જૂનાગઢઃ શહેર, ગિરનાર પર્વત તેમજ ભવનાથ વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ગિરનાર પર્વત પર પડેલા વરસાદને કારણે દામોદર કુંડ આજે ફરી એક વખત છલકાતો જોવા મળ્યો હતો. ભારે વરસાદને કારણે ભવનાથ તળેટી અને ગિરનારનું વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું હતું.
જૂનાગઢમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ, દામોદર કુંડ ફરી એક વખત છલકાયો
જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ધોધમાર ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભવનાથ તળેટીમાં આજે બપોરના 4 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને શહેર તેમજ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
દામોદર કુંડ ફરી એક વખત છલકાયો
આ સમયે દામોદર કુંડ નજીકના નીંચાણવાળા વિસ્તારમાં આવેલા પાજનાકા પુલ નીચે એક પરપ્રાંતીય યુવાન વરસાદના ધસમસતા પાણીમાં ફસાયો હતો. જેની જાણ જુનાગઢ ફાયર વિભાગને થતા ટીમના સભ્યો દ્વારા ફસાયેલા યુવકનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. છેલ્લા પંદર દિવસથી જૂનાગઢ શહેરમાં વરસાદને કાગડોળે રાહ જોવાઇ રહી હતી, ત્યારે આજે વરસાદ પડતા ફરી એક વખત સારા વરસાદની આશાઓ બંધાતી જોવા મળી રહી છે.