- 2018 બાદ ફરી વખત સિંહો પર મંડરાઈ શકે છે શંકાસ્પદ બિમારીનો ખતરો
- 15 દિવસમાં ગીર પૂર્વ અને પશ્ચિમમાં 5 સિંહોના થયા છે શંકાસ્પદ મોત
- વર્ષ 2018માં CDV વાઇરસથી ૩૦થી વધુ સિંહોના થયા હતા મોત
જૂનાગઢ : ગીરના એશિયાટિક સિંહો (Asiatic Lions of Gir) પર વર્ષ 2018 બાદ ફરી એક વખત ગંભીર વાઇરસ કે બિમારીનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગીર પૂર્વ, પશ્ચિમ અને બૃહદ ગીર વિસ્તારમાં પાછલા 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. વન વિભાગે મૃતક સિંહોના નમૂનાઓ વધુ કેટલાક પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, પરંતુ કેટલાક સિંહ પ્રેમીઓ સિંહણનું મોત ઈતડી દ્વારા ફેલાતા બબેસિઓસિસ (Babesiosis) નામક રોગથી થયું હોવાનું જણાવી રહ્યા છે. જોકે, શંકાસ્પદ રીતે મોત પામેલા આ સિંહોની મોત પાછળનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
વર્ષ 2018 માં Canine Distemper Virus એ 30થી વધુ સિંહોના લીધા હતા જીવ
વર્ષ 2018માં ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં 50 કરતાં વધુ સિંહોના એક જૂથ પર કેનાઈન ડીસ્ટેમ્પર વાઇરસ (Canine Distemper Virus) નો પ્રકોપ જોવા મળ્યો હતો. જેમાં 30થી વધુ સિંહોના મોત થયા હતા. જ્યારે અન્ય 31 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર (Jamwala Animal Care center) ખાતે રાખવામાં આવ્યા હતા. આ સેન્ટર પર દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશના વિશેષ પશુ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ વાઇરસ કાબૂમાં ન આવતાં અંતે કેન્દ્ર અને રાજ્ય સરકારે અમેરિકાના પશુ નિષ્ણાંત વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. વેક્સિનેશન અને યોગ્ય સારવાર બાદ તમામ 31 સિંહો રોગમુક્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો -રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા સિંહોના થયા મોત ?
કોરોના સંક્રમણ કાળમાં સિંહ પણ થયા છે કોરોના સંક્રમિત
કોરોનાકાળમાં દેશના કેટલાક પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ પણ કોરોના સંક્રમિત થતા વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું અને તાકીદે દેશના મોટા ભાગના પ્રાણી સંગ્રહાલયો તમામ પ્રકારના પ્રવાસીઓની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સિંહો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત સામે આવી હતી. આ બાદ હવે ગીર વિસ્તારના સિંહોમાં બબેસિઓસિસ (Babesiosis) રોગની શંકાઓ ઉદ્ભવી છે. કેટલાક વર્ષો પૂર્વે ગીર પૂર્વ અને પશ્ચિમમાં પણ કેટલાક સિંહો બબેસિઓસિસ (Babesiosis) નામના રોગથી મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.