અમદાવાદઃ વિધાનસભાની 8 બેઠકોની આગામી પેટા-ચૂંટણી અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા રાજ્ય સરકારના પ્રધાનો ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ઈશ્વરસિંહ પટેલ તથા આ પેટા-ચૂંટણીના પ્રદેશ ઈન્ચાર્જ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી તેમજ વિધાનસભાના ઇન્ચારર્જ આઇ.કે.જાડેજા અને પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં કેન્દ્રની અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપ સરકારે સાતત્યપૂર્ણ રીતે પ્રજાહિતના અનેક નિર્ણયો અને લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને મળી રહ્યો છે. ભાજપે હંમેશા સંગઠન થકી સેવાને પ્રાધાન્ય આપ્યું છે. દરેક કુદરતી આફત અને મુશ્કેલ સમયમાં ભાજપના કાર્યકર્તાઓ નાગરિકોની વચ્ચે જઈને મદદરૂપ બન્યા છે. ભાજપ આજે તમામ વર્ગ અને સમુદાયમાં અપ્રતિમ લોકચાહના ધરાવે છે.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભાજ સૌથી મોટું રાજકીય સંગઠન બન્યુ છે, ત્યારે પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી વધી જાય છે. ભાજપના વિચારો અને રાષ્ટ્રસેવાની ભાવના જનજન સુધી ઉજાગર થાય એ દરેક કાર્યકર્તાનું પ્રાથમિક લક્ષ્ય છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવા માટે સરકારી તંત્રની સાથે સાથે ભાજપા કાર્યકર્તાઓ પણ વિવિધ યોજનાઓની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડી પોતાનું યોગદાન આપે.
આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ ઉપસ્થિત તમામ લોકોને ચૂંટણી વ્યવસ્થાપન, આયોજન અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.