જામનગર: શહેરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં પટેલ રેસ્ટોરન્ટ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન 1200થી વધુ ગરીબ પરિવારના લોકોને નિશુલ્ક ભોજનનું વિતરણ કરવામાં આવે છે. જે વિતરણ વ્યવસ્થાનું મ્યુનિ.કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સામાજિક પ્રવૃત્તિ ચલાવી રહેલા વ્યવસ્થાપકોને પ્રોત્સાહન પૂરું પડાયું હતું.
જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં નિ:શુલ્ક ભોજન વિતરણ, કમિશનર દ્વારા નિરીક્ષણ જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલા પટેલ રેસ્ટોરન્ટના સંચાલક બીપીન ભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન પ્રતિદિન સાંજે 1200 જેટલા લોકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે. જે ભોજન વિતરણ વ્યવસ્થાનું મ્યુનિ. કમિશનર શ્રી સતિશ પટેલે નિરીક્ષણ કર્યું હતું.
જેમની સાથે ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય ઉપરાંત પૂર્વ નગરસેવક અને એડવોકેટ કમલેશ સોઢા વગેરે હાજર રહ્યા હતા.
પટેલ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા પ્રતિદિન સાંજે 1200 જેટલા લોકો માટેની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આસપાસના ભીમ વાસ, વાઘેરવાળો, નાગેશ્વર કોલોની, બારદાનવાલા કોમ્પલેક્ષ સહિતના વિસ્તારના લોકો પોતાના ઘેરથી ટિફીન લઈને આવે છે અને પ્રત્યેકને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી ભોજન પૂરું પાડવામાં આવે છે. જે પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યા પછી તમામ અધિકારીઓએ વ્યવસ્થાપકોને બિરદાવ્યા હતા.