તિરુવનંતપુરમ: હવામાન વિભાગ દ્વારા અગાઉની જાહેરાત મુજબ ચોમાસું આજે કેરળ પહોંચ્યું છે અને આ અસરને કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં 4 જૂન સુધીમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નાયબ નિયામક આનંદકુમાર શર્માએ આ માહિતી આપી હતી.
શર્માએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં બની રહેલું લૉ ડિપ્રેશન ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 3 જૂને ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠે ટકરાવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે, ગુજરાત, દમણ દીવ અને દાદર હવેલી તેમજ ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
આ અગાઉ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ સોમવારે રાજ્યના નવ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ જિલ્લાઓમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયામ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નુરનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે બાકીના પ્રદેશોમાં આગામી 24 કલાકમાં 64.5 મીમીથી 115.5 મીમી વરસાદની આગાહી કરી છે.