ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેક્ટર ઓફિસે ધસારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલી જગ્યાઓ પર સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી 5 અને 6 ફેબ્રુઆરી એમ બે દિવસ ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી.

By

Published : Feb 7, 2021, 10:11 AM IST

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા કલેકટર ઓફિસે ધસારો
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા કલેકટર ઓફિસે ધસારો

  • છેલ્લા દિવસે ફોર્મ ભરવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પહોંચ્યા કલેક્ટર કચેરી
  • અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 1250 ફોર્મ ભરાયા
  • છેલ્લા દિવસે અમદાવાદ શહેર માટે કુલ 947 ફોર્મ ભરાયા

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલી જગ્યાઓ પર સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી 5 અને 6 ફેબ્રુઆરી એમ બે દિવસ ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી.

પહેલા દિવસે અમદાવાદમાં 303 ફોર્મ ભરાયા

આશ્ચર્યજનક રીતે પહેલા દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જૂજ માત્રામાં ફોર્મ ભરવા આવ્યા હતા. ભાજપની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરને છોડીને અન્ય પાંચ મહાનગરપાલિકાઓમાં ફોર્મ વધુ ભરાયા હતા, પરંતુ અમદાવાદમાં ફોર્મ ભરવાના બાકી હતા. જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થયા ન હતા. પહેલા દિવસે અમદાવાદમાં 303 ફોર્મ ભરાયા હતા. જેમાં મોટાભાગે અસદુદિન ઓવૈસીની પાર્ટી AIMIM, આમ આદમી પાર્ટી, અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ વધુ ફોર્મ ભર્યા હતા. જ્યારે બીજા દિવસે અમદાવાદમાં 919 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વધુ દેખાતા હતા. આમ બે દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાની કુલ 192 બેઠક સામે 1,250 ફોર્મ ભરાયા હતા.

બીજા દિવસે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ છેલ્લી ઘડી સુધી ભીડ

પહેલા દિવસે કલેકટર કચેરીએ શરૂઆતના 4 કલાક કાગડા ઊડતા હતા. ત્યારે બીજા દિવસે સવારે 10 વાગ્યાથી છેલ્લી ઘડી સુધી ભીડ જોવા મળી હતી. કલેકટર કચેરીએ વોર્ડ પ્રમાણે જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકાના સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર-બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, જમાલપુર, ખાડિયા, અસારવા, શાહીબાગ અને શાહપુર જેવા વોર્ડ માટે ફોર્મ ભરવાની જગ્યા નક્કી કરવામાં આવી હતી. બીજા દિવસે ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા આવતા હતા. જ્યારે કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસમાં કાર્યકરોના રોષ વચ્ચે છેલ્લી ઘડીએ ફોન કરીને સીધા જ ઉમેદવારોને ફોર્મ ભરવાના સ્થળ ઉપર જવા કહેવામાં આવ્યું હતું. જ્યાં તેમને મેન્ડેટ મોકલી આપવામાં આવ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા કલેકટર ઓફિસે ધસારો

શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રડી પડ્યા

ફોર્મ ભરતી વખતે સામાન્યતઃ ઉમેદવારો પોતાના સિનિયર આગેવાનોની સાથે તેમજ કાર્યકરો સાથે આવ્યા હતા. ઉમેદવારોએ નારા પણ લગાવ્યા હતા. પરિણામે ભીડ વધતા પોલીસે પણ પરિસ્થિતિને સંભાળવી અઘરી બની હતી. છેલ્લી મિનિટ સુધી ફોર્મ ભરવા ઉમેદવારો આવ્યા હતા. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા દરમિયાન કેટલાક યાદગાર ક્ષણો પણ સર્જાયા હતા. જેમાં કોંગ્રેસના દરિયાપુરના સીટીંગ કોર્પોરેટર મોના પ્રજાપતિને છેલ્લી ઘડીએ કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી મેન્ડેટ આપ્યો હતો. તેથી તે ભાવુક બનીને કોંગ્રેસના સિનિયર નેતાના ખભે આંસુ સારતા જોવા મળ્યા હતા. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આવતા સામ-સામે નારેબાજી પણ જોવા મળી હતી. કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી જમાલપુરના સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખને ખાડીયાથી લડવા મેન્ડેટ આપ્યું હતું. તેથી તેઓ છેલ્લે ફોર્મ ભરવા કલેકટર કચેરી આવી પહોંચ્યા હતા.

ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલાને પડકાર્યા

પહેલા દિવસે ભાજપના ખાડીયાના ઉમેદવારો ફોર્મ ભરવામાં મોડા પડયા હતા. ત્યારે તેઓ બીજા દિવસે ફોર્મ ભરવા કલેકટર કચેરીએ આવ્યા હતા. તેમની સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ હતા. ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જ ખાડિયા વોર્ડમાં વિજયી થશે. કોંગ્રેસના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખડીયાથી ઉમેદવારી નોંધાવવા મોટી વાતો કરતા હતા, પરંતુ હવે તે ગુમ છે. જમાલપુર અને બહેરામપુરામાં ભાજપ જ વિજયી થશે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા કલેકટર ઓફિસે ધસારો

સૈજપુર-બોઘા વોર્ડ ભાજપ 1995 થી જીતે છે : મહાદેવ દેસાઈ

સૈજપુર-બોઘા વોર્ડના ભાજપના ઉમેદવાર મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, 1995 થી કોર્પોરેશનની ચૂંટણીમાં સૈજપુર-બોઘા વોર્ડમાં ભાજપ વિજયી થાય છે. તેઓ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને કેન્દ્ર અને રાજ્યમાં કરેલા કાર્યોને પ્રજા વચ્ચે લઈ જશે અને વિજય બનશે.

35 વર્ષથી નરોડા વોર્ડ ભાજપ માટે અળખામણો : મહેન્દ્રસિંહ ગોહિલ

નરોડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 35 વર્ષથી નરોડા ભાજપનું સાશન છે. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનો વિકાસ થયો નથી. નરોડા વોર્ડ પ્રત્યે ભાજપના શાસકોએ દ્વેષ રાખ્યો છે. ત્યારે ભાજપને પ્રજા જાકારો આપશે અને કોંગ્રેસ વિજયી થઈને વોર્ડમાં વિકાસના કાર્યો કરશે.

મારી પસંદગીના ઉમેદવાર નારોડમાં મળ્યા : બલરામ થાવાણી

નરોડા વિધાનસભામાં સરદાર નગર, કુબેર નગર અને નરોડા એમ ત્રણ વોર્ડ આવે છે. આ વોર્ડના ભાજપના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા ફોર્મ ભરવા તેમની સાથે ભાજપના નરોડાના વિવાદાસ્પદ ધારાસભ્ય બલરામ થાવાણી આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમના વિધાનસભા મતવિસ્તારમાં આવતાં ત્રણ વોર્ડના 12 ઉમેદવાર છે. આ ઉમેદવારો પાર્ટીએ તેમની પસંદગીના આપ્યા છે. આ બધા જ ઉમેદવારો વિજય થશે. ઉલ્લેખનીય છે કે, નરોડા વોર્ડમાં ભાજપમાંથી સરદાર નગર અને કુબેરનગરમાં સૌથી વધુ ફોર્મ ભરાયા હતા.

23 વર્ષની ઉંમરે પાર્ટીએ મને ટીકીટ આપી હતી : ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા

સૈજપુર-બોઘા વોર્ડના ભાજપના સીટીંગ કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા નવા ઉમેદવારોની હિંમત વધારવા ફોર્મ ભરવા સાથે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 23 વર્ષની ઉંમરે પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી. આમ જ્યારે હું યુવાન હતો ત્યારે પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી. તેથી યુવાઓને ટીકીટ આપવાના પાર્ટીના નિર્ણયથી તેઓ ખુશ છું. દિનેશ મકવાણા છેલ્લી ચાર ટર્મથી સૈજપુર-બોઘા વોર્ડમાંથી વિજયી થતા આવ્યા છે. 10 વર્ષથી તેઓ અમદાવાદના ભાજપના અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ રહયા છે. દિલ્હીમાં હિન્દુસ્તાન એન્ટિ બાયોટિક લિમિટેડમાં પણ તેમને ડાયરેક્ટરનું પદ મળ્યું હતું. તેથી તેમને ટીકીટ ન મળતા તેમની સાથે કોઈપણ પ્રકારના અન્યાય થયો નથી.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા કલેકટર ઓફિસે ધસારો

હું ભાજપની વિચારધારાથી જોડાયેલો અને રહીશ : બીપીન પટેલ

અસારવા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર બીપીન પટેલ જણાવ્યું હતું કે, તેઓ 29 વર્ષના હતા. ત્યારે પાર્ટીએ તેમને કોર્પોરેટર બનાવ્યા હતા. ચાર ટર્મ તેઓ કોર્પોરેટ રહયા છે. આ ઉપરાંત તેઓ ભાજપમાં અમદાવાદ શહેરના મંત્રી તરીકે પણ રહ્યા છે. તેઓ ભાજપના કાર્યકર પહેલા છે.ભાજપની વિચારધારાથી તેઓ જોડાયેલા છે અને રહેશે.

કોંગ્રેસ અને NCPનું ગઠબંધન

કુબેરનગર વોર્ડથી એનસીપીના ઉમેદવારની નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર રહી છે. મહારાષ્ટ્રમાં પણ આ ગઠબંધન છે. ત્યારે અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાંથી તેઓ વિજય થશે. પાણી, ગટર, રોડ અને રસ્તા કુબેરનગરને આપવાના તેમની પ્રાથમિકતા રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે, 21 ફેબ્રુઆરીએ તમામ 06 મહાનગરપાલિકાઓમાં મતદાન છે. મત ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે. 6 મહાનગરપાલિકાઓ માટે કુલ 4,235 ફોર્મ આવ્યા છે.
પરંતુ કેટલાક ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચશે, જ્યારે કેટલાક ફોર્મ અધુરી વિગતો કે અન્ય કારણોસર રદ પણ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details