ગુજરાત

gujarat

હરિદ્વાર કુંભઃ તકેદારીનાં તમામ પગલાં સાથે કુંભ મેળાનો આનંદ ઊઠાવી રહેલા ભાવિક ભક્તો

દેવભૂમિ ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને કુંભનું પ્રથમ શાહી સ્નાન મહાશિવરાત્રીના રોજ 11મી માર્ચના રોજ યોજાયું હતું. ફક્ત ભારતના જ નહીં, બલ્કે હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા વિશ્વભરનાં લોકો મોટી સંખ્યામાં કુંભ મેળામાં ઉમટી પડે છે. તેઓ પવિત્ર ગંગામાં સ્નાન કરવા માટે આવે છે અને તે સમયે સમગ્ર શહેરમાં ભારે માનવ મેદની જોવા મળે છે. જોકે, વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે અગાઉનાં વર્ષો કરતાં આ વર્ષે સ્થિતિ જરા જુદી છે. સરકારી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આસ્થાળુઓમાં વાઇરસનો પ્રસાર અટકાવવા માટે અને યોગ્ય સ્વચ્છતા જાળવાય, તે માટે વ્યવસ્થાને ચુસ્ત બનાવી દેવાઇ છે. સાથે જ, પવિત્ર જળમાં સ્નાન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને પણ સલામતી અને રક્ષણનાં તમામ નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

By

Published : Mar 16, 2021, 11:03 PM IST

Published : Mar 16, 2021, 11:03 PM IST

Health Measures
Health Measures

કોવિડ-19 અને કુંભ મેળો

કોરોનાની સ્થિતિ વચ્ચે પૂરી પાડવામાં આવનારી સુવિધાઓ અંગે ETV ભારત સુખીભવએ કુંભ મેળાના ફેર ઓફિસર (હેલ્થ એન્ડ મેડિસિન) ડો. અર્જુન સિંઘ સેનગર સાથે વાત-ચીત કરી હતી. ડો. સેનગરે સમજાવ્યું હતું કે, આ વર્ષે કુંભ મેળામાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને અત્યારે જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, તે 2010 અને 2016માં યોજાયેલા કુંભ મેળા કરતાં ઘણી ભિન્ન છે. કુંભમાં સ્નાન કરવા આવનારા ભક્તોનું સતત સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને તેમની દેખરેખ રાખવામાં આવે છે. સાથે જ, ફિઝિકલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા ઉપરાંત મેડિકલ અને સરકારી તંત્ર દ્વારા લાગુ કરાયેલી તમામ માર્ગદર્શિકાઓનું પાલન પણ કરવામાં આવે છે.

ડો. સેનગરે વધુમાં જાણકારી આપી હતી કે, હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા માટે 107 સ્નાન ઘાટ આવેલા છે, જ્યાં ભાવિકો કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરી શકે છે. કુંભમાં હર કી પૌડી ખાતે શાહી સ્નાન દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, આથી હર કી પૌડી તથા અન્ય ઘાટ પર સલામતીનાં તમામ પગલાંનું પાલન કરવામાં આવે, તે માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હરિદ્વારની શેરીઓને ઘણી વખત ‘કુંજ ગલીયાં’ કહેવામાં આવે છે, અર્થાત્ તે ઘણી જ સાંકડી છે. આથી, 8 બાઇક એમ્બ્યુલન્સની ગોઠવણ કરવામાં આવી છે, જેથી જો કોઇ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો જણાય, તો તેને તત્કાળ હોસ્પિટલ લઇ જઇ શકાય. આ ઉપરાંત 122 એમ્બ્યુલન્સ પણ તૈયાર રખાઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરિદ્વારની તમામ સીમાઓ પર ભક્તોની તપાસ કરવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાસ્તવમાં, હરિદ્વાર પહોંચવા માટેના છ માર્ગો અને પાંચ રેલવે રૂટ આવેલા છે. સડક માર્ગે શહેરમાં પ્રવેશનારા મુલાકાતીઓનું નજીકમાં ઊભા કરાયેલાં તપાસ કેન્દ્રો અને નાની હોસ્પિટલોમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યાર બાદ જ તેમને કુંભ મેળામાં હાજરી આપવા માટે શહેરમાં પ્રવેશ કરવા દેવાશે. સ્ક્રીનિંગ થઇ ગયા બાદ આ સ્ક્રીનિંગનાં સ્થળોએ જરૂર પડ્યે રેપિડ એન્ટિજન ટેસ્ટ, RT PCR ટેસ્ટ વગેરે જેવા ટેસ્ટ્સ પણ હાથ ધરી શકાય છે. આ સિવાય, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 1000 બેડ સાથેનું એક સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે.

આ વર્ષના પ્રારંભથી જ, કુંભ મેળા માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, કુંભ મેળામાં ભાગ લેવા આવનારા તમામ લોકોએ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવેલો હોવો જરૂરી છે અને તેમણે તેમના RT PCR ટેસ્ટનો રિપોર્ટ તેમની સાથે લાવવાનો રહેશે. તેમ છતાં, ઘણાં ખરા લોકો આ ટેસ્ટ કે તેના રિપોર્ટ વિના જ હરિદ્વાર પહોંચ્યા હતા અને આથી અહીં આ ટેસ્ટ કરવાની ગોઠવણ કરવામાં આવી છે. મકર સંક્રાન્તિ સ્નાનથી જ નિયમોનું અનુસરણ કરવામાં આવતું હોવા છતાં મહાશિવરાત્રીથી શરૂ થયેલા શાહી સ્નાન અને મહા કુંભ મેળા દરમિયાન નિયમોને વધુ કડક કરી દેવાયા છે અને તેનો વધુ ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ, તમામ હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ધર્મશાળાઓ, લોજ અને અખાડાઓને મેળો સંપન્ન ન થાય, ત્યાં સુધી તમામ નિયમો અને સલામતીનાં પગલાંનું અનુસરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જરૂર પડ્યે ફેસ માસ્ક્સ અને PPE કિટનું વિના મૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે.

ભાવિકોની આરોગ્યલક્ષી જરૂરિયાતને પહોંચી વળવા માટે ઊભી કરાયેલી વ્યવસ્થા

ડો. સેનગર વધુ માહિતી આપતાં જણાવે છે કે, કુંભ મેળા દરમિયાન કટોકટીની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે હરિદ્વારમાં 600 કામચલાઉ બેડ્સ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ, 100 બેડ ધરાવતી એક કામચલાઉ હોસ્પિટલ પણ અલગથી ઊભી કરાઇ છે. વધુમાં ભાવિકોની આરોગ્યલક્ષી જરૂરિયાતો તથા અન્ય કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 50 હોસ્પિટલોની જોગવાઇ કરવામાં આવી છે અને પ્રત્યેક હોસ્પિટલ 20 બેડથી સજ્જ છે તથા અન્ય 22 હોસ્પિટલો પૈકીની પ્રત્યેક હોસ્પિટલ 10 બેડ સાથે સજ્જ છે. કોરોનાને પગલે 2000 બેડ ધરાવતી એક કામચલાઉ હોસ્પિટલની જોગવાઇ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ઊભી કરવામાં આવી છે. આ સિવાય, તમામ કામચલાઉ અને જનરલ હોસ્પિટલો ઇમર્જન્સી વોર્ડ્ઝ, ICU અને બર્ન યુનિટ સહિતની તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ છે. તેની સાથે-સાથે હરિદ્વાર, ઋષિકેશ અને દહેરાદૂનમાં ઘણી હોસ્પિટલોના વોર્ડ તથા ICUમાં પણ કટોકટીની સ્થિતિ માટે બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે.

ડો. સેનગર જણાવે છે કે, કુંભ મેળો આપણા દેશના ઘણા મોટા કાર્યક્રમોમાં સ્થાન ધરાવે છે. અને આથી, તેમાં ભાગ લઇ રહેલા આસ્થાળુઓની આરોગ્યને લગતી તમામ સમસ્યાઓ તથા અન્ય જરૂરિયાતો અંગેના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે. તેની સાથે, ભાવિકો તંદુરસ્ત રીતે કુંભ મેળાનો લ્હાવો લે, તે માટે જિલ્લા વહીવટી તંત્ર શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોરોનાવાઇરસથી સંક્રમિત ન થાય, તે માટે તેમની કાળજી લેવાની સાથે-સાથે સલામતીનાં તમામ પગલાં ભરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details