ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઑલિમ્પિક્સ 2024: સારા પ્રદર્શન માટે ભારતે શું કરવું જોઈએ?

2016માં નીતિ આયોગે જાહેરાત કરી કે, 2024ની ઑલિમ્પિક્સમાં ભારત 50 ચંદ્રકો મેળવવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ લક્ષ્ય પાર પાડવાની જવાબદારી જેના પર આવી છે, તે ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિએશન (IOA)એ વળી તેનાથીય વધુ ઊંચું નિશાન તાક્યું છે. છેલ્લા દાયકામાં દેશમાં રમતગમતની જે સ્થિતિ છે, તે જોતા આ મહત્ત્વાકાંક્ષા પાર પાડવી શક્ય લાગતી નથી.

By

Published : Jan 13, 2020, 9:36 AM IST

ઑલિમ્પિક્સ 2024: વિજય માટે ભારતે શું કરવું જોઈએ
ઑલિમ્પિક્સ 2024: વિજય માટે ભારતે શું કરવું જોઈએ

છ મહિના પહેલાં IOAના પ્રમુખ નરીન્દર બાત્રાએ કહ્યું હતું કે ભારત 2021ની ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC)ના યજમાન બનવા કોશિશ કરાશે. સાથે જ 2026ની યૂથ ઑલિમ્પિક ગેમ્સ અને 2030ની એશિયન ગેમ્સને યોજવા માટે દરખાસ્ત મૂકાશે. આવી ઘણી તૈયારી આપણી છે એમ તેમણે કહ્યું હતું.

IOA 2026 અથવા 2030માં કોમનવેલ્થ ગેમ્સનું અને 2032માં ઑલિમ્પિક્સનું આયોજન કરવા માટે પણ વિચારી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સને યોજવા માટે ભારતને તક મળે તો તે પછી ઑલિમ્પિક્સ માટે માર્ગ ખૂલી શકે છે એવું IOAનું માનવું છે.

જોકે જાપાન આ વર્ષે ઓલિમ્પિક્સ અને પેરા-ઑલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે, તેનો અંદાજિત ખર્ચ ત્રણ ગણો વધીને 1,85,000 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. 2032 સુધીમાં કેટલો ફુગાવો થશે અને કેટલો ખર્ચ કરવો પડશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બની ગયો છે. બીજુ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ અને ઉત્તર કોરિયા તથા જર્મની પણ 2032ના ઑલિમ્પિક્સ માટે સ્પર્ધામાં છે.

દરમિયાન ભારત આ તબક્કામાં 16 જેટલા રમતોત્સવ યોજવાનું છે, જેમાંના કેટલાકનું આયોજન હજી બાકી છે. તેથી IOA પૂરતા આયોજન અને વિચાર વિના ઑલિમ્પિક્સ યોજવાનું વિચારે છે તે નવાઈ પમાડે તેવું છે.

સિઉલ, બાર્સેલોના અને લંડનને આ પ્રતિષ્ઠિત રમતોત્સવનું આયોજન કરવા મળ્યું, તેના કારણે તેની માળખાકીય સુવિધામાં અને પ્રવાસનમાં તથા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો હતો. સાથે તેમાં જોખમ પણ રહેલું છે. જેમ કે 1976માં કેનેડાએ મોન્ટ્રિઅલ ઑલિમ્પિક્સનું આયોજન કર્યું, પણ તેની પાછળ એટલો જંગી ખર્ચ થયો હતો કે ચાર દાયકા તે પાછળ ધકેલાઈ ગયું હતું.

2004માં એથેન્સ ઑલિમ્પિક્સ પછી ગ્રીસમાં આર્થિક તંગી આવી હતી અને આજેય દેશ મંદીનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં FIFA વર્લ્ડ કપ માટે વિશેષ સ્ટેડિયમ્સ તૈયાર કરાયા હતા, તે હવે ખાલીખમ પડી રહ્યા છે. ભારતે પણ 10 વર્ષ પહેલાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું, ત્યારે મોટા પાયે સુવિધાઓ ઊભી કરી હતી, જે અત્યારે કશા ઉપયોગ વિનાની પડી રહી છે.

તે વખતે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમનું 960 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ધાટન અને સમાપન સમારોહ માટે તેને સજ્જ કરવામાં આવ્યું હતું, પણ તે પછી સ્ટેડિયમ ખાલીખમ જ પડ્યું રહ્યું છે અને આટલા કરોડ રૂપિયા પાણીમાં ગયા તેમ લાગે.

તે વખતે બીજી સુવિધાઓ માટે પણ સેંકડો કરોડ રૂપિયા વેડફાઈ ગયા હતા, જે આજે ઉપયોગ વિનાની પડી છે અને તેની જાળવણી પાછલના ખર્ચને કારણે તે ધોળા હાથી જેવી સાબિત થઈ છે. બીજા દેશોને પણ આવા જ ખરાબ અનુભવો થયેલા છે.

બીજું કે 2010ના કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં થયેલા ભ્રષ્ટાચારનો મામલો લાંબો સમય ગાજતો રહ્યો હતો. આવા ઇતિહાસનું પુનરાવર્તન ના થાય તે માટે ઈન્ડિયન ઑલિમ્પિક ઍસોસિએશને શું વિચાર્યું છે તે સ્પષ્ટ નથી. આવા અનુભવો છતાંય IOA રમતોત્સવોનું આયોજન કરવા માટે ઉત્સુક જણાય છે!

ચાર વર્ષ પહેલાં રિઓ ઑલિમ્પિકમાં ભારતને બે સુવર્ણચંદ્રક મળ્યા હતા. આટલા વિશાળ દેશમાં 65 કરોડની વસતિએ એક મેડલ થયો. દક્ષિણ એશિયન ગેમ્સમાં મોટી સંખ્યામાં ચંદ્રકો મળ્યા ત્યારે ખુશ થવામાં આવ્યું હતું, પણ બોક્સિંગ, જુડો, ટેકવોન્ડો જેવી રમતોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પછી કોઈ ફાયદો થયો નહોતો.

ભારત બહુ થોડી રમતોમાં સ્પર્ધા કરી શકે તેમ હતું, ત્યારે પણ 2012માં તે વખતના કેન્દ્રના રમતગમત પ્રધાન અજય માકેને કહ્યું હતું કે 2020 ઑલિમ્પિક્સમાં ભારત 15 ચંદ્રકો લઈ આવશે. તેમની જેમ જ અત્યારના રમતગમત પ્રધાન કિરેન રિજીજુ પણ દાવો કરી રહ્યા છે કે 2024 અને 2028માં ભારત મેડલ ટેલીમાં ટોચના દસ રાષ્ટ્રોમાં હશે.
સરકાર આવું સપનું સાકાર કરવા માગતી હોય તો રમતોત્સવના આયોજનના બદલે રમતવીરોને વધારે સારી તાલીમ આપવા પાછળ વિચારવું જોઈએ. જાણકારો વર્ષોથી કહી રહ્યા છે કે ભારતમાં શાળાના સ્તરેથી રમતવીરો તૈયાર થતા જ નથી.

ચીને ત્રણ હજાર જેટલા વિશેષ રમતગમત સંકુલો તૈયાર કર્યા છે અને દેશભરમાં પાંચ લાખ કસરત માટેના કેન્દ્રો ખુલ્યા છે. ચીન ચાર વર્ષની ઉંમરથી બાળકોમાં રમત માટેની ટેલેન્ટને શોધીને તેમને તૈયાર કરવા પાછળ લાગ્યું છે. અમેરિકામાં પણ નેશનલ કૉલેજિએટ ઍથેલેટિક્સ ઍસોસિએશન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને આખી મેડલ ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યું છે.

તેની સામે ભારતમાં વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી રહેતી હોય છે. શિક્ષણના અધિકારના નિયમોનું પાલન કરવા માટે ખાનગી શાળાઓ તૈયાર નથી. ખાનગી શાળાઓમાં રમતગમત માટેનું મોટું મેદાન જ હોતું નથી કે નથી હોતા રમતગમતના સાધનો.

રમતગમત અને ઍથેલેટિક્સની લાંબી પરંપરા ભારત ધરાવતો હોવા છતાં તે મોટા પાયે રમતોત્સવનું આયોજન કરી શકે તેવી સ્થિતિમાં નથી. દેશમાં ટેલેન્ટને શોધીને તૈયાર કરવામાં ના આવે અને રમતગમત પાછળ સ્રોતો ફાળવવામાં ના આવે ત્યાં સુધી ચંદ્રકો માટે કે ઑલિમ્પિક્સના આયોજન માટે સપના જોવાનો અર્થ નથી.

ABOUT THE AUTHOR

...view details