ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરાનાકાળમાં ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન, 8 બેઠકો પર કોણ જીતશે અને કોણ હારશે?

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પુર્ણ થઈ છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કોરોના કાળ ચાલી રહ્યો છે, તેમાંય 8 બેઠકો પર સરેરાશ 58.14 ટકા મતદાન નોંધાયું છે. રાજ્ય ચૂંટણી પંચની કામગીરી ખૂબ જ સુંદર રહી છે, રાજ્ય ચૂંટણી પંચે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને મતદાનની પ્રક્રિયાને સુપેરે પાર પાડી છે, જેને કારણે જ મતદાર મતદાન મથક સુધી મત આપવા આવ્યા છે.

By

Published : Nov 4, 2020, 12:08 AM IST

ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન
ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન

અમદાવાદ : 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે, હવે 10 નવેમ્બરે પરિણામ આવશે, ત્યારે મતદારોનો ઝોક કઈ તરફ છે તેની સારી ખબર પડશે. કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાયા, અને ભાજપે આવા 5 ધારાસભ્યોને ટિકીટ આપી. આવા પક્ષ પલટો કરીને ઉમેદવારને મતદાર સ્વીકારે છે કે પક્ષને માન આપીને મત આપે છે.
આવો આપણે 8 બેઠકવાર વિશ્લેષણ પર એક નજર કરીએ…

(1) કચ્છની અબડાસા બેઠક- 61.31 ટકા મતદાન

કચ્છની અબડાસા બેઠક 6200 ચોરસકિલોમીટરનો વિસ્તાર ધરાવતી બેઠક છે, જેમાં 3 તાલુકા આવે છે અને 2 લાખ 34 હજાર મતદારો છે. અબડાસા બેઠક પર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પદ્મુમનસિંહ જાડેજા વિજેતા થયા હતા. આ પદ્મુમનસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. 3 નવેમ્બર, 2020ના રોજ પેટા ચૂંટણી યોજાઈ તેમાં ભાજપે ફરીથી પદ્મુમનસિંહ જાડેજાને ટિકીટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે ડૉકટર શાંતિલાલ સીંગાણી પાટીદાર નેતાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ અને કોંગ્રેસની સીધી લડાઈમાં વચ્ચે ત્રણ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના મત કપાશે, એવું ગણિત મુકી શકાય.
અબડાસા બેઠકમાં કુલ 2,34,000 મતદારો છે, જેમાં 62 હજાર મુસ્લિમ મતદારો છે, 32 હજાર અનુસુચિત જનજાતિના ઉમેદવારો છે. 30થી 32 હજાર ક્ષત્રિય મતદારો છે. અને તેટલા જ પાટીદાર મતદારો છે. અબડાસા બેઠક પરથી કોંગ્રેસ જીતતું આવ્યું છે. પણ આ વખતે ભાજપે બે અપક્ષ ઉમેદવારોને ઉભા રાખ્યા છે, એવું કહેવાઈ રહ્યું છે. ને એક અપક્ષમાં મુસ્લિમ ઉમેદવાર છે. અપક્ષ ઉમેદવાર મજબૂત છે, એમ મનાઈ રહ્યું છે. આ અપક્ષ ઉમેદવાર મતો તોડશે. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની હારજીત હાલ નક્કી કરવી ખૂબ મુશ્કેલ છે. જે પણ ઉમેદવાર જીતશે તે પાતળી સરસાઈ સાથે જીતશે.

(2) સુરેન્દ્રનગરની લીંબડી બેઠક- 56.04 ટકા મતદાન

લીંબડીમાં કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,43,853 પુરુષ અને 1,28,194 મહિલા મતદારો છે. લીંબડી બેઠક પર ભાજપમાંથી સૌથી વધુ વખત કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચુક્યા છે. દર વખતની લીંબડી બેઠક પર રસાકસી રહી છે. 2002માં કિરીટસિંહ રાણા કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ સામે અત્યાર સુધીમાં સૌથી વધુ 19, 743 મતની લીડથી જીત્યા હતા. તેની સામે 2012માં ભાજપના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 1561 મતની સરસાઈ મળી હતી. 2017માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના સોમાભાઈ ગાંડાભાઈ પટેલ જીત્યા હતા. કોંગ્રેસના આ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું. પણ ભાજપે તેમને ટિકીટ આપી નહી, પેટા ચૂંટણીમાં ભાજપે જૂના જોગી એવા કિરીટસિંહ રાણાને ફરીથી ટિકીટ આપી. તો તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર યુવા નેતા ચેતન ખાચરને ટિકીટ આપી હતી.

ચેતન ખાચર સામે વિવાદ થયો, બીજી તરફ સોમાભાઈ ગાંડાભાઈએ રૂપિયા 10 કરોડ લીધા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તેવો વિડીયો વાયરલ થયો. એટલે કોંગ્રેસ સામે રોષ હોય તે સ્વભાવિક છે. જેથી લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાનો વિજય થાય તે નિશ્રિત છે, પણ સામે મતદાન વધુ થયું છે, જે કોંગ્રેસને ફાયદાકારક રહેશે. જેથી ભાજપની જીત થાય તો પણ ખૂબ ઓછા માર્જિન સાથે જીત થશે.

(3) મોરબી- 51.88 ટકા મતદાન

મોરબી ગુજરાતનું ઉદ્યોગ નગર છે. મોરબીમાં કુલ 2,71,467 મતદારો છે. મોરબી બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ છે. ભાજપના કાંતિભાઈ અમૃતિયા 5 ટર્મથી સતત ચૂટાઈ આવ્યા હતા. જો કે પાટીદાર આંદોલન પછી 2017માં ભાજપે મોરબી બેઠક ગુમાવી હતી. અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. પણ રાજ્યસભાની ચૂંટણી વખતે બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું અને હવે તેઓ ભાજપના જ ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડ્યા છે. તેમની સામે કોંગ્રેસમાંથી જયંતિલાલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જો કે મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઈટ થઈ છે. બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જેનો રોષ ચૂંટણીમાં જોવા મળે તેવી પુરી શક્યતા છે. આયાતી ઉમેદવારને મતદારો જાકારો આપે તો નવાઈ નહી. ભાજપ કે કોંગ્રેસ નો જે પણ ઉમેદવાર જીતશે તે ઓછી સરસાઈ મેળવીને જીત મેળવશે. જેથી મોરબી બેઠક પર સ્પષ્ટ અભિપ્રાય બાંધવો મુશ્કેલ છે.

(4) ધારી- 45.74 ટકા મતદાન સૌથી ઓછુ

2017માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે.વી.કાકડિયાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે દિલીપ સંઘાણી પર દાવ ખેલ્યો હતો, જેમાં કોંગ્રેસ ઉમેદવાર જે.વી.કાકડિયાને 66,644 મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર દિલીપ સંઘાણીને 51,308 મત મળ્યા હતા. આમ ધારી બેઠક પર કોંગ્રેસના કાકડિયા જીત્યા હતા. રાજ્યસભાની ચૂંટણી સમયે જે વી કાકડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ અને પેટા ચૂંટણીમાં ભાજપે જે વી કાકડિયાને ટિકીટ આપી તેમની સામે કોંગ્રેસે સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા હતા.
ધારી બેઠકનો ઈતિહાસ છે કે પક્ષ પલટો કરીને આવનારને મતદારો સ્વીકારતા નથી. 2007માં ભાજપના ઉમેદવાર બાલુભાઈ તંતી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા, અને કોંગ્રેસે તેમને જ ટિકીટ આપી ત્યારે ભાજપના મનસુખ ભુવાએ બાલુભાઈ તંતીને હરાવ્યા હતા. ત્યારે ધારી બેઠક પર ભાજપ જીત્યું હતું. 2020માં યોજાયેલી પેટા ચૂંટણીમાં અપક્ષ પિયુષ ઠુમ્મરનો વર્ચસ્વ વધારે રહ્યું છે, મતનું વિભાજન કરશે. તેમજ ધારીની જનતા પક્ષ પલટો કરીને આવેલા જે વી કાકડિયાને સ્વીકારશે નહી. બીજુ ધારીમાં મતદાન 43 ટકા મતદાન ઓછું થયું છે. જેથી કોંગ્રેસ બાજી મારે તેવી શકયતા છે.

(5) ગઢડા- 47.86 ટકા મતદાન

ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવું ગઢડા શહેર 'સ્વામીના ગઢડા' તરીકે પણ ઓળખાય છે. ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,50,989 છે, જેમાં પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા 1 લાખ 20 હજાર 326 છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગઢડા બેઠક પર કોંગ્રેસના પ્રવીણ મારૂ 10 હજાર મતથી વિજયી થયા હતા. પ્રવીણ મારૂએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેતા તે ખાલી પડેલી ગઢડા બેઠક પર ભાજપે આત્મારામ પરમારને ટિકીટ આપી હતી, અને કોંગ્રેસે મોહન સોલંકીને ટિકીટ આપી હતી. ગઢડા ભાજપનો ગઢ છે, જેથી પેટા ચૂંટણીમાં ભાજપના આત્મારામ પરમારની જીત થાય તેવી શકયતા વધારે જોવાઈ રહી છે. તેમ છતાં આત્મારામ પરમાર અગાઉ ત્રણ વખત ચૂંટાયા હતા, ત્યારે જનતાના કોઈ કામ કર્યા નથી, જેથી રોષ જોવા મળતો હતો. તેમની સામે કોંગ્રેસના મોહન સોલંકી નવા ઉમેદવાર છે, જેથી પ્રજા તેમને સ્વીકારશે કે નહી, તે 10 નવેમ્બરે ખબર પડશે. જો કે આત્મારામ પરમાર જીતશે તો પાતળી સરસાઈથી જીત મેળવે તેવું બની શકે.

(6) કરજણ- 65.94 ટકા મતદાન

કરજણ બેઠકમાં કુલ 2.4 લાખ મતદારો છે. અહીં પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ વધારે છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બન્ને પાટીદાર ઉમેદવારને ટિકીટ આપી હતી. જેમાં કોંગ્રેસના અક્ષય પટેલે ભાજપના સતીશ પટેલને માત્ર 3,564 મતથી પરાજય આપ્યો હતો. હવે કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજનામુ આપ્યું અને ભાજપમાં જોડાયા, ભાજપે તેમને જ ટિકીટ આપી, સામે કોંગ્રેસમાંથી કિરિટસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી. આ અગાઉ અક્ષય પટેલ અને કિરિટસિંહ જાડેજા જૂના મિત્રો છે. અને આ વખતે બન્ને એકબીજા સામે ચૂંટણી લડ્યા છે. કરજણના મતદારો ખૂબ સમજદાર છે. અક્ષય પટેલને મત આપશે કે કિરિટસિંહ જાડેજાને…

સર્વે અનુસાર કરજણ બેઠકની ચૂંટણી ખૂબ રસાકસીવાળી બની છે. કરજણ પેટા ચૂંટણી વખતે મતદારોને 100-100 રૂપિયાની નોટ વહેંચવો વિડીયો વાયરલ થયો હતો. જેથી કરજણની ચૂંટણીમાં નવો વળાંક આવી શકે છે. તેમ છતાં ભાજપે બુથ લેવલે મેનેજમેન્ટ કર્યું છે, જેથી ભાજપના અક્ષય પટેલ જીત મેળવી તેવી સંભાવના છે.

(7) ડાંગ- 74.71 ટકા મતદાન સૌથી વધુ

ડાંગ વિધાનસભાની બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. આ બેઠક પર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે. જ્યારે જેડીયુ અને ભાજપને એક વખત જીત મળી છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના મંગળ ગાવીતે રાજીનામુ આપ્યા પછી અહીં પેટાચૂંટણી યોજાઈ છે. ડાંગમાં કુલ 1,78,157 મતદારો છે. આજે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે સીધો જંગ હતો. તે ઉપરાંત એક ઉમેદવાર બીટીપીનો હતો. જો કે ડાંગ બેઠક કોંગ્રેસની હોવાથી અહીં કોંગ્રેસના સૂર્યકાંત ગાવિત જીતી શકે છે, પણ અપક્ષ મતને તોડશે. બીજુ ડાંગમાં સૌથી વધુ મતદાન થયું છે, જેથી ભાજપને તેનો ફાયદો મળે તેવી પુરી શકયતા છે. પરિણામે ડાંગનું પરિણામ પણ ભારે ટફ ફાઈટવાળુ રહેશે.

(8) કપરાડા- 67.34 ટકા મતદાન

કપરાડા બેઠક વર્ષોથી કોંગ્રસનો ગઢ ગણાય છે. ગત ચાર ચર્મથી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જીતુભાઈ ચૌધરી જીતતા આવ્યા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને 93,000 મત મળ્યા હતા, તેઓ માત્ર 170 મતથી વિજયી બન્યા હતા. એટલે કે આ જીતુ ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું અને આ જ ભાજપે તેમને ફરીથી ટિકીટ આપી હતી. કપરાડા બેઠક પર કુલ 2,45,743 મતદારો છે. આ મતદારો પક્ષ પલટો કરીને આવેલા જીતુ ચૌધરીને મત આપ્યો હશે કે પક્ષને… તેના પર સૌની નજર છે.
જીતુ ચૌધરીને જીતાડવા માટે ભાજપે બુથ લેવલે મેનેજમેન્ટ કર્યું છે. જો ભાજપ હારે તો પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેમ છે. કોંગ્રેસે તેમની સામે બાબુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. કપરાડાના મતદારો પક્ષ પલટો કરીને ફરીથી ચૂંટણી લડવા આવેલાને સ્વીકારશે કે નહી, તે તો 10 નવેમ્બરે જ ખબર પડશે. પણ સર્વે પ્રમાણે કપરાડામાં કોંગ્રેસની જીત થાય તો નવાઈ નહી.

ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ગુજરાત

ABOUT THE AUTHOR

...view details