- કોરોનાની મહામારીમાં ફરીથી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ
- વિવિધ એસોસિએશન દ્વારા શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ બંધ પાળવા અપીલ કરાઈ
- કોરોનાની ચેઈન તોડવા વેપારી મંડળ દ્વારા કરાઇ રહ્યા છે વિવિધ પ્રયાસો
અમદાવાદ: કોરોનાની મહામારીને લઈને રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ હાલ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે શહેરના વિવિધ વેપારી મંડળો અને એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી મંડળો અને એસોસિએશનની કરાઈ હતી અપીલ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ એસોસિએશનના પ્રમુખો સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાની મહામારીને લઈને ઉદ્યોગો પર મોટી અસર થઇ રહી છે તેમજ કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. જેને લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી મંડળો અને એસોસિએશનની અપીલ કરવામાં આવી હતી કે, અઠવાડિયાના અંતમાં એટલે કે વીકેન્ડમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવે અને કોરોનાની ચેઇન તોડવામાં મદદ કરવામાં આવે.
આ પણ વાંચો :ભાવનગરના મહુવામાં 5 દિવસીનું સ્વયંભૂ લોકડાઉન
જ્વેલર્સ એસોસિએશનની અપીલ
આજે ગુરુવારે સવારે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ તમામ સ્વયંભૂ બંધ રાખવામાં આવે અને કોરોના ચેઇન તોડવામાં મદદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવાર શનિવાર અને રવિવારના રોજ પણ સ્વયંભૂ બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. જેમાં લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.