- કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું નિધન
- 71 વર્ષની વયે નિધન થયું
- તેમનો જન્મ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામે થયો હતો
- 8 વખત ગુજરાતનું કર્યું હતું પ્રતિનિધિત્વ
અમદાવાદઃ અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ, 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું. એવું કહેવામાં આવે છે કે, તેમના પિતા કોંગ્રેસમાં હતા અને તેમના પિતાનો અનુભવ તેમને કામ લાગ્યો હતો.
અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર
અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. અહેમદ પટેલ 2001થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે.
1976થી રાજનૈતિક સફરની કરી હતી શરૂઆત
અહેમદ પટેલના લગ્ન 1976માં મેમૂના અહેમદ સાથે થયા હતા, તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. અહેમદ પટેલે તેમની રાજનૈતિક સફરની શરૂઆત 1976 માં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી. ત્યાર બાદ તેઓ પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. પછી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. અહેમદ પટેલ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અહેમદ પટેલે ઝંપલાવ્યું હતું. જેમાં ઈન્દિરા ગાંધી હારી ગયા હતા. જોકે, આ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતી ગયા હતા અને તેઓ પહેલીવાર લોકસભામાં સાંસદ બન્યા હતા.