રાષ્ટ્રપિતા ગાંધીની યાદો સાથે પણ છે જુનાગઢને ખૂબજ નજીકનો સંબંધ
જૂનાગઢઃ સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. મહાત્મા ગાંધીના કેટલાક સ્મરણો જુનાગઢ સાથે પણ જોડાયેલા છે. મહાત્મા ગાંધી જ્યારે વકીલાત કરતા હતા ત્યારથી લઈને તેમના અવસાન બાદ જૂનાગઢમાં તેમની પ્રાર્થના સભા અને અસ્થિ વિસર્જન પણ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું.
બુધવારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મનાવવા જઈ રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ અપાવનારા મહાત્મા ગાંધી અને તેના વિચારો આજે પણ પ્રસ્તુત છે. જ્યારે દેશ ગુલામીની કારમી જંજીરોમાં કેદ હતો ત્યારે મહાત્માએ દેશને ગુલામીની કારમી ઝંઝીરોમાંથી મુક્તિ અપાવવા માટે લડાઈ લડી હતી. આ સમય દરમિયાન સમગ્ર ભારત વર્ષનું કોઈ એવો વિસ્તાર કે ગામ નહીં હોય કે જ્યાં ગાંધીજી સ્વયં મુલાકાત ન લીધી હોય. હવે જ્યારે બુધવારે એટલે કે, 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ આપણે મનાવવા જઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રપિતાની જૂનાગઢ સાથેની પણ મુલાકાતોને વાગોળીએ. મહાત્મા ગાંધી વર્ષ 1928થી લઈને 4 વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જે પૈકી 1928માં મહાત્મા ગાંધીએ જૂનાગઢમાં આઝાદીની ચળવળને લઈને અનંત ધર્માલયમા સભા યોજી હોવાની પણ માહિતી મળી રહી છે.