નવી દિલ્હી :કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ 2024 લોકસભા ચૂંટણી માટે તેની મેનિફેસ્ટો કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છત્તીસગઢના પૂર્વ ઉપ મુખ્યપ્રધાન ટી.એસ. સિંઘદેવને મહત્વની પેનલના કન્વીનર બનાવવામાં આવ્યા છે.
કુલ 16 સભ્યોની પેનલમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) મહત્વપૂર્ણ બેઠકના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષે તેની લોકસભા ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરતા કહ્યું હતું કે તે તેના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષે આગામી સામાન્ય ચૂંટણી 2024 માટે તાત્કાલિક અસરથી મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્મા, જયરામ રમેશ અને શશિ થરૂર પણ આ કમિટીમાં સામેલ છે.
આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મણિપુરના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન ગાયખાંગમ અને લોકસભામાં પક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈ, ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તી પણ કમિટીમાં સામેલ છે. મુખ્ય પેનલના અન્ય સભ્યોમાં ઇમરાન પ્રતાપગઢી, કે. રાજુ, ઓમકારસિંહ મરકામ, રંજીત રંજન, જીગ્નેશ મેવાણી અને ગુરદીપ સપ્પલ પણ સામેલ છે. તેઓ ચૂંટણી માટે પાર્ટીના એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવા માટે કામગીરી કરશે.
- 'પનોતી', 'જેબકતરા' બોલવા પર રાહુલ ગાંધી મુશ્કેલીમાં, દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા જણાવ્યું
- Year Ender 2023: ભારતને મળેલી G20ની અધ્યક્ષતા કેટલી સફળ ? જાણો ભારતની આ સિદ્ધિઓ વિશે