- રાજ્ય સરકારનો ફાયર NOCને લઈને મહત્વનો નિર્ણય
- 9 મીટરની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થા માટે NOC જરૂરી નહીં
- સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે
ગાંધીનગર : રાજ્યમાં વધતા આગના બનાવોને વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહીં. આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે.
ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત
રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામક અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ.
આ પણ વાંચો : મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ