનગીના સેવનથી ઠંડી સામે શરીર બળવાન બને છે. આ માટે જ દુધ, ચોખાના પૌઆ વગેરેમાંથી બનેલા દુધપૌઆના પ્રસાદનું મહત્વ છે.

ABOUT THE AUTHOR

...view details