૧૯૯૧માં કોઈને પણ આશા નહોતી કે નરસિંહ રાવ વડા પ્રધાન બની જશે. કદાચ તેઓ છેલ્લા વ્યક્તિ હતા જેમણએ પોતે પણ એ પદ પર શપથ લેવાનું અને બેસવાનું વિચાર્યું હશે જે પદ પર એક સમયે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી બેઠાં હતાં.
તેમણે ૧૯૯૧ની સામાન્ય ચૂંટણીમાં ભાગ નહોતો લીધો. જેમ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે વ્યાપક માન્યતા હતી કે રાવ તેમનો સામાન પેક કરી રહ્યા હતા અને હૈદરાબાદ જવા માટે દિલ્લી છોડવા તૈયાર થયા હતા.
વધુ અનેપક્ષિત અને અકળ વાત એ હતી કે તેઓ વર્ષોથી તેમના પ્રતિષ્ઠિત પુરોગામીઓએ જે આર્થિક ઈમારત બનાવી છે તેને સંપૂર્ણ બદલી નાખશે. હકીકતે, નરસિંહ રાવ પોતે 'સમાજની સમાજવાદી ઢબ'ના નહેરુવાદી સિદ્ધાંતના મજબૂત સમર્થક હતા, જેમાં સરકાર અર્થતંત્ર પર જડબેસલાક નિયંત્રણ ધરાવતી હોય.
એક વાક્યમાં કહીએ તો નરસિંહ રાવે અત્યારે આપણે જે નવું ગતિશીલ ભારત આપણી આસપાસ જોઈ રહ્યા છીએ તેના પાયા નાખ્યા.
નરસિંહ રાવે તેઓ વડા પ્રધાન બન્યા તેના ગણતરીના કલાકોની અંદર દૂરગામી અસર કરનારા નિર્ણયો લીધા. તેમનો સૌથી મહત્ત્વનો નિર્ણય ડૉ. મનમોહનસિંહને નાણા પ્રધાન તરીકે લાવવાનો હતો.
મનમોહનસિંહની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી પરંતુ તેમના વિષયમાં તેઓ નિષ્ણાત હતા. રાવના અંદાજ પ્રમાણે, તેઓ વૈશ્વિક આર્થિક ખેલાડીઓમાં વિશ્વાસ જગાડવા માટે અનુકૂળ હતા.
રાવે સિંહને પૂરું રાજકીય પીઠબળ પૂરું પાડ્યું જેથી સિંહ દિન-પ્રતિદિનની રાજકીય વિવશતાથી હસ્તક્ષેપ પામ્યા વગર પૂરી વ્યાવસાયિકતા સાથે તેમની ફરજ નિભાવી શકે.
આજે વિચારતાં એવું લાગે છે કે બધી પરિસ્થિતિ નરસિંહ રાવને ભારતના ભાગ્ય પર બેસીને તેનું ભવિષ્ય બદલવા માટે જાણે કે તૈયાર કરી રહી હતી.
રાવ અસાધારણ પ્રતિભા સંપન્ન હતા. તેઓ બહુશ્રુત હતા. તેમણે બાર જેટલી ભાષા શીખી હતી. તેઓ કવિતા અને કથા લખતા હતા. તેઓ અનુવાદમાં અતિ કુશળ હતા. તેઓ સંગીતના પારખુ હતા. તેમને ભારતીય પરંપરા અને પ્રથાનું ખૂબ જ જ્ઞાન હતું.
જોકે તેઓ એવા વ્યક્તિ નહોતા જે રૂઢિચુસ્તતામાં ફસાઈ જતા. તેઓ કદાચ તેમની પેઢીના બહુ થોડા પૈકીના એવા લોકો હતા જેઓ ઉભરતી માહિતી ટૅક્નૉલૉજી સાથે બહુ સુવિધાજનક નહોતા અનુભવતા પરંતુ તેમને કમ્પ્યૂટર પ્રૉગ્રામિંગ ભાષાઓ શીખવાની માનસિક ક્ષમતા જરૂર હતી.
રાવે અન્ય વિદ્વાન અને જ્ઞાની રાજકારણીઓનો પથ પસંદ ન કર્યો જેમણે વિધાનપાલિકા માટે અપ્રત્યક્ષ માર્ગ પસંદ કર્યો હતો. તેમણે ભારતમાં સ્વતંત્રતા પછી યોજાયેલી દરેક સામાન્ય ચૂંટણી લડી હતી સિવાય કે ૧૯૯૧ની ચૂંટણી.
પ્રથમ ચૂંટણી સિવાય, તેઓ દરેક ચૂંટણી જીત્યા હતા. ૧૯૮૪માં તેઓ તેમની માતૃભૂમિ આંધ્ર પ્રદેશમાં હારી ગયા હતા પરંતુ મહારાષ્ટ્રની એક બેઠક પરથી જીત્યા હતા. તેઓ કદાચ એવા બહુ થોડા રાજકીય નેતાઓ પૈકીના એક હતા જેઓ હંમેશાં લોકપ્રિય મતથી સંસદમાં પ્રવેશ્યા અને ૧૯૯૧ સુધી જેઓ સૌથી વધુ સંખ્યામાં ચૂંટણી લડ્યા હતા.
તેઓ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે જે કંઈ થયું તેના માટે આ બધી હકીકતો પ્રાસંગિક છે. ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે જે આર્થિક સુધારાઓ તેમણએ કર્યા તે એક રીતે સીધા સમૂહ રાજકારણમાં તેમના દીર્ઘકાલીન અનુભવથી પ્રેરિત હતા.
૧૯૫૦ના દાયકાની મધ્યથી ૧૯૭૦ના દાયકાની મધ્યમાં તેઓ રાજ્યની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે હતા અને તેમણે રાજ્યના એક પછી એક મંત્રીમંડળમાં સેવા આપી હતી. તેમણે જે ખાતાંઓ સંભાળ્યાં હતાં તેની વિશાળ શ્રેણી છે; કાયદા અને ન્યાયથી લઈને શિક્ષણ અને એન્ડૉમેન્ટ (ધર્માદો).
તેમની રાજ્ય રાજકારણમાં કારકિર્દી તેમના મુખ્ય પ્રધાન પદ સાથે શિખર પર પહોંચી. ૧૯૭૦ના દાયકાની મધ્યમાં તેઓ રાષ્ટ્રના રાજકારણમાં પહોંચ્યા. તેમણે વિદેશ ખાતું, સંરક્ષણ, માનવ સંસાદન વિકાસ, ગૃહ ખાતું વગેરે સંભાળ્યાં.
રાજ્ય અને રાષ્ટ્રીય એમ બંને સ્તરે, રાવે મોટા ભાગના અગત્યના વિભાગો અને મંત્રાલયનો સંભાળ્યાં જે ભારતને સમજવા અને તેને બદલવા માટે અગત્યનાં હતાં.
તેમના વિશાળ અનુભવે તેમને ગ્રામીણ અને શહેરી જીવન તેમજ દેશના વિદેશો સાથેના સંબંધોની ધોરી નસ પારખવાની દૂરદૃષ્ટિ આપી હતી.