આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો 64મો જન્મ દિવસ
- સીએમ આજે સુરતની કોવિડ હોસ્પિટલની લેશે મુલાકાત
- કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમણ-નિયંત્રણની સમિક્ષા હાથ ધરશે
- ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 71માં વન મહોત્સવનો રાજકોટ ખાતે કરાવશે પ્રારંભ
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે જન્મ દિવસ છે, તેઓ 2 ઓગસ્ટના દિવસે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજ્યના સીએમ રૂપાણી પોતાનો જન્મદિવસ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે. ત્યારે આજે સીએમ સુરત ખાતેની કોવિડ હોસ્પિટલની મૂલાકાત લઈને સુરતની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે.
ભૂતકાળમાં પણ જ્યારે બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં પૂર અને વરસાદનો પ્રકોપ થયેલો ત્યારે પણ રૂપાણીએ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં સતત 5 દિવસ બનાસકાઠામાં રહીને સેવા કાર્યોમાં મનાવ્યો હતો. આમ આજે 64માં જન્મદિવસે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષા અને સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ કે જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે, તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સૂરત જશે.
સીએમ રૂપાણી રવિવારે સવારે 10:30 વાગ્યે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 71માં વન મહોત્સવનો રાજકોટ ખાતે પ્રારંભ કરાવીને હરિયાળા ગુજરાતની સંકલ્પનામાં સમગ્ર રાજ્યના નાગરિકો-પ્રજાજનોને જોડાવા પ્રેરિત કરશે. ઉપરાંત કોરોનાને કારણે જેમને સૌથી વધુ આર્થિક સહન કરવાનો વારો આવ્યો છે, તેવા રોજનું કમાઇને રોજ ખાનારા નાના ઘંઘા-રોજગાર કરનારા કારિગરોને આર્થિક આધાર આપવા રૂપિયા 1 લાખની લોન માત્ર 2 ટકા વ્યાજે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતગર્ત આપવાની સંવેદશના દર્શાવેલી છે.