અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીના સમયમાં ગુજરાતમાં દરરોજ 1400થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે, જેને કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવાય તેવી સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખૈલેયા વિના સૂનું રહેશે, રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નહીં યોજાઇ - અમદાવાદ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17થી 25 ઑક્ટોબર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી તેમને વાઈબ્રન્ટ ગુજરાતની સાથે વાઈબ્રન્ટ પંતગોત્સવની સાથે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ યોજવાનું નક્કી કર્યું હતું. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવ દિવસ સુધી અર્વાચીન ગરબા યોજાતા હતા અને લાખોની સંખ્યામાં અમદાવાદીઓ GMDC ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમવા આવતા હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે CM દીપ પ્રગટાવીને મહોત્સવનો પ્રારંભ કરાવે છે. જે બાદ નવ દિવસ માટે ગરબા મહોત્સવ યોજાય છે. રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હોય છે. આ નવરાત્રી મહોત્સવમાં ફૂડ કોર્ટથી માંડી પાર્કિંગની તમામ વ્યવસ્થા હોય છે. ગરબાપ્રેમીઓ નિશુલ્ક રીતે રાજ્યકક્ષાના ગરબા મહોત્સવમાં ટ્રેડિશન ડ્રેસ પહેરીને ભાગ લે છે.
ગરબા આયોજકો માટે કોઈ નિર્ણય લેવાયો નથી. શેરી ગરબા યોજાશે કે, નહી તે અંગે પણ હજૂ અસમંજસ પ્રવર્તે છે. ગરબાપ્રેમીઓ રાહ જોઈને બેઠા છે કે, સરકાર શું નિર્ણય કરે છે? કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગરબા સાથે સંકળાયેલા અનેક કલાકારો રોજગારી મેળવે છે, જો ગરબા નહીં થાય તો આવા કલાકારોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. જેથી કલાકાર જગત કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ગરબા કરવા તૈયાર છે અને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સના તમામ પાલન કરવા ગરબાપ્રેમીઓ તૈયાર છે.