- સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વિક્સિનની પ્રથમ ડ્રાય રન
- પ્રાથમિક તબક્કે 25 હેલ્થ કેર વર્કરોને રસી અપાશે
- એક વ્યક્તિને રસી આપવા માટે લાગે છે 2 થી 3 મિનીટ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેશન તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં સમગ્ર ડ્રાય રનનું આયોજન થનાર છે. સૌપ્રથમ વેક્સિનેશન માટેની ટીમો જૂથમાં વિભાજીત થઇને સરકાર દ્વારા તૈયાર કરાયેલા સોફ્ટવેરમાં નોંધાવામાં આવેલા હેલ્થકેર વર્કરના અગ્રતાક્રમ પ્રમાણે તેઓનું વેક્સિનેશન કરવામાં આવશે. અગ્રતાક્રમની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન સોફ્ટવેર દ્વારા સંચાલિત થઇ રહી છે.
રસી અપાયેલા વ્યક્તિને હોસ્પિટલમાં એક કલાક આઈસોલેટ કરાશે
પ્રાથમિક તબક્કે શરૂઆતમાં કુલ 25 હેલ્થકેર વર્કરોની ડ્રાય રન માટે પસંદગી કરવામાં આવી છે. એક વ્યક્તિને રસી આપવા 2થી 3 મીનીટ જેટલો સમય લાગે છે. ત્યારબાદ રસી આપવામાં આવેલા વ્યક્તિને હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલા અલાયદા રૂમમાં અડધાથી એક કલાક માટે આઇસોલેટ કરવામાં આવશે. જેમાં ટીમ દ્વારા સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવશે.
તમામ પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં રખાઈ છે
આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલા દર્દીમાં સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અતિગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે તો અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાય તો વેક્સિન લેનાર વ્યક્તિને આઇ.સી.યુ.માં દાખલ કરવા સુધીની પણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સિવિલના 7,000 મેડિકલ સ્ટાફને રસી અપાશે
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ, સફાઇ કર્મીઓ મળીને 7,000 જેટલા અમારા સ્ટાફમિત્રોને ભારત સરકાર દ્વારા નિર્ધારીત કરાયેલા નિયમ મુજબ અને રાજ્ય સરકારના દિશાનિર્દેશોનું ચુસ્તપણે અમલીકરણ કરીને સમગ્ર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતીકાલે 5 જાન્યુઆરીના રોજ સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધીમાં સમગ્ર વેક્સિનેશન ડ્રાય રન એટલે કે કોરોના વેક્સિનનો પૂર્વાઅભ્યાસ હાથ ધરવામાં આવશે.
285 સ્થળોએ પરીક્ષણ અભિયાન
ઉલ્લેખનીય છે કે, રસીકરણ પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 285 સ્થળોએ પરીક્ષણ અને અભિયાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પૂર્વાઅભ્યાસ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 125 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં શહેરી અને ગ્રામીણ જિલ્લાઓ સાથે દુર્ગમક્ષેત્રોને પણ સામેલ કરવામાં આવ્યા છે.