ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના રાજકારણમાંથી ભાજપને શું મળ્યું?

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગત એક મહિનાથી ચાલી રહેલા રાજકીય નાટક પર આખરે પડદો પડી ગયો છે. શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી લીધી છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ CM પદની શપથ લઈને ત્રણ દિવસ સુધી પદ પર રહ્યા. આખરે રાજકીય ઉઠાપટક બાદ તેમણે CM પદેથી રાજીનામું આપી દીધું. મહારાષ્ટ્રમાં ભાજપ બહુમત સાબિત ન કરી શકી. આ લેખમાં જાણીએ મહારાષ્ટ્રના રાજકારણનો ભાજપ પર શું પ્રભાવ પડશે.

By

Published : Dec 3, 2019, 9:17 PM IST

What did BJP get from Maharashtra politics
મહારાષ્ટ્રના રાજકારણમાંથી ભાજપને શું મળ્યું?

ભારતીય રાજકારણમાં કંઈક એવું બની રહ્યું છે, જેને જોઈને કહી શકાય કે, ચાણક્ય અને કૌટિલ્યા જેવા મહાન વ્યૂહરચનાકારોને પણ નવો પાઠ શિખવા મળશે. મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ તેનું જીવંત ઉદાહરણ છે.

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીની એ ટિપ્પણી કે, ભારતનું રાજકારણ અને ક્રિકેટ એકદમ અનિશ્ચિત છે. આ વાક્ય મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર સંપૂર્ણ રીતે યોગ્ય સાબિત થાય છે. ગડકરીની સરકાર માત્ર ચાર દિવસમાં જ પડી ગઈ. 22 નવેમ્બર 2019 રાતના 8 વાગ્યા સુધી એ નક્કી માનવામાં આવતું હતું કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બનાવી લીધી છે. તે લોકો બીજા દિવસે રાજ્યપાલને મળવાના હતા. પરંતુ બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક પલટો આવી ગયો. જેણે પણ આ સમાચાર જોયા તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લઈ ચુક્યા હતા. એનસીપી નેતા અજિત પવારે ભાજપના સમર્થનનો દાવો કર્યો અને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા. તેમણે એનસીપીના તમામ 54 ધારાસભ્યોનું ભાજપને સમર્થન હોવાનો દાવો કર્યો. જો કે, અજીત પવાર તેમના દાવાને હકીકતમાં ન બદલી શક્યા અને એનસીપીમાં કોઈ વિભાજન ન થયું.

જસ્ટિસ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચના નિર્ણયને જોતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. બાદમાં મુખ્યપ્રધાન ફડણવીસે પણ રાજીનામું આપવુંએ યોગ્ય વિકલ્પ માન્યો. ત્યારબાદ રાજ્યપાલે એનસીપી-કોંગ્રેસ-શિવસેનાને સરકાર બનાવવાની તક આપી.

વર્તમાન સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું આ ત્રિપક્ષીય ગઠબંધન ન્યાય કરી શકે છે અને તેના પક્ષના વ્યક્તિગત સિદ્ધાંતો સાથે ટકરાવ કર્યા વિના સ્થિર સરકાર પુરી ટર્મ માટે ચલાવી શકે છે કે કેમ?

વર્ષ 1996માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ વિરોધી પાર્ટીમાં વિભાજન કરીને સત્તામાં ટકી રહેવાનું પસંદ નહીં કરે. તેમની સરકાર માત્ર 13 દિવસમાં પડી ગઈ હતી. આ એક મોટું ઉદાહરણ હતું. વર્તમાન રાજકારણમાં આ પ્રકારનું ઉદાહરણ મળવું લગભગ અશક્ય છે. હાલમાં કોઈ પણ પાર્ટી સત્તા મેળવવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધનની જાહેરાત કરીને ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. આ ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળી હતી. બાદમાં શિવસેનાએ CM પદની માંગણી કરી અને રાજ્ય રાજકીય અસ્થિરતામાં ફસાઈ ગયું. સ્થિતિ એટલી વણસી ગઈ કે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું.

ભારતીય જનતા પાર્ટી જેણે પહેલાં NCPને સ્વાભાવિક રીતે જ ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી, બાદમાં અજીત પવાર સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ. તેણે અજીત પવારને ખુશ કરવા નાયબ મુખ્યપ્રધાન પદ પણ આપી દીધું. બીજેપી પર અનૈતિક ગઠબંધન કરીને સરકાર બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. જો કે, આ પ્રકારની રણનીતિ અપનાવીને ભાજપે ગોવાથી લઈને મણિપુર સુધી અનેક રાજ્યોમાં સરકાર બનાવી છે.

એ જોઈને આશ્ચર્ય થાય છે કે, ભારતીય જનતા પાર્ટી જે તેની વિચારધારા અને પ્રતિબદ્ધ કાર્યકરો માટે જાણિતી છે. વર્તમાન સમયમાં સત્તા માટે દોડી રહી છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર તેના બે મુખ્ય ઉદાહરણો છે.

પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફડણવીસે કહ્યું કે, કોંગ્રેસ-શિવસેના-એનસીપીનું ગઠબંધન એવી ઓટો રિક્ષા જેવું છે, જેના ત્રણેય પૈડાં જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ગઠબંધન તેની વિરોધી વિચારધારાને કારણે પડી ભાંગશે.

કર્ણાટકની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો રાજકીય પક્ષ બનીને સામે આવી હતી. પરંતુ સામાન્ય બહુમતી કરતાં થોડી બેઠક ઓછી મળી હતી. તેમ છતાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહ્યું. વિપક્ષે આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું.

કર્ણાટકનો અનુભવ ભાજપ માટે બોધપાઠ બનવો જોઈતો હતો. ભાજપે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધનને તેના હાલ પર છોડી દેવા જોઈતા હતા. ત્રણેય પક્ષોનો આંતરિક વિરોધ તેમને જનતાની નજરમાં હીન સાબિત કરી શક્યો હોત. પરંતુ ભાજપે તેમ કર્યું નહીં.

હવે યક્ષ પ્રશ્ન એ છે કે, આદર્શ રાજકારણની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રના રાજકારણમાં આખરે શું મળ્યું?

ABOUT THE AUTHOR

...view details