ગુજરાત

gujarat

રોજગારી સર્જનને સૌથી વધુ પ્રાધાન્ય આપવાની જરૂર

By

Published : Jan 31, 2021, 5:17 PM IST

કોરોના વાઇરસ ફેલાવા લાગ્યો ત્યારે અચાનક લૉકડાઉન જાહેર કરી દેવાયું. કોઈ આયોજન વિનાના લૉકડાઉનને કારણે લાખો રોજમદારો, કામદારો, મજૂરો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં 270 કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી. રોગચાળાને કારણે કામકાજ થંભી ગયું અને સાથે જ ગરીબ માણસોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ.

રોજગારી સર્જનને સૌથી વધુ પ્રાધાન્ય આપવાની જરૂર
રોજગારી સર્જનને સૌથી વધુ પ્રાધાન્ય આપવાની જરૂર

કોરોના વાઇરસ ફેલાવા લાગ્યો ત્યારે અચાનક લૉકડાઉન જાહેર કરી દેવાયું. કોઈ આયોજન વિનાના લૉકડાઉનને કારણે લાખો રોજમદારો, કામદારો, મજૂરો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં 270 કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી. રોગચાળાને કારણે કામકાજ થંભી ગયું અને સાથે જ ગરીબ માણસોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ.

સૌથી વધુ રોજીરોટી ગુમાવાનો વારો આવ્યો બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં મજૂરોનો. માર્ચ અને એપ્રિલ મહિનામાં કારખાના બંધ કરી દેવાયા તેના કારણે ત્રીજા ભાગના મજૂરો રોજીરોટી વિનાના થઈ ગયા. ઑક્ટોબરથી બજારો થોડી થોડી ખુલવા લાગી અને ડિસેમ્બર સુધીમાં મોટા ભાગનું કામકાજ રાબેતા મુજબ થઈ ગયું. આમ છતાં જેમણે રોજીરોટી ગુમાવી હતી, તેમાંથી 20 ટકાને હજીય ફરીથી મજૂરી કામ મળી રહ્યું નથી. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક સંશોધનમાં આ કડવી વાસ્તવિકતા સામે આવી છે. છ સંગઠનો સાથે મળીને થયેલા સર્વેક્ષણમાં રોજમદારોની કરૂણ સ્થિતિ સામે આવી છે.

તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં આજેય સ્થિતિ કેટલી કથળેલી છે તેનો ખ્યાલ આવ્યો છે. ગરીબી રેખાની નીચે જીવતા પરિવારો માટે બે ટંકના ભોજનના સાંસા પડી ગયા હતા. તેનું બીજું પરિણામ એ આવ્યું છે કે ગરીબ પરિવારોમાં વ્યાપક કૂપોષણ ફેલાયું છે.

સર્વેક્ષણમાં એવો પણ ખ્યાલ આવ્યો હતો કે ગ્રામીણ વિસ્તારના 15 ટકા તથા શહેરી વિસ્તારના 28 ટકા પરિવારો માટે લૉકડાઉન હટી ગયા પછીય પૂરતી ખાધાખોરાકી માટેની કમાણી થઈ રહી નથી. આ કરૂણ સ્થિતિના ઉકેલ માટે સરકારે તાકિદે પગલાં ભરવાની જરૂર છે.

વર્ષમાં મર્યાદિત દિવસો માટે જ કામ આપવાના બદલે વર્ષભર મજૂરોને કામ મળી રહે તેની ખાતરી આપવાની યોજનાની જરૂર છે. દેશવાસીઓનો એક મોટો હિસ્સો ભૂખમરાનો ભોગ બની રહ્યો હોય ત્યારે રોજગારીની ખાતરી મગાતી હોય તો તે વાજબી જ છે. મનરેગા અને શહેરી રોજગાર યોજના માટેની ફાળવણીમાં કેન્દ્ર સરકારના બજેટમાં મોટો વધારો કરવામાં આવે તે જરૂરી છે.

છએક મહિના પહેલાં એક ચોંકાવનારું તારણ એવું નીકળ્યું હતું કે શહેરી વિસ્તારના 12 કરોડ જેટલા લોકો અને ગ્રામીણ વિસ્તારના 28 કરોડ લોકો ફરીથી ગરીબીમાં સરી પડ્યા છે. વગર વિચાર્યે કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ગરીબી રેખાની નીચે વધારે પરિવારો આવી ગયા છે. કોરોના વાઇરસના આ આર્થિક ફટકામાંથી આજેય લોકો બહાર આવી શક્યા નથી.

આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની ગેરન્ટી આપતી યોજના ઘણા રોજમદાર મજૂરો માટે સહારો બની છે. શહેરમાંથી ગામડે જવા મજબૂર લોકો માટે આ કામ સિવાય કોઈ આરો નહોતો. ગ્રામીણ રોજગાર યોજનાઓને કારણે ગ્રામીણ વિસ્તારના શિક્ષિત યુવાનોને પણ થોડી નોકરી મળતી થઈ છે. મનરેગા યોજના માટેની માગ મોટા પાયે નીકળી હતી અને તેના કારણે કેન્દ્ર સરકારે તેના માટે વધારાના 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવી પડી હતી. ગત બજેટમાં મનરેગા યોજના માટે સરકારે 61,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, તેમાં આટલો વધારો કરવો પડ્યો હતો.

આ રીતે કુલ એક લાખ કરોડ રૂપિયા સુધીની ફાળવણી મનરેગા માટે થઈ તે પછીય ગ્રામીણ વિસ્તારમાં ભંડોળની અછતની ફરિયાદો મળી છે. ગ્રામ પંચાયતો તરફથી જુદી જુદી યોજના માટે રજૂઆતો કરાઈ હતી, પણ તે માટેનું પૂરતું ભંડોળ તેમના સુધી પહોંચ્યું નહોતું. આ પરિસ્થિતિના અભ્યાસ પછી અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે મનરેગા યોજનામાં ફાળવણી બમણી કરવાની જરૂર છે. વધુ એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરીને દરેક મજૂરને વર્ષે ઓછામાં ઓછા 200 દિવસ માટે રોજગારીની ખાતરી આ યોજના હેઠળ આપવાની ભલામણ કરવામાં આવી છે.

બીજી બાજુ હવે ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારમાંથી રોજમદારો શહેર તરફ પાછા વળવા લાગ્યા છે. સત્તાવાર આંકડાંઓ અનુસાર બાંધકામ ક્ષેત્રના 75 ટકા, ખાણીપીણી ક્ષેત્રના 86 ટકા કામદારો અને રિયલ એસ્ટેટના કામમાં 53 ટકા મજૂરો બિનસંગઠિત રીતે કામ કરી રહ્યા છે. સરકારે પોતાની આવક પર અસર ના થાય તે રીતે શહેરી વિસ્તારોમાં ઝડપથી રોજગારીનું સર્જન થાય તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

દેશની સામાજિક અને આર્થિક સ્થિતિને સમતોલ રાખવા માટે કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારમાં પણ રોજગારીની ગેરન્ટી આપતી યોજના દાખલ કરવાની જરૂર છે. આવી યોજનાને કારણે કામકાજની શોધમાં શહેરોમાં આવતા કરોડો લોકોને રાહત આપશે. યોગ્ય રીતે યોજના ઘડવામાં આવે અને કાર્યદક્ષતા સાથે તેનો અમલ થાય તો કરોડો શહેરી ગરીબોને તેનો ફાયદો મળી શકે છે.
-

ABOUT THE AUTHOR

...view details