પટનાઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલી હિંસક ઝડપમાં શહીદ થયેલા બિહારના બધા જવાનોના પરીજનોને રાજ્ય સરકાર 36-36 લાખની રકમ આપશે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુરુવારે આ જાહેરાત કરી હતી. વળતરની રકમ ઉપરાંત રાજ્ય સરકાર શહીદ જવાનોના આશ્રિતોને નોકરી પણ આપશે.
ભારત-ચીન સીમાએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં બિહારના 5 જવાન શહીદ થયા હતા. ગુરુવારે બધા જ જવાનોના પાર્થિવ શરીર પટના એરપોર્ટ પહોંચ્યા હતા. આ અવસરે સીએમ નીતિશ કુમારે બધા જવાનોને પુષ્પાંજલિ આપી હતી.
આ રીતે આપવામાં આવશે રકમ
શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વળતરની રકમ અને તેના આશ્રિતોને રાજ્ય સરકાર તરફથી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમણે કહ્યું કે, દિવંગત જવાનોના બલિદાન અને પરાક્રમને બિહાર ક્યારેય ભુલી નહીં શકે. દેશ માટે જવાનોના બલિદાન અતુલનિય છે. રાજ્ય સરકાર શહીદના આશ્રિતોને 11-11 લાખની રકમની સહાય કરશે ઉપરાંત 25-25 લાખની રકમ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. આ રીતે દરેક શહીદના પરિવારને 36-36 લખ રુપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.