- ભાજપ પક્ષ દ્વારા સંવિધાન દિનની ઉજવણી
- તમામ જિલ્લામાં યોજવામાં આવશે સંવિધાન યાત્રા
- વર્ષ 2010માં પ્રથમ વખત પીએમ મોદીએ યોજી હતી યાત્રા
ગાંધીનગર: ગુજરાત ભાજપ દ્વારા સંવિધાન દિવસે (CONSTITUTION DAY 2021) તમામ જિલ્લાઓમાં સંવિધાન યાત્રા (Samvidhan Yatra 2021)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે એટલે કે 26 નવેમ્બરના રોજ જ ગાંધીનગર ભાજપ (Gandhinagar BJP) દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાની સામે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ સંવિધાન યાત્રા (Samvidhan Yatra on elephant)ની શરૂઆત કરાવી હતી અને ત્યારબાદ ટીચર ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ખાતે પગપાળા યાત્રા યોજી હતી.
જિલ્લા અને શહેર ભાજપના અગ્રણીઓ હાજર
સંવિધાન યાત્રાની વાત કરવામાં આવે તો, ગાંધીનગર જિલ્લાના તમામ ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા, આ ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશનના મેયર ઉપમેયર તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા, આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા રાજ્યના શિક્ષણ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.