નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે મણિપુર સરકારને આદેશ આપ્યો છે કે તે રાજ્યમાં સાર્વજનિક પૂજા સ્થાનોની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને જણાવે. મણિપુરમાં મે મહિનામાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 170થી વધુ લોકોના મોત થયા છે.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે પૂજા સ્થાનોના નવીનીકરણના મુદ્દા પર વિચારણા કરતા કહ્યું કે રાજ્ય સરકારે હિંસા દરમિયાન નુકસાન પામેલા ધાર્મિક સ્થળોની ઓળખ કર્યા પછી બે અઠવાડિયાની અંદર સમિતિને એક વ્યાપક સૂચિ સુપરત કરવી જોઈએ. ખંડપીઠમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ હાજર હતા. ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે આવા બાંધકામોની ઓળખમાં તમામ ધાર્મિક સ્થળોનો સમાવેશ થશે. તેમણે કહ્યું, 'મણિપુર સરકારે સાર્વજનિક ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે સમિતિને જાણ કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે મે મહિનાથી થયેલી હિંસા દરમિયાન ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામેલા સાર્વજનિક પૂજા સ્થાનોને પુનઃસ્થાપિત કરવા સહિત અનેક પગલાઓ પર એક વ્યાપક દરખાસ્ત તૈયાર કરવાની સમિતિને મંજૂરી પણ આપી છે. કોર્ટ અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી છે જેમાં હિંસાના કેસોની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવા સિવાય રાહત અને પુનર્વસન માટે લેવામાં આવેલા પગલાઓ વિશે જણાવવા વિનંતી કરવામાં આવી છે.
જસ્ટિસ (નિવૃત્ત) ગીતા મિત્તલની અધ્યક્ષતામાં હાઈકોર્ટના ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશોની એક સમિતિની નિમણૂક કરી હતી. તેમાં જસ્ટિસ (નિવૃત્ત) શાલિની પી. જોશી અને જસ્ટિસ આશા મેનનનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની યાદીમાં બિન-આદિવાસી મીતેઈ સમુદાયનો સમાવેશ કરવા માટે વિચારણા કરવા માટે ઉચ્ચ ન્યાયાલયના આદેશને પગલે મે મહિનામાં મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 170 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
- મદ્રાસ હાઈકોર્ટે IPS અધિકારીને ધોની વિરુદ્ધ બદનક્ષી બદલ 15 દિવસની જેલની સજા ફટકારી
- રાજસ્થાનમાં ભજનલાલ શર્માનું રાજતિલક, 14માં મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ