ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં આગની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેતું નથી, તંત્રની ઘોર બેદરકારી...

અગ્નિને પાવક પણ કહેવાય છે, પરંતુ આ પાવકની જ્વાળાઓ જિંદગીને ભરખનારી થાય ત્યારે તે સ્માશાગ્નિ બની જાય છે. અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કારખાનાઓની વચ્ચે 4 નવેમ્બરે કેમિકલ બ્લાસ્ટથી બનેલી આગની ઘટનાને લઈને 12 વ્યક્તિએ પોતાનું જીવન ગુમાવ્યું છે. અહીંની નાનુભાઈ-રેવાકાકા એસ્ટેટમાં આવેલા સાહિલ કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટના પ્રચંડ ધડાકામાં મજબૂત એવા આરસીસી બાંધકામ ધરાવતાં ગોડાઉનના ચીંથડેચીંથડા ઊડી ગયાં, ત્યાં માનવદેહની શી હાલત થઈ હોય તે વિચારતાં પણ કંપારી વછૂટી જાય. ત્યારે આ પ્રકારની ઘટનાઓને લઈને થોડા દિવસો સુધી પ્રચૂરમાત્રામાં વાતો થાય છે અને શોકાંજલિઓ અપાય છે, વિરોધપક્ષોના કાર્યક્રમો પણ થાય છે અને વળી કોઈ નવા પ્રચંડ આગના બનાવમાં વધુ માનવ જિંદગીઓ હોમાઇ જાય ત્યાં સુધી બધા પર રાખ વળી જાય છે. આ ઘટનાને લઈને અમુક બાબતો પર વધુ એકવાર વિચાર કરવો જરુરી બન્યો છે.

By

Published : Nov 5, 2020, 7:48 PM IST

ગુજરાતમાં આગની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેતું નથી, તંત્રની ઘોર બેદરકારી...
ગુજરાતમાં આગની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેતું નથી, તંત્રની ઘોર બેદરકારી...

  • ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો
  • આ વર્ષમાં અમદાવાદમાં બની આગની જીવલેણ ઘટનાઓ
  • 4 સપ્તાહમાં 8થી વધુ આગની ઘટનામાં 24 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
  • ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી
  • 12 શ્રમિકોના ભોગ લેનાર ઘટના મેયર માટે સામાન્ય ઘટના હતી...

અમદાવાદઃ પીરાણાવાળી આ ઘટનામાં જે કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો તેની જ દીવાલ સાથે જોડાયેલાં અન્ય ગોડાઉન પણ કેટલાક લોકો માટે સ્મશાન-કબ્રસ્તાન સમાન બની ગયાં. કાપડને પ્રોસેસ કરી સાડી અને ડ્રેસ મટીરિયલ બનાવતાં અને પેકિંગ કરતાં બે ગોડાઉનમાં કામ કરતાં લોકો આ ઘટનામાં સૌથી વધુ ભોગ બન્યાં છે. ઘટના સમયે ત્યાં ચોવીસેક લોકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, તેમાંથી 12 વ્યક્તિના મોત નીપજી ચૂક્યાં છે. ભોગ બનનારાંઓમાં શ્રમિકોનો જ સમાવેશ થાય છે. વર્ષોથી ચાલી રહેલી ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં આરડીએક્સ ધડાકાની યાદ અપાવે એવો પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેની તીવ્રતા એટલી બધી હતી કે, આસપાસના 4 ગોડાઉન ધ્વસ્ત થઈ ગયાં અને મૃતદેહોના અંગો 25 ફૂટ દૂર ઉછળ્યાં હતાં, ભલે પછી આ ઘટના અમદાવાદના મેયર બીજલ પટેલને સામાન્ય લાગી હોય! ઘટનાનો અનુભવ જેમને થયો તેમણે જણાવ્યું હતું કે, ધડાકાનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો અને ભૂકંપ જેવો અનુભવ થયો હતો. જે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેની બાજુમાં કાપડ પ્રોસેસ હાઉસમાં જે 10 લોકો કામ કરી રહ્યાં હતાં તેઓ ત્યાંજ દટાઈ ગયાં હતાં અને ભાગવાનો મોકો પણ મળ્યો નહોતો. આ અત્યંત શોકાતુર કરનારી ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

ગુજરાતમાં આગની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેતું નથી, તંત્રની ઘોર બેદરકારી...
આ બધું જ શંકાસ્પદ!...

ઘટના પછી એફએસએલ ટીમે લીધેલાં નમૂનાઓમાં 4 કેમિકલની ઓળખ થઈ છે તેમાંનું એક કેમિકલ જે એમઈજી તરીકે ઓળખાયું છે તે સૌથી વધુ વિસ્ફોટક હતું. જેના કારણે 100 ટન વજનનું આરસીસી બાંધકામ તૂટી પડ્યું હતું. લગભગ 100 જવાનોએ 13 કલાકથી વધુ બચાવકાર્ય કર્યું, ફાયરવિભાગની 24 ગાડીઓ કામે લાગી હતી પણ ફેકટરીના સંશાધનોમાં આગને કાબૂમાં લેવા કોઈ જ વ્યવસ્થા જોવા મળી નહોતી. પ્રચંડ વિસ્ફોટકો ભરેલી ફેક્ટરીનું ગોડાઉન ત્રણ વર્ષથી ચાલતું હતું પણ આ નત ગોડાઉન પાસે ઓનઓસી હતું, ન તો ફિટનેસ સર્ટિફિક્ટ હતું કે ન તો જીપીસીબીએ ચેકિંગ કરેલું હતું કે ન તો સોલિડ વેસ્ટ વિભાગનું લાયસન્સ લેવાયું હતું. આટલા ગંભીર પ્રકારની ધાંધલી છેવટે 12 લોકોને મોતના મુખમાં ઓરી ગઇ અને તેમના પરિવારને નોંધારા કરી ગઈ. પોલીસે કેમિકલ ફેક્ટરીના માલિક હેમંત સુતરિયાને પકડી લીધો છે પણ બટા ભરવાડ કોણ છે અને ક્યાં છે તેની કોઇ જાણકારી સામે આવી નથી. તેનું નામ પણ ન આવે તેવી તકેદારી કેમ લેવાઈ રહી હોય તેવું લાગે છે?

ગુજરાતમાં આગની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેતું નથી, તંત્રની ઘોર બેદરકારી...
કેમિકલ બ્લાસ્ટની આ પ્રકારની આ પ્રથમ દુર્ઘટના છે...

કેમિકલથી થયેલાં બ્લાસ્ટમાં 12 વ્યક્તિના મોત થયાં હોય તેવી આ રાજ્યની પ્રથમ ઘટના પણ છે. આ પહેલાં ભરુચમાં જીએનએફસીમાં કેમિકલ રીએક્શનમાં આવા પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયાં હતાં. 2003માં થયેલી આ ઘટના કરતાં પણ વધુ તીવ્રતા ધરાવતો આ વિસ્ફોટ બન્યો છે. સાદી સમજમાં કહેવું હોય તો ગેસના 10 બાટલા એકસાથે વિસ્ફોટ પામે તેવા પ્રકારની તીવ્રતાનો આ બ્લાસ્ટ હતો. આસપાસનું બધું જ તૂટી પડતાં એ પણ મુશ્કેલી થઈ છે કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો તેનું ઉદભવસથાન કયું હતું. કારણ કે, આસપાસમાં તમામ સ્લેબ અને બાંધકામ તૂટી ગયાં છે.

ફાયર સેફ્ટીના નિયમોને ઘોળીને પી જવાતાં બનેલી આવી અન્ય ઘટનાઓ...

આ ઘટના સાથે આવી જ આગની અન્ય ઘટનાઓ લોકોના મનમાં તાજી થઈ રહી છે જે નજીકના ભૂતકાળમાં બની છે. આ તમામમાં ક્યાંકને ક્યાંક ફાયર સેફ્ટીના નિયમોને તાક પર મૂકી દેવાયેલાં હતાં એ સત્ય સામે આવ્યું છે. ગત 10 મહિનામાં આવી છ જીવલેણ દુર્ઘટનાઓ બની છે અને તેમાં 39 લોકોના જીવ હોમાઈ ગયાં છે. આમાં 3 તો પ્રોસેસ હાઉસની આગનીઘટનાઓ છે. જેમાં 26 જણાંનો ભોગ લેવાઈ ગયો છે. આ ઘટનાઓમાં એવી ગોળગોળ માહિતીઓ આપવામાં આવતી હોય છે કે આ ઘટનાનો ઓળીયોઘોળીયો વળી જાય અને અનેક લોકોના જીવન લેનાર ગોડાઉન કે પ્રોસેસહાઉસ કે ફેકટરીનો માલિક ક્યાંય ચિત્રમાં આવે જ નહીં અને આમ વળી એક નવી ઘટના બને ત્યાં સુધી બધું ભૂલાવી દેવામાં આવે.

2020માં જ બનેલી આગની ગોઝારી ઘટનાઓ...

આ વર્ષમાં બનેલી અગ્નિકાંડની આ છ્ઠ્ઠી ગોઝારી ઘટના છે. અમદાવાદ એક સમયે માન્ચેસ્ટર કહેવાતું હતું. હવે મિલો તો રહી નથી પણ કાપડના પ્રોસેસ હાઉસના સ્વરુપમાં કાપડ ઉદ્યોગ ધમધમે છે. પણ એએમસી, ફાયર વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ અને જીપીસીબીનું તંત્ર, બધે એટલાં આંખમીંચામણા થતાં રહ્યાં છે કે બધાં નિયમ કાગળના ઘોડારુપે જ દોડી રહ્યાં છે. અમદાવાદમાં જ બનેલી ગોઝારી ઘટનાઓ પર ઉપલક નજર કરીએ તો શ્રેય હોસ્પિટલની ઘટના જેમાં 8 કોરોના દર્દીઓના મોત થયાં હતાં. નારોલની ચિરિપાલ ફેક્ટરીમાં લાગેલી આગ પણ ઉલ્લેખનીય છે કે જે નંદન એક્ઝિમ આગ ઘટના તરીકે લોકો જાણે છે તેમાં પણ 8 કર્મચારીઓના મોત થયાં હતાં. ચિરિપાલ જૂથની જ ઘોળકામાં આવેલી વિશાલ ફેબ્રિક્સમાં આગ લાગવાની ઘટના પણ આ વર્ષની જ છે. જેમાં 6 લોકોના મોત નીપજ્યાં હતાં. ઓઢવની લોટસ લેબલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં 3 લોકોના મોત થયાં હતાં. તો ગોતાના ગણેશ જીનેસીસ ટાવરની આગમાં 2 લોકો હોમાઈ ગયાં હતાં. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આગની ઘટના હોય કે સુરતમાં ઘટેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટના હોય આમાં ક્યાંય પણ ફાયર એનઓસી ન હતી તે સામે આવ્યું હતું.

2013થી 2018 સુધીમાં ઔદ્યોગિક અકસ્માતોમાં 1239 લોકોના જીવ ગયાં....

રાજ્યની અન્ય ઘટનાઓની વાત કરીએ તો છેલ્લાં 4 સપ્તાહમાં 8થી વધુ ઔદ્યોગિક અકસ્માત થયાં તેમાં 24 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. ગુજરાતમાં 2013થી લઇને 2018 સુધીના ઔદ્યોગિક અકસ્માતોમાં 1239 જિંદગીઓ હોમાઈ ગઈ છે. આમાં અમદાવાદમાં 161, સુરતમાં 203, ભરુચમાં 152, વલસાડમાં 116 અને અન્ય જિલ્લાઓમાં 507 લોકો આવી દુર્ઘટનાઓમાં મોતના મુખમાં ધકેલાયાં છે. ગુજરાતમાં અંદાજે 31,500 ફેક્ટરીઓ ધમધમે છે. જેમાં 16.93 લાખ કામદારો જીવનના જોખમે કામ કરી રહ્યાં છે. ઔદ્યોગિક એકમોમાં નિયમનોની ઐસીતૈસી કરી ખાવામાં ભ્રષ્ટાચારી વલણ જેટલું જવાબદાર છે તેટલું જ સરકારના વિભાગોનું એક વલણ પણ જવાબદાર છે. એક માહિતી પ્રમાણે ઔદ્યોગિક એકમોમાં સેફ્ટીની ચકાસણી માટે કામ કરવા માટે સરકાર પાસે 50-55 ટકા સ્ટાફ જ નથી, લો બોલો, શું કહેશો હવે? સરકારની જ આવી લાલીયાવાડી હોય ત્યાં નફાખોરી માટે કામ કરતાં ફેકટરી માલિકો શ્રમિકોની જિંદગીને આગની ચિનગારીઓમાં ઝોંકી મારે તો ભોગ બનનારાઓના પરિવારજનોનો આક્રોશ શું કરી શકશે...

ABOUT THE AUTHOR

...view details