નવા નિયમની જાણકારી આપતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિનિયમ 2009ની કલમ 16માં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2019માં મહત્વનો સુધારો કર્યો હતો. જેને હવે રાજ્ય સરકાર દ્વારા 21 સપ્ટેમ્બરથી અમલમાં મુકવામાં આવશે. જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં પરિણામલક્ષી અને ગુણવત્તાલક્ષી પરિવર્તન લઇ આવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.
ધો 8 સુધી પાસની નીતિમાં સુધારો, હવે ધો 5 અને 8માં નાપાસ વિધાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને ધોરણ 1થી 8 સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં તેવી નીતિ અપનાવવામાં આવી હતી. પરંતુ, હવે કેન્દ્ર સરકારે નવી નીતિ જાહેર કરી છે જે પ્રમાણે ધોરણ 8 સુધી જે નાપાસ ન કરવાની નીતિ હતી. તેને સુધારીને હવે ધોરણ 5 અને ધોરણ 8માં જો વિધાર્થી નાપાસ થશે તો તેને 2 મહિના પછી ફરી પરીક્ષા આપવી પડશે.
આર.ટી.ઇ. એકટની કલમ 16 પ્રમાણે કોઈ પણ બાળકને ધોરણ 1થી 8 સુધીમાં રોકી શકાય નહીં એટલે કે નાપાસ કરી શકાય નહીં, જેમાં હવે કેન્દ્ર સરકારે સુધારો કર્યા બાદ રાજ્ય સરકારે પણ સુધારો કર્યો છે. જેથી હવે ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષા દરમિયાન જો વિધાર્થી નાપાસ થાય તો તેને ફરીથી 2 મહિના બાદ પૂરક પરીક્ષા આપવાની રહેશે અને જો પૂરક પરીક્ષામાં પણ નાપાસ થશે તો જે તે વિધાર્થીને તે જ ધોરણમાં વધુ એક વર્ષ અભ્યાસ કરવો પડશે. આ નિર્ણયને કારણે બાળકોમાં અભ્યાસનું મહત્વ વધે જ્યારે શિક્ષણના સ્તરમાં પણ સુધારો થશે.
શિક્ષણપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા 21 સપ્ટેમ્બરના દિવસથી લાગુ કરવામાં આવ્યો છે. જે હવે માર્ચ 2020માં લેવાનારી શાળાની વાર્ષિક પરીક્ષાના નિયમ લાગુ થશે.