ગુજરાત

gujarat

By

Published : Mar 24, 2021, 6:21 PM IST

ETV Bharat / city

રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ

કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે બંધ પડેલી સરકારી શાળાઓને ફરીથી શરૂ કરવા માટેની માગણી કરી છે. તેમજ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે વિદ્યાર્થીના વાલીની દોઢ લાખ સુધીની આવક હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળે છે. જે આવક મર્યાદા વધારવા માટે પણ સરકાર સમક્ષ માગણી કરી છે. આ ઉપરાંત ખાનગી શાળાઓમાં 50 ટકા ફી માફીની માગણી કરવામાં આવી છે.

રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ
રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ

  • સરકાર ખાનગી શાળાઓના ખોળે બેઠી: ગ્યાસુદ્દીન શેખ
  • બંધ પડેલી સરકારી શાળાઓને સરકાર ફરીથી શરૂ કરે
  • ખાનગી શાળાઓમાં 50 ટકા ફી માફીની માગણી કરાઈ

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બંધ પડેલી સરકારી શાળાઓને ફરીથી શરૂ કરવા માટેની માગણી કરી છે. ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, સરકાર ખાનગી શાળાઓના ખોળે બેઠી છે. ખાનગી શાળાઓમાં માત્ર 25 ટકા ફી માફ કરવામાં આવી છે. કોરોનાની મહામારીમાં લોકોની આવક પણ ઓછી થઈ છે. ત્યારે હાલના સમયમાં ખાનગી શાળાઓમાં ઓછામાં ઓછી 50 ટકા ફી માફી સરકારે કરવી જોઈએ. ખાનગી શાળા સંચાલકો આખા વર્ષની ફી એકસાથે માગી રહ્યા છે.

70 ટકાથી વધુ બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શક્યા નથી

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, રાજ્યના 24 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે મોબાઈલ, ટીવીની સુવિધા પણ નથી અને સરકાર ડિજિટલ શિક્ષણ આપવાના વાયદા કરી રહી છે. લોકો પાસે ટીવી, ઇન્ટરનેટ, મોબાઇલ અને લેપટોપની સુવિધા નથી. ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે ડિજિટલ શિક્ષણ મેળવશે. રાજ્યમાં હાલ 70 ટકાથી વધુ બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી.

રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં 164 પ્રાથમિક શાળા બંધ થવાને આરે, સરકારી શાળાઓ મર્જ કરવાની કામગીરી શરૂ

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વાલીઓની આવક મર્યાદા વધારવા માગ

ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત હજુ પણ વિદ્યાર્થીઓની નોંધણી શરૂ કરવામાં આવી નથી. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વાલીઓની આવક મર્યાદા દોઢ લાખની રાખવામાં આવી છે. જેને વધારવી જોઈએ. જેથી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વધુ બાળકો ભણી શકે. વધુમાં કહ્યુ કે, સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે. સરકારી શાળામાં ઓરડાની ઘટ છે, આધુનિક સુવિધાઓનો પણ અભાવ છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારને કેન્દ્રનો ફટકો: સરદાર સરોવર યોજના માટે માંગેલા 2967.49 કરોડ સામે માત્ર 1879.76 કરોડ મળ્યા

સરકારી શાળામાં શિક્ષણની પદ્ધતિમાં સુધારો કરવાની માગ

ગુજરાતમાં શિક્ષણમાટે અલગ બજેટ ફાળવવામાં આવે છે. ખાનગી શાળાના શિક્ષકો કરતા સરકારી શાળાના શિક્ષકોને વધારે પગાર આપવામાં આવે છે. ત્યારે સરકારી શાળામાં શિક્ષણની પદ્ધતિમાં સુધારો કરવામાં આવે તો ખાનગી શાળામાં જતા વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળી શકે છે. કોરોના મહામારી બાદ મોટાભાગના ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જેને લઈને બંધ પડેલી સરકારી શાળાઓને ફરીથી શરૂ કરવી જોઇએ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, જો સરકાર સરકારી શાળાઓને શરૂ કરવા ન માગતી હોય તો, કેટલીક સેવાઓ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ફ્રી માં શિક્ષણ આપી રહી છે. જેમને સરકારી શાળાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવા આપવું જોઈએ. જેનાથી સેવાભાવી સંસ્થાઓ વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપી શકે. ગ્યાસુદ્દીન શેખે મદરેસાઓને ફરીથી શરૂ કરવા માટેની પણ માગણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details