અમદાવાદ : કોરોના સંક્રમણ હવે દિનપ્રતિદિન ખુબજ વધી રહ્યું છે. કોરોનાને(corona) નિયંત્રણામાં લાવવા માટે આરોગ્ય વિભાગ(Department of Health) પણ હવે સજાગ બન્યું છે. સરકાર કોરોનાની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત બેઠકો બોલાવી રહી છે. આ સંદર્ભે આજે અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે સરકાર અને ટાસ્કફોર્સના સભ્યો વચ્ચે એક બેઠક યોજાઇ હતી, જેમાં સંયુક્ત રીતે લોકોને કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી હતી.
આરોગ્યપ્રધાને લોકોને અપીલ કરી
આરોગ્યપ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે, રાજ્યમાં દિવસે દિવસે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે SOP પણ જાહેર કરી છે, જેનું પાલન લોકોએ કરવું જોઇએ. પ્રજા SOPનું પાલન નહી કરે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ટાસ્કફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તેને ધ્યાને લઇ તમામ લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ, મેળાવડા કરવાનું ટાળવું જોઈએ, પ્રસંગોમાં ભીડ ન કરવી જોઈએ, લક્ષણો હોય તો આઇસોલેશન થઈ જવું, શરદી-ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો.
ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચે તફાવત જાણો
ટાસ્કફોર્સના સભ્ય ડો. અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે જે કેસો આવે છે તેમાં મોટાભાગના ઓમિક્રોનના કેસો છે. ગત વર્ષે આવેલા ડેલ્ટા અને ઓમિક્રોન બન્ને વચ્ચે મોટો તફાવત છે, ઓમિક્રોન કોઈપણ ઇમ્યૂનિટીને સામે પણ અસરકારક છે. ડેલ્ટા શરીરના અવયવોને નુકસાન કરતો હતો તો ઓમીક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાને ઓછું નુકસાન કરે છે જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછું દાખલ થવું પડે છે જેથી તમામ લોકોએ ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે.