ગુજરાત

gujarat

By

Published : Nov 9, 2021, 9:59 PM IST

ETV Bharat / city

દિવાળી બાદ ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, આ મહત્વની બાબતો પર થશે ચર્ચા

દિવાળી (Diwali) બાદ મળનારી પ્રથમ કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત ખાતમુહૂર્તના કામો અને લોકાર્પણના કામો બાબતે ચર્ચા કરવામાં આવશે. તો વર્ષ 2022ના ઈલેક્શન જોતા ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા આગામી 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રાજ્યભરમાં વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી બાદ ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક
દિવાળી બાદ ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક

  • વર્ષ 2022ના નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે ચૂંટણી
  • ચૂંટણી પહેલા મુહૂર્ત અને લોકાર્પણના કામકાજની થશે ચર્ચા
  • પ્રધાનોને આપવામાં આવશે કેબિનેટ બેઠકમાં મહત્વની જવાબદારી

ગાંધીનગર: વર્ષ 2022ના નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Legislative Assembly Election 2022 )આવી રહી છે અને ચૂંટણીને ધ્યાનમાં લઈને જ ગુજરાતમાં સત્તાધારી ભાજપ (BJP) પક્ષે પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને નવા જ ચહેરાઓનો કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સમાવેશ કર્યો છે, ત્યારે દિવાળી બાદ મળનારી પ્રથમ કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત ખાતમુહૂર્તના કામો અને લોકાર્પણના કામો બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને સોંપવામાં આવશે જવાબદારી

રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022ના ઈલેક્શન પહેલા ગુજરાત સરકાર દ્વારા આગામી 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રાજ્યભરમાં વણથંભી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ, સાથે નવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. 10 નવેમ્બરના રોજ દિવાળી બાદ મળનારી પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામને જિલ્લા અને રૂપની ફાળવણી પણ કરી દેવામાં આવશે. આમ આગામી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વણથંભી વિકાસયાત્રા થકી લોકો સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

હવે પ્રાથમિક શાળાઓ ખુલશે?

ગુજરાત રાજ્યમાં ધોરણ-5ના વર્ગો શાળાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ 1થી 4 ધોરણ હજુ પણ બંધ છે, ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. મળતી માહિતી પ્રમાણે ધોરણ-1થી 5 શરૂ કરવામાં આવશે અને વર્ગના સમયમાં ઘટાડો કરવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. સોમવારથી શનિવાર સુધીનું જે શૈક્ષણિક સત્ર હોય છે તે ફક્ત 4 દિવસ જ શૈક્ષણિક સત્ર યોજાય તેવી પણ શક્યતાઓ છે અને 1 ડિસેમ્બરથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થાય તેવો પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય થઇ શકે છે.

મગફળીની ખરીદી અને સ્ટોરેજ બાબતે ચર્ચા

વિજય રૂપાણી સરકારમાં મગફળીમાં આગ લાગી હતી અને મોટું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં લાભ પાંચમના દિવસથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. મગફળીની ખરીદી બાદ મગફળીને સ્ટોરેજ માટેની વ્યવસ્થા કઈ રીતની છે, આ ઉપરાંત પ્રથમ દિવસે મગફળીની ખરીદી બાબતે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી તે બાબતે પણ ખાસ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

વાઇબ્રન્ટ મહોત્સવની તૈયારીઓ

ગુજરાત સરકાર દ્વારા 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે તૈયાર કરાયેલી ગોહિલ હોસ્પિટલ હવે સ્થળાંતર કરવામાં આવી રહી છે. આમ વાઇબ્રન્ટ મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે મહોત્સવમાં અધિકારીઓને પણ ખાસ જવાબદારી સોંપીને કામકાજ કઈ રીતનું છે અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને માહિતગાર કરવામાં આવશે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીમાં મગફળીની ખરીદી મોકૂફ

આ પણ વાંચો:ગાંધીનગર જિલ્લા પંચાયતમાં લાગી આગ, જાનહાની ટળી

ABOUT THE AUTHOR

...view details