નવી દિલ્હી:કેન્દ્રમાં મોદી સરકારના કારણે ટેક્સ ભરનાર લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા 6.18 ટકા વધીને 7.40 કરોડ થઈ છે અને તેમાંથી લગભગ 5.16 કરોડ લોકોએ કહ્યું કે, તેમની પાસે કોઈ કર જવાબદારી નથી. તેમણે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં ભારતનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20.33 ટકા વધીને રૂપિયા 19.68 લાખ કરોડ થયું છે.
લોન વસૂલાત સંવેદનશીલતા દાખવવી:લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, 'મેં એવી ફરિયાદો સાંભળી છે કે, કેવી રીતે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે કડક પગલાં લે છે. સરકારે જાહેર અને ખાનગી તમામ બેંકોને સૂચના આપી છે કે જ્યારે લોનની વસૂલાતની પ્રક્રિયાની વાત આવે ત્યારે કઠોર પગલાં લેવામાં ન આવે અને બેંકોએ આવી બાબતોમાં માનવીય રીતે સંવેદનશીલતા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.