ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના બાદ રાજયમાં સીઝનલ ફ્લુનો કાળો કહેર: મેલેરિયાના 2451, ડેન્ગ્યુના 1616 અને ચિકનગુનિયાના 687 કેસો નોંધાયા

બે વર્ષથી કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે, ત્યારે ચોમાસાની સિઝન શરૂ થતા સિઝનલ બીમારીઓ પણ વધવા માંડી છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ વાઇરલ ઇન્ફેકશનના અનેક કેસો સામે આવ્યા છે. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાયા છે.

By

Published : Sep 4, 2021, 5:09 PM IST

Updated : Sep 4, 2021, 7:48 PM IST

કોરોના બાદ રાજયમાં સીઝનલ ફ્લુનો કાળો કહેર
કોરોના બાદ રાજયમાં સીઝનલ ફ્લુનો કાળો કહેર

  • રાજયમાં સીઝનલ ફ્લુનો રોગચાળો વધ્યો
  • ચિકનગુનિયાના 687, મેલેરિયાના 2451 અને ડેન્ગ્યુના 1616 કેસ વધ્યા
  • રાજ્યમાં અનેક વિસ્તારોમાં રોગચારો ફાટ્યો

ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વાઇરલ ઇન્ફેકશનના અનેક કેસો સામે આવ્યા છે, જ્યારે ઓગસ્ટ મહિના સુધીની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં તમામ જિલ્લાઓમાં કુલ મેલેરિયાના 2451, ડેન્ગ્યુના 1616 અને ચિકનગુનિયાના 687 કેસો સામે આવ્યા છે. જે ગત વર્ષની સરખામણીમાં વધુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે સીઝનલ ફ્લુનો મારો વધતાની સાથે જ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

છેલ્લા વર્ષોની વિગતો

વર્ષ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા
2018 22,114 7593 1295
2019 13,883 18,455 689
2020 4771 1564 1059
2020 જુલાઈ માસ સુધી 1825 726 143
2021 જુલાઈ માસ સુધી 1494 510 262

વર્ષ 2021ની ઓગસ્ટ માસ સુધીની વિગતો

મેલેરિયા 2451
ડેન્ગ્યુ 1616
ચિકનગુનિયા 687

ગત વર્ષ કરતા આ વર્ષે કેસમાં વધારો

ગત વર્ષ કરતા આ વર્ષે સીઝનલ બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે અગાઉ પણ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે લોકો ઘરમાં જ રહ્યા હતા, પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે અને કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે લોકો બહાર ફરવા નીકળી રહ્યા છે જેથી આ વર્ષે કેસમાં વધારો દેખાઈ રહ્યો છે.

રાજ્યમાં 80 લાખથી વધુ લોકોના લેવાયા સેમ્પલ

અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મહાનગરપાલિકામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો સામે આવ્યા છે, ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે. જેને લઇને રાજ્યમાં 80 લાખ 73 હજાર લોકોના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વસ્તીના 12 ટકા જેટલા લોકોનું લોહીનું પરીક્ષણ કરીને બીમારીની જડ પકડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કો-ઇન્ફેક્શન

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી લેબમાં દેશના મુખ્ય જિલ્લાઓમાંથી 4963 નમૂનાઓ એકત્ર કરીને મોકલવામાં આવ્યા હતા. જેમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કો-ઇન્ફેક્શનના 27 કેસમાંથી ત્રણ દર્દીઓ ગુજરાતના જોવા મળ્યા છે. આ 4963 નમૂનાઓમાંથી 1989 દર્દીઓને ડેન્ગ્યુ વાયરસ પોઝિટિવ હતો અને 150 લોકોને ચિકનગુનિયા પોઝિટિવ હતો.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના 329 કેસો

ગુજરાત રાજ્યના મેગાસિટી અમદાવાદની જો વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં સાદા મેલેરિયાના 123 અને ઝેરી મેલેરિયા નવ કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના સૌથી વધુ 130 કેસ અને ચિકનગુનિયાના 67 કેસ નોંધાયા છે. આમ મચ્છરજન્ય રોગચાળાના ચાલુ મહિને કુલ 329 જેટલા કેસ નોંધાયેલા છે. આ આંકડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા છે, જ્યારે ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

580 જેટલી આરોગ્યની ટિમ કાર્યરત

વાઇરલ ફ્લુની બીમારીઓ ગુજરાત રાજ્યમાં ફેલાઈ રહી છે, તેને ધ્યાનમાં લઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ કોર્પોરેશન, જિલ્લા, તાલુકા વિસ્તારોમાં કુલ 580 જેટલી આરોગ્યની ટીમને વાયરલ બીમારીઓને કંટ્રોલ કરવા માટે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે રોગચાળો વધારે હોય તેવા રાજ્યના 443 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં રોગચાળો વધે નહીં તે માટે 580 જેટલી આરોગ્યની ટીમને કાર્યરત કરવામાં આવી છે.

રાજ્યમાં આરોગ્યનું સર્વેલન્સ યથાવત

રાજ્યના આરોગ્ય વિભાગમાં જે વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા છે, તે વિસ્તારોમાં પણ સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આમ વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો ન થાય તે માટે પણ 10 લાખથી વધુના જથ્થામાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે આવનારા દિવસોમાં પણ જે તે વિસ્તારમાં સર્વેલન્સ, લોહી પરીક્ષણ સહિતની તમામ કામગીરી યથાવત રાખવામાં આવશે.

Last Updated : Sep 4, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details