- 5 દિવસ બાદ હોસ્પિટલ શરૂ થાય તેવી કોઈ હરકત નહીં
- DRDO અને કોર્પોરેશને માત્ર 10 મિનિટનું નિરીક્ષણ કર્યું
- ટૂંક સમયમાં ઓર્ડર મળે તેવી શક્યતા
ગાંધીનગર : શહેરમાં કોવિડ દર્દીઓ માટે સૌથી મોટી 1200 બેડની હોસ્પિટલ આગામી સમયમાં ઊભી થાય તે માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 5 દિવસ પહેલા જણાવ્યું હતું, પરંતુ આ મામલે હજૂ સુધી કોઈપણ કાર્ય થયું નથી. DRDO અને કોર્પોરેશને માત્ર દસ મિનિટ જેટલું નિરીક્ષણ કર્યું હતું. DRDOના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓર્ડર મળશે, ત્યારે ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. તેનો મતલબ કે કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હોવા છતાં પણ હજૂ સુધી ઓર્ડર મળ્યો નથી.
હોસ્પિટલ ક્યારે શરૂ થશે ?
હોસ્પિટલ ઉભી કરવાને લઇને કોઇ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. અહીં ફક્ત સાફ સફાઈ થઈ રહી છે, જેનો કોઈ મતલબ નથી. હવે જોવાનું એ રહ્યું કે, કોરોનાના કેસ આટલી મોટી સંખ્યામાં વધી રહ્યા છે, તેને જોતા હોસ્પિટલ ક્યારે શરૂ થશે અને અન્ય દર્દીઓને ક્યારે સુવિધા મળશે.
હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે લોકો મરી રહ્યા છે છતા ગોકળ ગતિએ કામ થઇ રહ્યું છે
કોરોનાના કેસ એટલી હદ સુધી વધી ગયા છે કે, રાજ્યની કોઈ હોસ્પિટલમાં પૂરતી જગ્યા નથી. લોકો એક- એક બેડ માટે વલખાં મારી રહ્યા છે. ઓક્સિજન અને વેન્ટિલેટર માટે લોકો તરફડી રહ્યા છે. લોકો હોસ્પિટલની બહાર જ મરી રહ્યા છે. આ પ્રકારની અરાજકતા ફેલાઈ છે, તેમ છતાં પણ ગાંધીનગર શહેરમાં ફક્ત 1,200 બેડની હોસ્પિટલ બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ કામ ગોકળગતિએ થઈ રહ્યું છે. DRDOના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓર્ડર મળશે ત્યારે કામ જલ્દી જ શરૂ થઈ જશે. તેનો મતલબ એ થયો કે, હજૂ સુધી 1200 બેડની હોસ્પિટલ મળવાનો ઓર્ડર જ નથી મળ્યો. તો કામ આગળ કેવી રીતે અને ક્યાંથી થશે.