ગુજરાત

gujarat

By

Published : Oct 15, 2020, 9:18 PM IST

ETV Bharat / city

કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં અંદાજે 250થી 300 કરોડનું નુકસાન થશે, જુઓ વિશેષ અહેવાલ...

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે ગુજરાતની ઓળખ સમા ગરબાનું આયોજન જાહેરમાં કરવાની સરકારે મનાઇ ફરમાવી છે. જેના કારણે નવરાત્રિ અને તેની સાથે જોડાયેલા અલગ-અલગ વ્યવસાયોને પણ આર્થિક ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઇને ઇટીવી ભારતે ગરબા આયોજકો, પાર્ટી પ્લોટ માલિકો, ચણિયાચોળીના વેપારી, સાઉન્ડ-લાઇટ તથા સિક્યોરિટી સેવા આપતા વ્યાવસાયિકો સાથે વાતચીત કરી હતી.

કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં 250થી 300 કરોડનું થશે નુકસાન
કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં 250થી 300 કરોડનું થશે નુકસાન

અમદાવાદ: કોરોના મહામારીને કારણે નવરાત્રિના જાહેર આયોજનો રદ થયા છે. ગરબા બંધ રહેતા મંડપ-ડેકોરેશન, બ્યૂટિપાર્લર, ચણિયાચોળીના વેપારીઓ અને ખાણીપીણીનો ધંધો કરનારા અનેક લોકોના વેપારને માઠી અસર પડશે. એક અંદાજ અનુસાર ગુજરાતમાં આ વખતે નવરાત્રિ ન યોજાવાને કારણે સીધી રીતે 250થી 300 કરોડનું નુકસાન થશે.

કોરોનાને કારણે ગુજરાત સરકારે નવરાત્રિમાં ગરબાના જાહેર આયોજનો પર પ્રતિબંધ ફરમાવ્યો છેે. સરકારે ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે, માતાજીની પૂજા-આરતી કરી શકાશે, પ્રસાદ પણ પેકિંગમાં વહેંચવા છૂટ આપી છે. આ વર્ષે ગરબા નહી થવાને કારણે અનેક ધંધાનો વેપારી વર્ગ મૂંઝવણમાં મુકાયો છે કે, આ વર્ષે અમારી દિવાળી તો બગડી સમજો. વેપારીઓએ કરોડો રૂપિયાનો માલનો સ્ટોક લઈને રાખ્યો હોય તે પણ આમ જ પડ્યો રહ્યો છે.

કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં 250થી 300 કરોડનું થશે નુકસાન
આ અંગે ઇટીવી ભારત દ્વારા અનેક ધંધાર્થીઓ સાથે વિશેષ મુલાકાત કરી તેમની હાલત જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે લોકડાઉન અને અનલોકમાં 6-8 મહિનાથી એક પણ રૂપિયાની આવક ન થઈ હોવાથી તેઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા હતા કે, કદાચ નવરાત્રીમાં આ ખોટને પૂરી શકાય અને સારી આવક મેળવી શકાશે. પણ હવે તે આશા પર પણ પાણી ફરી વળ્યું છે. નાના-મોટા ધંધા સાથે જોડાયેલા અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.દર વર્ષે નવરાત્રી અગાઉ વિવિધ પ્રકારની ચણિયાચોળીનું વેચાણ શરૂ થઈ જતા હતા. પરંતુ આ વર્ષે નવરાત્રિ બંધ રહેતાં ચણિયાચોળીમાં વેચાણ તદ્દન ઠપ્પ થઈ ગયું છે. આ વર્ષે ચણિયાચોળી-ઇમિટેશન જ્વેલરી વેચતા વેપારીઓની હાલત કફોડી બની છે. ગ્રાહકોના અભાવે લો ગાર્ડન સ્થિત સીઝનલ માર્કેટના 80 ટકા વેપારીઓ નવરા બેઠા છે. લો ગાર્ડનના વેપારી સુનિલભાઇએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રિ ન થવાને કારણે બજાર સુમસામ છે અને કોઈ નવી ડિઝાઇન લાવ્યા નથી. જેથી આવતા વર્ષે લોકોને કંઈક નવું મળી રહે. આ વર્ષે તો આ બજારમાં કુર્તી કે ડ્રેસ વેચીને જ ગુજરાન ચલાવી રહ્યા છે અને એ પણ દિવસમાં એકાદ-બે ખરીદનાર માંડ આવે છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, સાતમ-આઠમના તહેવાર પછી તરત જ આ ખરીદી શરૂ થઇ જાય છે અને નવરાત્રિના એક અઠવાડિયા પહેલાં બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. જોકે આ વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધને કારણે ચણિયાચોળીના વેપારને 2 કરોડથી વધુનુ નુકસાન થયું છે.
કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં 250થી 300 કરોડનું થશે નુકસાન
દર વર્ષે નવરાત્રિ દરમિયાન 80થી 100 જેટલા અલગ-અલગ પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજન થાય છે. પ્રત્યેક પાર્ટી પ્લોટનું ભાડું નવરાત્રિ દરમિયાન ડેકોરેશન સાથે અંદાજે 20થી 50 લાખ સુધીનું હોય છે. ગરબાના સ્થળે ફૂડ કોર્ટ રાખવામાં આવતી હોય છે, જેના કારણે કેટરિંગના ધંધાને 5થી 7 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. સાઉન્ડ અને લાઇટિંગના ધંધાને 4થી 5 કરોડનું નુકસાન થશે, જ્યારે સિક્યોરિટી અને ઓરકેસ્ટ્રાના ધંધામાં 2થી 2.50 કરોડના નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદના પ્રખ્યાત અને કર્ણાવતી ક્લબ જેવા સૌથી મોટી જગ્યાઓ પર સાઉન્ડ અને લાઈટનું કામ કરનાર ભવાની સાઉન્ડના માલિક પીન્ટુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષોથી તેઓ આ બિઝનેસ કરી રહ્યા છે અને દર વર્ષે નવરાત્રિમાં સમગ્ર ગુજરાતમાં અમારુ સાઉન્ડ અને ડેકોરેશન થાય છે. રોજના 2000 થી 3000 લોકોને અમે રોજગારી પૂરી પાડીએ છે અને નવરાત્રિમાં આ સંખ્યા અમારે વધારવી પડતી હોય છે. પરંતુ આ વર્ષે નવરાત્રિની મંજૂરી ન મળવાને કારણે અમારો સામાન અમારા ગોડાઉનમાંથી બહાર પણ નીકળ્યો નથી અને માણસોને અમે પગાર ચૂકવી રહ્યા છે, પણ સામે અમને કોઈ આવક નથી.અમદાવાદના સૌથી જૂના અને મોટા પાર્ટીપ્લોટના ઓનર ભાવેશ પુરોહિતએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં નાના-મોટા 80થી 100 પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન કરવામાં આવતાં હોય છે. એક પાર્ટી પ્લોટમાં અંદાજે 40 થી 50 લોકોને નવરાત્રી દરમિયાન રોજગારી મળતી હોય છે. આ અંદાજ મુજબ આશરે 2500 થી 3000 લોકોને રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. પાર્ટી પ્લોટના માલિક ભાવેશ પુરોહિતના કહેવા અનુસાર યુવાઓ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી કરવા માટેની જે વાત કરવામાં આવી રહી છે તેને થોડું પ્રોત્સાહન મળે તો લોકોને થોડું મનોરંજન મળી રહે અને કોરોનાની મહામારીમાં કશોક નવો વિચાર પણ કરી શકે.
કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં 250થી 300 કરોડનું થશે નુકસાન
આ નવરાત્રિમાં સિક્યોરિટી અને બાઉન્સરનો બિઝનેસ પણ ખૂબ જ ચાલતો હોય છે, જેટલા પાર્ટી પ્લોટ પર નવરાત્રિ થતી હોય ત્યાં બધે જ સિક્યોરિટી અને બાઉન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે સુરક્ષા અને સલામતી રાખી શકાય છે. કોરોનાકાળમાં નવરાત્રિ કેન્સલ થવાને લીધે આ બિઝનેસમાં પણ ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. અમદાવાદના મોટાભાગના પાર્ટી પ્લોટમાં જેની સિક્યોરિટી હોય છે, તેવા એસ. કે. દ્વિવેદીએ આ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે અમારા સ્ટાફમાંથી 400થી 500 લોકો ઓછા થઈ ગયા છે અને તેઓ કોઈ બીજા નાનામોટા ધંધા અને રોજગાર કરીને ગુજરાન ચલાવી રહ્યં છે. દર વર્ષે અમારે ત્યાં નવરાત્રિમાં 100થી 200 લોકો નવા ભરતી કરવામાં આવે છે.
કોરોના મહામારીમાં નવરાત્રિ રદ થતાં 250થી 300 કરોડનું થશે નુકસાન
અમદાવાદમાં નવરાત્રિનું આયોજન કરતાં આયોજકો સાથે પણ ખાસ મુલાકાત કરવામાં આવી હતી. નવરાત્રિના આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રિ કેન્સલ થવાને કારણે નાની મોટી એજન્સીઓથી માંડીને વેપારીઓ અને કલાકારો તથા સાજીંદાઓ બધાને ખુબ બધું નુકસાન થયું છે અને હજી પાછળ લગ્ન સીઝનમાં પણ કઈ ખાસ બુકીંગ થયા નથી. નિર્માતા અને વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ નવરાત્રિનું આયોજન કરે છે તેવા આયોજક રાજકુમાર જાનીના જણાવ્યા અનુસાર આ વર્ષે નવરાત્રિના આયોજન ન થવાને કારણે આખી ઇન્ડસ્ટ્રીને 250થી 300 કરોડનું નુકસાન થવાની શક્યતાઓ છે છતાં મેડિકલ એસોસિએશનની અપીલ પછી ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી ન ઉજવવાની મંજૂરીને સપોર્ટ કર્યો હતો અને દરેક કલાકારો ને બીજા કામ કરી અને રોજીરોટી મેળવવા આ વર્ષને હેમખેમ નીકળવા અપીલ કરી હતી.કેમેરામેન મુકેશ ડોડિયા સાથે મનન દવેનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details