ગુજરાત

gujarat

By

Published : Oct 5, 2021, 2:28 PM IST

ETV Bharat / bharat

ખુશખબર: તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન

ઉત્તરાખંડ હાઈકોર્ટે (Uttarakhand High Court) તમામ શ્રદ્ધાળુઓને ચારધામના દર્શનની પરવાનગી આપી દીધી છે. યાત્રીઓએ કોવિડ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ પહેલા હાઈકોર્ટે ચારધામ (Chardham Yatra) માટે શ્રદ્ધાળુઓના દરરોજના દર્શન માટે સંખ્યા નક્કી કરી હતી. હવે ચારધામ જવા માટે નક્કી કરવામાં આવેલી શ્રદ્ધાળુઓની સંખ્યાનું બેરિયર હટાવી દેવામાં આવ્યું છે. હવે જે પણ શ્રદ્ધાળુ ચારધામ જવા ઇચ્છે છે તેઓ જઈ શકે છે. તેમણે ફક્ત કોવિડ નિયમો અને ગાઈડલાઈન (Covid Guidelines)નું પાલન કરવાનું રહેશે.

તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન
તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન

  • ચારધામના દર્શન માટે તમામ શ્રદ્ધાળુઓને પરવાનગી
  • શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે
  • આગામી સુનાવણી 17 નવેમ્બરના થશે

નૈનીતાલ: ઉત્તરાખંડ હાઈકોર્ટ (Uttarakhand High Court)માં આજે ચારધામ યાત્રા (Chardham Yatra)ને લઇને સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ચારધામના દર્શન કરવાની પરવાનગી તમામ શ્રદ્ધાળુઓને આપી દીધી છે. સાથે કોર્ટે એ પણ કહ્યું છે કે, તમામ શ્રદ્ધાળુ કોવિડના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરે.

આગામી સુનાવણી 17 નવેમ્બરના થશે

કોવિડના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી વહીવટીતંત્રની રહેશે. DLSA આનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ કહ્યું છે કે ચારધામમાં મેડિકલની સુવિધા (Medical Facilities in Chardham) વધારવામાં આવે. સીરિયસ કેસો માટે ચોપરની વ્યવસ્થા કરવામાં આવે. તેની જાણકારી માટે વેબસાઇટ પર મોબાઇલ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવે. આ મામલે આગામી સુનાવણી 17 નવેમ્બર તારીખ નક્કી કરવામાં આવી છે.

સરકારે શ્રદ્ધાળુઓની લિમિટ હટાવવા માટેની માંગ કરી હતી

સરકાર તરફથી સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટે આપેલા અગાઉના નિર્ણયમાં સુધારો કરવો જોઈએ. સરકારનો પક્ષ રાખતા એડવોકેટ જનરલે કહ્યું કે, કોવિડને ધ્યાનમાં રાખીને કોર્ટે અગાઉ ચારધામની યાત્રા કરવા માટે ભક્તોની સંખ્યા નક્કી કરી હતી, પરંતુ વર્તમાન સમયમાં પ્રદેશમાં કોવિડના કેસો ન બરાબર આવી રહ્યા છે. તેથી ચારધામ યાત્રા માટે ભક્તોની નિયત સંખ્યાના આદેશમાં સંશોધન કરવામાં આવે.

ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને નહોતા આવી રહ્યા શ્રદ્ધાળુ

એડવોકેટ જનરલ દ્વાર કોર્ટની સમક્ષ એવું પણ કહેવામાં આવ્યું કે, ચારધામ યાત્રા સમાપ્ત થવામાં 3 અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. આ કારણે જેટલા પણ શ્રદ્ધાળુ ત્યાં દર્શન માટે આવી રહ્યા છે, તે તમામને દર્શન કરવાની પરવાનગી આપવામાં આવે. જે શ્રદ્ધાળુ ઑનલાઇન દર્શન કરાવવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે, તેઓ નથી આવી રહ્યા. આ કારણે ત્યાંના સ્થાનિક લોકો પર રોજી-રોટીનો ખતરો ઉભો થઈ રહ્યો છે.

સરકારે તિરુપતિ બાલાજી અને સોમનાથનું ઉદાહરણ આપ્યું

સરકારે કહ્યું કે, કોર્ટ દ્વારા પહેલા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ચારધામ યાત્રામાં તમામ સુવિધાઓને ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યું કે, ચારધામ યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓની નિર્ધારિત સંખ્યા પરથી પ્રતિબંધ હટાવવામાં આવે. અથવા પછી શ્રદ્ધાળુઓની સંખ્યા 3થી 4 હજાર પ્રતિદિન કરવામાં આવે. સરકાર તરફથી આજે એ પણ કહેવામાં આવ્યું કે, તિરુપતિ બાલાજી તેમજ સોમનાથમાં દરરોજ 28 હજાર તેમજ 10 હજાર શ્રદ્ધાળુ દર્શન કરી રહ્યા છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે સ્કૂલ, મૉલ, કૉલેજ, સિનેમા તમામ ખોલી દીધા છે. આ કારણે ચારધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને પણ વધારવામાં આવે.

સુવિધાઓની માહિતી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે

મુખ્ય ન્યાયાધીશ આર.એસ. ચૌહાણ અને જસ્ટિસ આલોક કુમાર વર્માની ડિવિઝન બેન્ચમાં આ મામલાની સુનાવણી થઈ હતી. અરજદારના વકીલે કહ્યું કે, સરકારે ચારધામમાં પૂરી પાડવામાં આવી રહેલી સુવિધાઓની માહિતી પોર્ટલમાં મૂકી નથી, સિવાય કે એક ATMના. તેને પણ રાજ્ય પોતાની વેબસાઇટ પર અપલોડ કરે જેથી મુલાકાત લેનારા લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે. આ પહેલા કોર્ટે ચારધામ યાત્રા કરવા માટે પ્રત્યેક દિવસ કેદારનાથ ધામમાં 800, બદ્રીનાથ ધામમાં 1000, ગંગોત્રીમાં 600 અને યમનોત્રી ધામમાં કુલ 400 શ્રદ્ધાળુઓને જવાની અનુમતિ આપી હતી.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે 69 હજાર ભક્તોએ કરાવી નોંધણી

આ પણ વાંચો: ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 42,000થી વધુ ઈ-પાસ અપાયા, 2,530થી વધુ શ્રદ્ધાળુઓએ ચારેય ધામના દર્શન કર્યા

ABOUT THE AUTHOR

...view details