વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ખાતાવહીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનો ભારતનો આકાંક્ષી હેતુ પ્રાપ્ત કરવા માટેના માર્ગ પર અનેક નવી પહેલોની દરખાસ્ત છે. ખાતાવહીએ આકાંક્ષી ભારતના સપનામાં એક મહત્ત્વની કડી તરીકે આરોગ્ય પર સ્પષ્ટ વાત કરી છે અને રેખાંકિત પણ કરી છે. આરોગ્ય ક્ષેત્ર માટે એકંદર ફાળવણીને વધારવામાં આવી છે અને ૨૦૧૯-૨૦માં રૂ. ૬૨,૬૫૯ કરોડથી ૨૦૨૦-૨૧માં રૂ. ૬૫,૦૧૧ કરોડ કરાઈ છે.
આમ તો આ નજીવો ૪ ટકાનો વધારો છે, પરંતુ સાચી રીતે જોઈએ તો લગભગ કોઈ વધારો નથી. સૌથી મોટી કેન્દ્ર સરકારની યોજના- નામે- રાષ્ટ્રીય આરોગ્ય યોજના લગભગ અડધો ખર્ચ લઈ જાય છે. તેને ખાતાવહીની ફાળવણીમાં કોઈ વધારો નથી મળ્યો. તે રૂ. ૩૩,૪૦૦ કરોડે જ રહે છે. આયુષમાન ભારત જે સરકારની પ્રમુખ યોજના છે, તેના બે ઘટકો છે જેમાં પીએમજય (આરોગ્ય વીમા યોજના) અને આરોગ્ય તેમજ સુખાકારી કેન્દ્રો (એચડબ્લ્યુસી)નો સમાવેશ થાય છે.
આયુષ્માન ભારત કાર્યક્રમે યોજનાની સફળતા પર જંગી દાવ લગાડ્યો છે પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ફાળવણી અને પુનર્વિચારિત અંદાજથી યોજનામાં કોઈ વેગ આવશે તેમ લાગતું નતી. પીએમજય માટે પ્રસ્તાવિત ખાતાવહી વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ. ૬,૪૦૦ કરોડનું હોવાનો અંદાજ છે જ્યારે આટલી જ રકમ ગયા વર્ષની ખાતાવહીમાં એકબાજુએ મૂકવામાં આવી હતી, પરંતુ રકમનો ઉપયોગ પસાર થયેલા વર્ષ સુધીમાં માત્ર ૫૦ ટકાએ જ હતો.
સરેરાશ, પીએમજય માટેની ફાળવણી વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના માટે પ્રતિ વર્ષ એક લાભાર્થી દીઠ રૂ. ૧૨૮ જેટલી તુચ્છ રકમ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (સીજીએચએસ), જે એક બીજી વીમા યોજના છે, તેને પ્રતિ લાભાર્થી રૂ. ૮,૭૦૦ મળ્યા છે જે અસંતુલિત ખાતાવહી ફાળવણી દર્શાવે છે.
પીએમ યોજનાને તેના પ્રારંભનાં માત્ર બે જ વર્ષના સમયમાં પુનઃચેતનવંતી કરવાની જરૂરિયાતને ઓળખીને, ખાતાવહીએ ક્ષમતા વિસ્તરણ માટે ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડીરોકાણને આકર્ષવા વાયેબિલિટી ગેપ ફંડિંગ જાહેર કર્યું. આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં ખાનગી મૂડીરોકાણ આવશે તેવી આશા સાથે આ કરવામાં આવ્યું. ખાતાવહી દ્વારા અન્ય જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું તે છે આયાત કરવામાં આવતાં તબીબી સાધનો પર આરોગ્ય ઉપકર (હૅલ્થ સેસ) જેનો ઉપયોગ આ કાર્યક્રમ માટે કરવામાં આવશે.