અમદાવાદઃ કોરોનાના કારણે કરવામાં આવેલા લૉકડાઉનને 8 દિવસ થયાં છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ લૉક ડાઉનનું પાલન કરવા સક્ષમ છે.પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં લૉક ડાઉનનું પાલન કરાવવા પોલીસ સક્ષમઃ CP આશિષ ભાટીયા અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લોક ડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે લોકો લોકડાઉનનો ભંગ કરે છે તેમની સામે ગુનો નોંધવામાં આવે છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવે છે. 4થી વધારે લોકો એકઠા થાય અને કલમ ૧૪૪ નું ઉલ્લંઘન કરે છે તેમની સામે પણ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.અમદાવાદ પોલીસ દ્વારા આઠ ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં.આવી રહ્યો છે અને અમદાવાદ પર નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા ચાલી,સોસાયટી કે ફ્લેટ જેવી જગ્યાઓ પર ખાસ નજર રાખવામાં આવે છે અને જ્યાં લોકો એકઠા થાય ત્યાં પોલીસ પહોંચીને કાર્યવાહી કરી રહી છે.આ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું અને જરૂર જણાય તો પોલીસની મદદ પણ લેવી જોઈએ.લોકો 100 પર કોલ કરીને પણ માહિતી આપે છે તેવા 264 જેટલા કોલ પણ મળ્યાં છે જેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. 2400 લોકો હાલ હોમ કોરેન્ટાઇન છે તેમની પર પણ પોલીસ અને કોર્પોરેશનની નજર છે. પોલીસ સિનિયર સિટીઝનની પણ મુલાકાત લઈને નોંધણી કરી રહી છે. કુલ 3000 વૃદ્ધો પોલીસના ચોપડે નોંધાયાં છે.સ્થાનિક પોલીસ ઉપરાંત 2 RAFની ટીમ અને 4SRPની ટીમ પણ કાર્યરત છે. લોકોને લોકડાઉનનું પાલન કરવા પોલીસ પૂર્ણ રીતે સક્ષમ છે.