ગુજરાત

gujarat

By

Published : Oct 4, 2020, 9:17 AM IST

ETV Bharat / city

ધંધુકા ધોલેરા રોડ બન્યો ડિસ્કો પુલ...! ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન

ધંધુકા-ધોલેરા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, ત્યારે આ રોડ ઉપર આવેલી ગ્રામપંચાયતોના સરપંચો દ્વારા સ્ટેટ હાઇવેના ધંધુકા નાયબ કાર્યપાલક ઇજનેરને આ રોડ ઉપર મસમોટા ખાડા પડી જવા આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ પરિણામ શૂન્ય જ...!

ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન
ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન

અમદાવાદઃ ધંધુકા-ધોલેરા રોડ પર સતત ભારે લોડિંગ ડમ્પરો દ્વારા ધોલેરા સર ખાતે ગ્રીટ કપચી અને રેતીના વહન કરતા વાહનોની અવરજવર થઈ રહી છે, ત્યારે આ માર્ગ ઉપર એકથી દોઢ ફૂટના મસમોટા ખાડાઓ પડેલા દ્રષ્ટિ ગોચર થાય છે. ધંધુકા નાયબ કાર્યપાલક ઇજનેરને રોડ પર પડેલા મસમોટા ખાડાઓના સમારકામ માટે રોજકા, ભડીયાડ તેમજ ધોલેરાના ગ્રામ પંચાયત સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં પણ આવે છે, પરંતુ સમારકામ કરવામાં આવતું નથી.

આ અંગે સ્ટેટ હાઇવે ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજનેર એમબી પટેલનો ટેલિફોનિક કોન્ટેક કરતા જાણવા મળ્યું કે, આ રોડ અંગેનો કોન્ટ્રાક્ટ પાર્થ એજન્સીને 2019 થી આપી દેવામાં આવ્યો છે. હવે રોડના ખાડાઓના સમારકામની તમામ જવાબદારી તેમની રહે છે તો વળી પાર્થ એજન્સીનો ટેલિફોનિક કોન્ટેક કરતા અને બિસ્માર રોડ વિશે વાત કરતા ખાડાઓનું સમારકામ થઇ જશે અને થશે તેવા હકારાત્મક જવાબો આપવામાં આવે છે, પરંતુ સમારકામ હાથ ધરવામાં આવતું નથી.

છેલ્લા ઘણા સમયથી ધંધુકા ધોલેરા રોડ બિસ્માર હાલતમાં છે. રોડ પર એકથી દોઢ ફૂટના ખાડાઓ પડ્યા છે. રોડના નવીનીકરણ માટે પાર્થ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, ત્યારે સમાજ કામની જવાબદારી તેના શિરે છે છતાં આ એજન્સી દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવતું નથી. પરિણામે ટુ વ્હીલર ચાલકો તેમજ ફોરવ્હીલ ચાલકોને આ માર્ગ ઉપરથી ચાલવું અઘરું બન્યું છે, આ માર્ગ પર વારંવાર અકસ્માતો થાય છે. ભારે લોડીંગ ડમ્પર સાધનો પણ પલટી મારી ચૂક્યા છે.

આ માર્ગ ધોલેરા સરને જોડતો કડીરૂપ છે. હાલ પંથક તેમજ ગોહિલવાડ સાથે જોડતો અગત્યનો માર્ગગણવામાં આવે છે. હાલના તબક્કે રોડ અતિ બિસ્માર છે. આ રોડ પરથી બીમાર વ્યક્તિને અથવા તો પ્રેગ્નેટ મહિલાને ધંધુકા સારવાર અર્થે લાવવામાં વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આ રોડનું સમારકામ પાર્થ એજન્સી દ્વારા સત્વરે હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે. જો એજન્સી રોડનું સમારકામ તાકીદે હાથ નહીં ધરે તો તે અંગેની જવાબદારી સ્ટેટ હાઇવેના નાયબ કાર્યપાલક ઇજનેરની રહેશે કારણ કે, એજન્સી ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તંત્રની હોય છે.

ABOUT THE AUTHOR

...view details