ગુજરાત

gujarat

મોદી અને આઝાદ: રાજ્ય સભામાં વિદાય સન્માનનું રાજકારણ

By

Published : Mar 2, 2021, 8:06 PM IST

ગૃહમાંથી સભ્યની વિદાય થાય ત્યારે તેને સન્માન અપાય તે નવું નથી, પરંતુ રાજ્ય સભામાંથી ગુલામ નબી આઝાદને વિદાય આપવાની વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ભાવુક થયા તે નોંધપાત્ર હતું. રાજ્ય સભામાં વિપક્ષના નેતા તરીકે રહી ચૂકેલા આઝાદે પણ વિદાય વખતે કોંગ્રેસની વાત કરી તેના કરતાં વધારે વાત વડા પ્રધાન મોદી વિશે કરી. એક મહિના પહેલાંની એ ઘટનાના પડઘા હજીય પડી રહ્યા છે.

વિદાય સન્માનનું રાજકારણ
વિદાય સન્માનનું રાજકારણ

ન્યૂઝ ડેસ્ક : નરેન્દ્ર મોદીએ તેમની શૈલી પ્રમાણે ભાવુક થઈને રાજ્ય સભામાં પ્રવચન આપ્યું અને તે રીતે રાજ્ય સભામાં બીજા જે પણ નેતા વિપક્ષના નેતા તરીકે આવે તેમના માટે એક નવું ધોરણ પ્રસ્થાપિત કર્યું. તેમણે યાદ કર્યું કે કઈ રીતે આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતના બસ યાત્રીઓ પર હુમલો થયો ત્યારે વહારે આવ્યા હતા.

હકીકતમાં રાજ્ય સભાના ચાર સભ્યોની મુદત પૂરી થઈ તેમના માટે વિદાય હતી, પણ સમગ્ર વિદાય પ્રસંગના કેન્દ્રમાં ગુલામ નબી આઝાદ રહ્યા. અન્ય નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં શમશેર સિંહ, નઝીર અહમદ અને ફયાઝ અહમદનો સમાવેશ થતો હતો.

વિપક્ષના નેતાને વિદાય આપતી વખતે વડા પ્રધાન મોદીની આંખમાં આંસુ દેખાયા અને તેમના ખૂબ વખાણ કર્યા. સીધી રીતે તેમણે કલમ 370ની નાબુદીનો ઉલ્લેખ ના કર્યો, પરંતુ તેમણે વિદાય લઈ રહેલા રાજ્ય સભાના સાંસદો કઈ રીતે ઐતિહાસિક કાયદામાં સહભાગી બન્યા તેવી વાત કરી હતી. કદાચ તેના કારણે જ વળતી લાગણીની રીતે પોતાના વિદાય પ્રવચનમાં કલમ 370નો ઉલ્લેખ ના કર્યો કે એવી કોઈ વાત ના કરી જે ભાજપના એજન્ડામાં ફિટ ના બેસતી હોય.

રાજ્ય સભામાં લાગણીમય દૃશ્યો સર્જાયા તેના સૂચિતાર્થો હવે સ્પષ્ટ બનવા લાગ્યા છે. કોંગ્રેસના અસંતુષ્ટ 23 નેતાઓ (G 23)ની મુલાકાત કાશ્મીરમાં યોજાઈ. આ એ સભ્યો છે, જેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં મોટા પાયે ફેરફારોની માગણી કરી છે.

રાજકીય વર્તુળમાં એ વાત સૌ જાણતા હોય છે કે અહીં અજાણ્ય કોઈ લાગણી પ્રગટ થતી નથી. દરેક બાબત બહુ આયોજનપૂર્વક ભજવાતી હોય છે. આઝાદે ગત રવિવારે જમ્મુમાં જે ભાષણ આપ્યું તેમાં પણ તેમણે કોંગ્રેસને મજબૂત કરવાના બદલે વધારે વાતો તો નરેન્દ્ર મોદીની અને તેમની સાદગી અને સામાન્ય પશ્ચાદભૂમિની કરી. તેના કારણે કશુંક રંઘાઈ રહ્યું છે તે સ્પષ્ટ થવા લાગ્યું છે.

નવો થાળ તૈયાર થાય તેમાં બંને નેતાઓ શું શું પીરસશે તે માટેની ચર્ચાઓ થવા લાગી છે. આઝાદે વિપક્ષના નેતા તરીકે પોતાનું ભાષણ રાજ્ય સભામાં આપવાનું હતું ત્યારે પણ આઝાદે તટસ્થતા જાળવી હતી. તે હવે કઈ રીતે પોતાના તટસ્થપણાના સિદ્ધાંતને નેવે મૂકીને નરેન્દ્ર મોદી માટે સાનુકૂળ સક્રિયતા દાખવશે તે સવાલ છે. તેમણે નરેન્દ્ર મોદીના વખાણ તો કર્યા છે, પણ સાથે જ કોંગ્રેસ સાથેના નાતાને અને ગાંધી પરિવાર માટેની લાગણીને પણ છોડી નથી.

નરેન્દ્ર મોદી અને ગુલામ નબી આઝાદ કઈ બાબતે એક સમાન ભૂમિ પર ભેગા થશે તે જોવાનું રસપ્રદ નીવડશે. વિપક્ષી છાવણીના એક મુસ્લિમ ચહેરાનો નરેન્દ્ર મોદી કેવી રીતે ફાયદો લેશે? તેઓ તટસ્થ રહ્યા છે, હાડોહાડ રાષ્ટ્રવાદી રહ્યા છે, જમ્મુ અને કાશ્મીરના નેતા છે અને હવે G-23નું પણ નેતૃત્ત્વ કરી રહ્યા છે. આવા નેતા માટેની મોદીની લાગણી તેમનું મહત્ત્વ વધારી દે છે.

G-23ના નેતા તરીકે હવે આઝાદ આગળ આવી રહ્યા છે અને તેમણે એક નવો મોરચો એ રીતે ખોલ્યો છે. આ જૂથના નેતાઓએ પોતાની કેમ્પેઇનની શરૂઆત કરવા માટે જમ્મુની પસંદગી કરી તે પણ અગત્યનું છે, કેમ કે આગામી મહિનાઓમાં ચાર રાજ્યો અને પુડુચેરીમાં ચૂંટણીની જાહેરાત થઈ છે.

ચૂંટણી પંચે મહત્ત્વના રાજ્યો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરી તેના થોડા જ દિવસોમાં જમ્મુમાં આ પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી આસામમાં પ્રચાર માટે ફરવા લાગ્યા છે. તેમણે પ્રથમ વાર આસામની મુલાકાત લીધી, પણ G-23 જૂથના નેતામાંથી ભાગ્યે જ કોઈ તેમની સાથે જોડાયું હતું.

આઝાદ અને તેમના સાથીઓએ બીજી પણ રસપ્રદ બાબતો પ્રદર્શિત કરી હતી. જમ્મુમાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું તે પણ મહત્ત્વનું છે, કેમ કે જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્ય તરીકેનો દરજ્જો ફરી સ્થાપવામાં આવે તે માટેની માગણી જોર પકડી રહી છે. આઝાદ રાજકીય રીતે સક્રિય થઈ રહ્યા છે ત્યારે રાજ્ય તરીકેના દરજ્જાને ફરીથી સ્થાપવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે.

આ અવાજ ઊઠાવી રહેલા કોંગ્રેસી નેતાઓ દેખીતી રીતે જ રાહુલ ગાંધી બિનહરિફ કોંગ્રેસના પ્રમુખ ફરી બની જાય તેવું થવા દેવા માગતા નથી. આમ છતાં ચૂંટણી થાય અને તેઓ રાહુલ સામે પોતાના ઉમેદવારને જીતાડીને પ્રમુખ ના બનાવી શકે, ત્યાર પછી આ જૂથે કોંગ્રેસમાંથી અલગ થવા સિવાય કોઈ આરો રહેશે નહીં. અસંતુષ્ટ કોંગ્રેસીઓનું આ જૂથ જુદું પડે અને નવા નેતા નીચે નવી પાર્ટી બનાવે તે જ વિકલ્પ બાકી રહે છે. એવા સંજોગોમાં ગુલામ નબી આઝાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો જાળવી રાખવા માટેનું ઇચ્છશે. તેઓ વારંવાર મોદીનું નામ લઈ રહ્યા છે તેમાંથી આવો જ પડઘો પડી રહ્યો છે.

  • બિલાલ ભટ

ABOUT THE AUTHOR

...view details