ગુજરાત

gujarat

By

Published : Sep 28, 2021, 8:54 PM IST

ETV Bharat / city

વિધાનસભામાં કૌશલ્ય યુનિવર્સિટી શિક્ષણ બિલ સર્વાનુમતે પાસ, જાણો તેની ખાસિયત

ગુજરાત રાજ્યના યુવાધનને 'કૌશલ્ય સાથે શિક્ષણ' અને 'દરેક યુવાનને કૌશલ્ય' મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની' સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021 વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

વિધાનસભામાં કૌશલ્ય યુનિવર્સિટી શિક્ષણ બિલ સર્વાનુમતે પાસ
વિધાનસભામાં કૌશલ્ય યુનિવર્સિટી શિક્ષણ બિલ સર્વાનુમતે પાસ

  • કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021 સર્વાનુમતે પસાર
  • 2 કલાકની ચર્ચા બાદ વિધાનસભામાં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી બિલ પાસ
  • અમદાવાદ ખાતે 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની' સ્થાપના કરવામાં આવશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન પક્ષ અને વિપક્ષની સર્વાનુમતે આજે 2 કલાકની ચર્ચા બાદ ‘કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021' વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે, હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે, તેમજ આવનારા સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મૂડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે.

‘કૌશલ્ય’ સ્કિલ યુનિવર્સિટીની જરૂરીયાત કેમ પડી?

વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેક્ટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુરૂપ કુશળ માનવબળની જરૂરીયાત દિવસે-દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખું તૈયાર કરવા માટે ‘કૌશલ્ય’ સ્કિલ યુનિવર્સિટીની જરૂરીયાત ઊભી થઈ છે.

40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય

શ્રમ અને રોજગાર પ્રધાન મેરજાએ બિલની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે ભારતમાં 40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. દેશના આ મિશનના ઉદ્દેશને સાકાર કરવા રાજ્યના યુવાધનને કૌશલ્યબદ્ધ કરવા માનનીય મુખ્યપ્રધાનશ્રીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના યુવાધનને 'કૌશલ્ય સાથે શિક્ષણ' અને 'દરેક યુવાનને કૌશલ્ય' મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની' સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે, જેનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

વર્ટિકલ મોબિલિટીના માધ્યમથી સ્કિલ ડેવલપમેન્ટ અને ઉચ્ચ શિક્ષણ

કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વર્ટિકલ મોબિલિટીના માધ્યમથી સ્કિલ ડેવલપમેન્ટને ઉચ્ચ શિક્ષણ સાથે જોડવામાં એક સેતુનું કામ કરશે. જેના થકી રાજ્યના યુવાધન માટે પ્રગતિના દ્વાર ઉઘડશે તથા કારકિર્દીની નવી તકોનું સર્જન થશે. કૌશલ્ય સાથે શિક્ષણના અભિગમથી રાજ્યના યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજગારક્ષમ બનશે. રાજ્યમાં આવનારા સમયમાં ઉભી થનારી કુશળ માનવબળની જરૂરીયાતની સાપેક્ષે કુશળ માનવબળ ઊભું કરી શકાશે. પરિણામે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો થશે. કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલિમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલિમ અને સંશોધન માટે માળખું તૈયાર થાય તે માટે ‘કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક'ને રજૂ કરવામાં આવ્યું હતું.

ITIના વિધાર્થીઓ માટે મહત્વનું બિલ

આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને સી.ટુ.ડી. (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) તેમજ ડી.ટુ.ડી. (ડિપ્લોમા ટુ ડિગ્રી) થકી મહત્તમ વર્ટિકલ મોબિલિટીના ઉદ્દેશથી આવરી લઈ સ્કિલ ઈન્ડિયા સાથે સ્કિલ ગુજરાત મિશનને સાકાર કરવાનો રાજ્ય સરકારનો અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉદ્યોગકારોને ફાયદો

શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં નિરંતર બદલાતી ટેકનોલોજીને અનુરૂપ સ્કિલ ડેવલપમેન્ટના ઉત્પાદન તેમજ સર્વિસ ક્ષેત્રે નવીનત્તમ અભ્યાસક્રમો બનાવીને ઉદ્યોગગૃહોની અગામી સમયમાં કુશળ માનવબળની જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવશે. આ માટે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે જરૂરી રીસર્ચ કરી દેશના પ્રાથમિક, માધ્યમિક અને સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગોના ઉભરતા વિસ્તારો ઓળખીને આગામી સમયમાં સ્કિલની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવામાં આવશે, જે અનુસંધાને ‘કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021' વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.

આ પણ વાંચો: રાજ્ય સરકારે બે વર્ષમાં 17,811 કરોડની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી

આ પણ વાંચો: આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની જાહેરાત, રાજ્ય સરકાર કોરોના મૃતકોના સ્વજનોને 50,000 ચૂકવશે

ABOUT THE AUTHOR

...view details