ગુજરાત

gujarat

By

Published : Jul 3, 2021, 4:46 PM IST

ETV Bharat / city

ગીરમાં 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત, બબેસિઓસિસ નામક રોગની ચકાસણી માટે નમૂના મોકલાયા

ગીરમાં પૂર્વ, પશ્ચિમ તેમજ બૃહદગીરમાં પાછલા 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. વર્ષ 2018થી સિંહોમાં જોવા મળતા બબેસિઓસિસ (Babesiosis) નામક રોગથી આ સિંહોના મોત થયા છે કે કેમ? તેની ચકાસણી કરવા માટે વન વિભાગે નમૂના એકત્ર કરી તપાસ અર્થે મોકલાયા છે. આ ઘટનાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિંહોમાં કોઈ શંકાસ્પદ રોગ તે બિમારી ન હોવાનું જણાવી રહ્યા છે. જોકે, ખરી હકીકત તો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડે તેમ છે.

ગીરમાં 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત
ગીરમાં 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત

  • 2018 બાદ ફરી વખત સિંહો પર મંડરાઈ શકે છે શંકાસ્પદ બિમારીનો ખતરો
  • 15 દિવસમાં ગીર પૂર્વ અને પશ્ચિમમાં 5 સિંહોના થયા છે શંકાસ્પદ મોત
  • વર્ષ 2018માં CDV વાઇરસથી ૩૦થી વધુ સિંહોના થયા હતા મોત

જૂનાગઢ : ગીરના એશિયાટિક સિંહો (Asiatic Lions of Gir) પર વર્ષ 2018 બાદ ફરી એક વખત ગંભીર વાઇરસ કે બિમારીનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગીર પૂર્વ, પશ્ચિમ અને બૃહદ ગીર વિસ્તારમાં પાછલા 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. વન વિભાગે મૃતક સિંહોના નમૂનાઓ વધુ કેટલાક પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, પરંતુ કેટલાક સિંહ પ્રેમીઓ સિંહણનું મોત ઈતડી દ્વારા ફેલાતા બબેસિઓસિસ (Babesiosis) નામક રોગથી થયું હોવાનું જણાવી રહ્યા છે. જોકે, શંકાસ્પદ રીતે મોત પામેલા આ સિંહોની મોત પાછળનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

જૂઓ વીડિયો...

વર્ષ 2018 માં Canine Distemper Virus એ 30થી વધુ સિંહોના લીધા હતા જીવ

વર્ષ 2018માં ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં 50 કરતાં વધુ સિંહોના એક જૂથ પર કેનાઈન ડીસ્ટેમ્પર વાઇરસ (Canine Distemper Virus) નો પ્રકોપ જોવા મળ્યો હતો. જેમાં 30થી વધુ સિંહોના મોત થયા હતા. જ્યારે અન્ય 31 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર (Jamwala Animal Care center) ખાતે રાખવામાં આવ્યા હતા. આ સેન્ટર પર દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશના વિશેષ પશુ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ વાઇરસ કાબૂમાં ન આવતાં અંતે કેન્દ્ર અને રાજ્ય સરકારે અમેરિકાના પશુ નિષ્ણાંત વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. વેક્સિનેશન અને યોગ્ય સારવાર બાદ તમામ 31 સિંહો રોગમુક્ત થઈ ગયા હતા.

આ પણ વાંચો -રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા સિંહોના થયા મોત ?

કોરોના સંક્રમણ કાળમાં સિંહ પણ થયા છે કોરોના સંક્રમિત

કોરોનાકાળમાં દેશના કેટલાક પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ પણ કોરોના સંક્રમિત થતા વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું અને તાકીદે દેશના મોટા ભાગના પ્રાણી સંગ્રહાલયો તમામ પ્રકારના પ્રવાસીઓની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સિંહો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત સામે આવી હતી. આ બાદ હવે ગીર વિસ્તારના સિંહોમાં બબેસિઓસિસ (Babesiosis) રોગની શંકાઓ ઉદ્ભવી છે. કેટલાક વર્ષો પૂર્વે ગીર પૂર્વ અને પશ્ચિમમાં પણ કેટલાક સિંહો બબેસિઓસિસ (Babesiosis) નામના રોગથી મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો -વન વિભાગે વર્ષ 2021માં કરેલા સર્વેમાં ગુજરાતમાં કેટલા સિંહ મળી આવ્યા ?

શું છે બબેસિઓસિસ ?

બબેસિઓસિસ (Babesiosis) એ પશુઓમાં થતો રોગ છે. જે બબેસિયા (Babesia) નામક એક કોષીય જીવોના સંક્રમણથી પ્રસરે છે. બબેસિઓસિસ એ દૂધાળા પશુઓમાં ટ્રાઈપેનોસોમ (Trypanosomes) બાદ સૌથી વધુ જોવા મળતો રોગ છે. માણસોમાં તે જવલ્લે જ જોવા મળે છે. બબેસિયા પ્રજાતિના એક કોષીય જીવો પશુઓમાં ઈતડી મારફતે પ્રવેશે છે. જ્યારબાદ તે રક્તકણોમાં પ્રવેશીને પોતાની સંખ્યા વધારે છે. જેના કારણે પશુઓની રક્ત કોશિકાઓ નષ્ટ પામે છે. લોહીની ઉણપ થવાથી પશુઓમાં અશક્તિ તેમજ કમળાની પણ અસર જોવા મળે છે અને યોગ્ય સારવારના અભાવે પશુઓના મોત પણ થઈ શકે છે.

આ પણ વાંચો -ગુજરાતના ક્યા શહેરમાં સિંહ ફાઈવ સ્ટાર હોટલમાં લટાર મારતો નજરે પડ્યો ?

ગીરના સિંહોમાં કઈ રીતે પ્રસરી શકે છે બબેસિઓસિસ ?

ગીરમાં થયેલા 5 સિંહોના શંકાસ્પદ મોત પૈકી મોટાભાગના મોચ રેવન્યુ વિસ્તારમાં નોંધાયા છે. આ વિસ્તારમાં માલધારીઓ પોતાના પશુધનને ચરાવતા હોય છે. તદુપરાંત છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં સિંહોની પણ હલનચલન જોવા મળી છે. ત્યારે આ પશુઓમાં બબેસિઓસિસ (Babesiosis) રોગ હોવાનું અને રોગથી પીડિત પશુઓનું મારણ કર્યા બાદ સિંહોમાં પણ આ રોગ પ્રસર્યો હોવાની શંકા નકારી શકાય તેમ નથી. હાલમાં આ જ પ્રબળ શક્યતા છે. જોકે, સત્ય તો પૃથક્કરણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details