ન્યૂઝ ડેસ્ક: હેલ્થ સપ્લિમેન્ટ પિલ્સ લેવી એ સહેલો વિકલ્પ છે, પણ તેને સ્થાને તંદુરસ્ત અને સાદું ભોજન લેવું અને ભૂખ ન લાગતી હોય, તેવી સ્થિતિમાં આહારનો એક સુઆયોજિત ક્રમ વિકસાવવો વધુ જરૂરી છે.
આ વિષય અંગે વધુ જાણકારી મેળવવા માટે ઇટીવી ભારત સુખીભવ દ્વારા દિલ્હીના મયુર વિહાર ખાતેનાં ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડો. રેણુ ગર્ગ સાથે વાતચીત કરી હતી, જેના અંશો અહીં પ્રસ્તુત છેઃ
આહારમાં લેવામાં આવતા ખાદ્ય પદાર્થો પ્રોટીનથી ભરપૂર હોવા જોઇએ, કારણ કે કોરોનામાંથી રિકવર થઇ રહેલા લોકોને તેમનું શરીર સાજું કરવા માટે પ્રોટીનની તથા એ, ડી, ઇ જેવાં વિટામિનોની અને ઝિન્ક અને મેગ્નેશિયમ જેવાં ખનીજ તત્વોની જરૂર પડે છે, કારણ કે તેઓ શરીરના ઝડપી ઉપચારમાં મદદરૂપ બને છે. આ આહાર શરીરમાં શક્તિ પાછી લાવવામાં ઉપયોગી નીવડવાની સાથે-સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે અને તમે સાજા થઇ રહ્યા હોવ, ત્યારે અન્ય ઇન્ફેક્શનોને તમારાથી દૂર રાખશે.
શરીરને રોજ 75થી 100 ગ્રામ પ્રોટીન મળવું જોઇએ, જે સામાન્ય તંદુરસ્ત માનવીની જરૂરિયાત કરતાં દોઢગણું વધારે છે. પ્રોટીન દાળ, શીંગ, સૂકો મેવો, દૂધ અને દૂધની બનાવટો, દહીં, ચીઝ, ચણાનો લોટ, રાગી, પનીર, સોયા, ઇંડાં, માછલી, માંસ, ચિકન, સફેદ તલ, વગેરે કોઇપણ સ્વરૂપમાં લઇ શકાય છે.
પોષણથી ભરપૂર આહાર – તમારા આહારમાં તાજાં મોસમી અને જુદાં જુદાં રંગોનાં ફળો અને લીલાં શાકભાજીનો ઉમેરો કરો અને સાથે જ સૂકો મેવો અને સીડ્ઝ પણ લેવાનું રાખો. જુદાં જુદાં રંગોનાં ફળો તથા શાકભાજીમાં રહેલાં વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ ઝડપી રિકવરીમાં ઉપયોગી પુરવાર થાય છે.
ઘી, ક્રીમ, ચીઝ, ઘરે બનાવેલું માખણ, આવોકાડો, ઓલિવ ઓઇલ, સૂકો મેવો અને સીડ્ઝના સ્વરૂપમાં તંદુરસ્ત ફેટ લો. આહારમાં દૈનિક 30-40 ગ્રામ ફેટ્સ ઉમેરી શકાય.
વધુ કેલેરીનો અર્થ થાય છે ઇન્ફેક્શનથી દૂર રહેવા માટે તથા ઝડપથી રિકવર થવા માટેની ક્ષમતા માટે જોઇતી એનર્જીમાં વધારો. આહારમાં અનાજ, બટાકા, બ્રેડ, પાસ્તા, ચોખા, દૂધ, આવોકાડો, ગોળ અને શેકેલા ચણા જેવા ખાદ્ય પદાર્થોનો ઉમેરો કરો.
તમારા શરીરને કેલ્શિયમ મળી રહે, તે માટે મખાણા, રાગી, સોયાબિન, દૂધ અને દૂધની બનાવટો, કેલ્શિયમ ફોર્ટિફાઇડ ફૂડ, અંજીર, સૂકી દ્રાક્ષ, બદામ વગેરે જેવી ચીજો આરોગો. (કેલ્શિયમના બહેતર એબ્સોર્પ્શન માટે વિટામીન ડી લેવાનું ન ભૂલશો.)
વિટામીન સીથી સમૃદ્ધ આહાર – નારંગી, લીંબુ, મોસંબી, આમળાં, જામફળ, બ્રોકલી, ટામેટાં જેવાં ખાટાં ફળો તેમજ લીલાં મરચાં તથા શિયાળામાં વ્યાપક પ્રમાણમાં મળી રહેતાં અન્ય લીલાં પાંદડાંવાળાં શાકભાજીના સેવન પર ખાસ ભાર મૂકો, કારણ કે તેમાં વિટામીન સી અઢળક માત્રામાં રહેલું હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.