અમદાવાદઃ કોરોના વાઇરસ મહામારીએ સમગ્ર વિશ્વના લોકોની જીવન પદ્ધતિ બદલી નાખી છે. આ વાઇરસ જેટલો શારીરિક રીતે નુકસાન કરી રહ્યો છે એટલું જ નુકસાન લોકોને માનસિક રીતે પણ કરી રહ્યો છે. ત્યારે આ વાઇરસથી પોતાને કેવી રીતે બચાવવા અને માનસિક સ્વસ્થ્યતા કેવી રીતે કેળવવી તેની જાણકારી મેળવવા ETV ભારતે અમદાવાદ અને ગુજરાતમાં પ્રખ્યાત સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણી સાથે વાતચીત કરી હતી.
સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ઉપર સતત એવા લોકોના પણ ફોન આવે છે કે, જેઓ એવા ભયથી પીડાઈ રહ્યા છે કે ક્યાંક તેમને કોરોના વાઇરસ થઈ ગયો તો શુ થશે ? તેમના પરિવારનું શું થશે ? તેમના સંબંધીઓને કોરોના વાઇરસ થઈ ગયો તો તેમનું શુ થશે ? તો કેટલાક લોકોએ તો આ વાઇરસના ભયથી આત્મહત્યા કરવા સુધીના પગલાં ભર્યા છે. ત્યારે સારું જીવન જીવવા શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ જરૂરી છે. 17 મે ના દિવસે 'વર્લ્ડ હાઇપર ટેન્શન ડે' ઉજવાયો. એકલા ભારતમાં જ આશરે અઢી કરોડ જેટલા લોકો હાઈપર ટેન્શનથી પીડાય છે. હાઇપર ટેંશન એટલે સામાન્ય રીતે બ્લડ પ્રેશર. પરંતુ તેનું એક મુખ્ય કારણ અતિ ચિંતા જનક પણ છે અને સાથે સાથે લોકોની ખાણી-પીણીની આદતો ઉપર તે વધુ આધાર રાખે છે. કોરોના વાઇરસના કારણે જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમાંથી 75-76% લોકો કો-મોર્બીડીટી ધરાવતા હતા એટલે કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા જ પણ સાથે સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓથી પણ પીડિત હતા. આ વાઇરસથી મૃત્યુ પામનારનો રેશિયો 5 % જ છે એટલે કે 95% લોકોએ પોતાના શરીરના ઇમ્યુનિટી પાવરથી જ આ વાયરસને પરાસ્ત કર્યો છે. પરંતુ તેમ છતા અત્યારે આ વાઇરસને લઈને લોકોમાં ટેન્શન અને સ્ટ્રેસ જોવા મળે છે.
ETV ભારત સાથેની વાતચીતમાં સીનીયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભિમાણીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ સ્વસ્થ રહેવા માટે હેલ્થી લાઈફ-સ્ટાઈલ અપનાવી જોઇએ. જેમાં દરરોજ સવારે ઊઠીને યોગા, પ્રાણાયામ, મેડિટેશન અને હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ. ખોરાકમાં વધુ પડતું મીઠું ન લેવું, જેથી કિડનીની બીમારીને રોકી શકાય. પ્રોટીન, આર્યન, વિટામિન-C યુક્ત ખોરાક લેવો જોઈએ. આમળા, લીંબુ, સૂંઠ, તુલસી,આદુ વગેરે ઘરેલું ઔષધીઓનો ખોરાકનો ઉપયોગ વધારવો જોઇએ.'ગોલ્ડન મિલ્ક'એટલે કે હળદર વાળા દૂધનું સેવન કરવું જોઇર. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.