ગુજરાત

gujarat

By

Published : Jun 5, 2020, 5:37 PM IST

ETV Bharat / city

વિશ્વ પર્યાવરણ દિવસ : ગયા વર્ષે 'મિશન મિલિયન ટ્રી'ના 78 ટકા વૃક્ષો ઉછર્યા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા માટે એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા મિશન ગ્રીન કવર માટે અને શહેરમાં ગ્રીનરી વધારવા 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. જેમાંથી 78 ટકા વૃક્ષો ઉછર્યા છે.

world environment day
વિશ્વ પર્યાવરણ દિવસ

અમદાવાદ : શહેરના લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા માટે એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં દિવસેને દિવસે વધતા જતા તાપમાનનો પારો નીચે લઇ આવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન ગ્રીન કવર માટે અને શહેરમાં ગ્રીનરી વધારવા 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. તે માટે 5 હજાર જેટલા સ્વયં સેવકો અને એનજીઓ સહિત 10 હજાર લોકોએ નોંધણી કરાવી હતી. આ અંતર્ગત 11,70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ વિશે વધારે ETV BHARAT સાથે વાત કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિકરીએશનલ કમિટીના ચેરમેન જીગ્નેશ પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી અમે વાવેલા વૃક્ષોમાંથી 78 ટકા વૃક્ષો ઉછર્યા છે અને તેની માવજત પણ થઈ રહી છે. જેટલી પણ જગ્યાએ મિયાવાકી પદ્ધતિ પ્રમાણે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તે જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોલેન્ટિયર અને એનજીઓ તેની માવજત કરી રહ્યા છે. 7 ઝોનમાં આ કામગીરી માટે ટીમ પણ બનાવવામાં આવી છે. આ ટીમ રેગ્યુલર છોડની ચકાસણી કરે છે અને વૃક્ષોની માવજત બરાબર થાય છે કે નહીં તેની પણ નોંધ લે છે.

અમદાવાદ શહેરમાં માત્ર 4.25 ટકા જેટલું જ ગ્રીન કવર છે. જેના કારણે AMC દ્વારા મિશન મિલિયન ટ્રી શરૂ કરીને અમદાવાદ શહેરમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું અને શહેરને હરિયાળુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ચોમાસા દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધી જવાથી દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. જેના લીધે આસોપાલવના વૃક્ષોને નુકસાન થયું છે. જો કે, આ વૃક્ષો રોડની આજુબાજુ લગાવવામાં આવ્યા છે, પરંતુ ચોમાસુ નજીકમાં છે અને વરસાદ પડતાની સાથે જ આ વૃક્ષો ફરીથી ખીલી ઉઠશે.

હાલ પણ શહેરમાં પડી રહેલી ગરમી મુજબ ટેન્કર દ્વારા દર બે દિવસે રોડની આજુબાજુ લગાવેલા વૃક્ષો તેમજ બીઆરટીએસ રોડની બંને બાજુ લગાવેલા રોપાઓમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારી લડી રહ્યું છે, ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5 લાખ તુલસી છોડનું વિતરણ કરવાનું આયોજન થયું હતું. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શુક્રવારે પ્રતીકરૂપે માત્ર 50 તુલસીનાં રોપાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવ્યું હતું. તુલસીનો છોડ પવિત્ર ગણાય છે. કોરોનાની મહામારીમાં તુલસીનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. તુલસીના છોડની ઉપયોગિતા હાલ અત્યંત વધી છે. તેવા સમયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details