આ ગૃહ દ્વારા લેવાયેલો કોઈ પણ નિર્ણય સમગ્ર દેશની સામાજિક અને આર્થિક સ્થિતિ ઘડશે તેવી બાબતને ધ્યાનમાં રાખીને બંધારણના ઘડવૈયાઓએ અને તેની પ્રક્રિયાઓએ નીચલા એટલે કે લોકસભા અને ઉપલા એટલે કે રાજ્યસભાએ ખૂબ સ્પષ્ટ રીતે તેનાં કાર્યોનું રેખાંકન કર્યું છે. લોકસભાના સભ્યો દર પાંચ વર્ષે ચૂંટાઈ આવે છે અને ક્યારેક અવધિ પહેલાં પણ લોકસભા વિસર્જિત થઈ શકે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો એક વાર ચૂંટાઈ જાય/નામાંકિત થઈ જાય પછી તે તેમના નામાંકનની સમગ્ર અવધિ સુધી કોઈ પણ અવરોધ વગર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પૈકીની એકનું બંધારણ ઘડતી વખતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાન આર્ષદૃષ્ટાએ કેવો મહાન વિચાર કર્યો !
આપણે જ્યારે રાજ્યસભાના ઇતિહાસમાં ડોકિયું કરીએ ત્યારે, મે ૧૯૫૨માં, રાજ્યસભાની પહેલી બેઠક દરમિયાન, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને નિવેદન કર્યું હતું, “સંસદ એ માત્ર ખરડા પસાર કરવાનું અને કાયદા બનાવવાનું સ્થાન નથી, પરંતુ દેશના તમામ નેતાઓ અને પ્રતિનિધિઓ માટે ચર્ચા કરવાનું અને એક સૌહાદપૂર્ણ પરિસ્થિતિમાં આવવા માટે સામાન્ય અને વ્યવહારુ ભૂમિ છે.” તેમણે વધુમાં નિવેદન કર્યું હતું કે ભારતના નાગરિકો વચ્ચે શાંતિપૂર્ણ અને સંવાદિતાસભર સહઅસ્તિત્વ મેળવવા માટે એ ઉપયુક્ત છે કે રાજ્યસભાના તમામ સભ્યો, પછી તેઓ શાસક પક્ષના હોય કે વિપક્ષના, તેમણે હાથમાં હાથ મેળવીને કામ કરવું જોઈએ. સંસદનાં ઉપલા અને નીચલાં ગૃહો રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે વર્ષ ૧૯૫૪માં એટલે કે તેની સ્થાપનાનાં માત્ર બે વર્ષમાં જ અને વર્ષ ૧૯૭૩માં, રાજ્યસભાની તેના નામકરણ માટે ટીકા અને પ્રતિકૂળ ટીપ્પણીઓ થઈ હતી. આ બંને પ્રસંગોમાં અને વર્ષ ૧૯૭૧, ૧૯૭૨, ૧૯૭૫ અને ૧૯૮૧માં પણ, તેના નામ સામે વાંધાની દરખાસ્ત થઈ હતી પરંતુ દર વખતે લોકસભાએ તેને ટાળી દીધી.
જોકે ઘણી વાર રાજ્યસભા અને લોકસભા વચ્ચે મતભેદો હોય છે પરંતુ બંને ગૃહોએ સંવાદિતા જાળવી રાખી છે અને તેઓ પોતાના ખભા પર રાષ્ટ્રીય વિકાસને આગળ ધપાવવા માટે આગળ આવ્યા છે, અને રીતે રાષ્ટ્રનાં લોકશાહી મૂલ્યો જાળવી રાખ્યાં છે. આ સમય અને પરિસ્થિતિ છે જેમાં લોકસભાએ પસાર કરેલા ખરડા/કાયદા પર કોઈ પણ નિર્ણય પર રાજ્યસભાના સભ્યો કે જેઓ યોગ્ય પ્રતિનિધિત્વ સાથે આવે છે તેમણે સંવાદિતાસભર ચર્ચા કરવાની હોય છે અને રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં સામાન્ય નિર્ણય પર આવવાનું હોય છે.
પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક વાર મત દર્શાવ્યો હતો કે જ્યાં સુધી સંસદની પ્રતિષ્ઠા અને સન્માન નહીં જળવાય, અંતિમ પરિણામ રાષ્ટ્રની સર્વોચ્ચ લોકશાહીનું પતન જ હશે. જોકે આજકાલ જે રીતે ગૃહો ચાલી રહ્યાં છે તે જોતાં એ ખૂબ જ સ્પષ્ટ છે કે જે તમામ સિદ્ધાંતો પર ગૃહોની રચના થઈ હતી તેની સંપૂર્ણ અવગણના કરવામાં આવે છે અને તેને અદ્ધર છોડી દેવાય છે!! એવાં ઉદાહરણો છે જે ઉપરના નિવેદનનો પડઘો પાડે છે, જેમ કે તેના એક સત્રમાં, ચર્ચા નિયંત્રણ બહાર ચાલી ગઈ અને તેની એક ચર્ચા દરમિયાન ગૃહમાં સભ્યોએ સર્જેલા હંગામાને નિયંત્રણ કરવામાં અક્ષમ રહ્યાની પોતાની નિષ્ફળતા માટે અધ્યક્ષ શંકરદયાલ શર્માની આંખમાં આંસું આવી ગયાં હતાં.
ભારતના પ્રથમ નાગરિક તરીકે પદ પરથી ઉતર્યા પછી પ્રણવ મુખર્જીએ ગયા વર્ષે નિવેદન કર્યું હતું કે વર્ષ ૧૯૬૯થી, જ્યારથી તેમણે સંસદમાં પગ મૂક્યો, તેઓ તેમના જ્ઞાન અને ડહાપણ માટે જાણીતા પી. વી. નરસિંહરાવ, તેમની વકતૃત્વ કળા માટે જાણીતા અટલબિહારીજી, તેમની વ્યક્તિગત વિશેષતાઓ માટે જાણીતા મધુ લિમયે અને ડૉ. નાથ પૈ, રમૂજી વૃત્તિ માટે જાણીતા પીલુ મોદી અને તેમના નોંધપાત્ર પ્રતિભાવો માટે જાણીતા ઈન્દ્રજીત ગુપ્ત અને બીજા ઘણા સંસદના સભ્યો પાસેથી ઘણું શીખવા જેટલા ભાગ્યશાળી રહ્યા છે. આવા મહાન અને શ્રદ્ધેય મહાનુભાવો જેમાં રહ્યા તે ગૃહ આજકાલ બહુ કિંમતી નહીં તેવી થઈ રહેલી ચર્ચા માટે આજે બહુ ટીકાનો સામનો કરી રહ્યું છે. મોટા ભાગની ચર્ચા તેમાં રહેલા રાજકીય ઈરાદાઓ સાથે થાય છે જે, તેનો ખરેખર જે હેતુ હોય છે તે હકારાત્મક પરિણામ હંમેશાં આપતી નથી. સંસદ ૩-D ફૉર્મ્યુલા પર ચાલવા ઘડાયેલી છે અને તે છે ડીબેટ (ચર્ચા), ડિસેન્ટ (અસંમતિ) અને ડિસિશન (નિર્ણય). જોકે બાદમાં ચોથો D પણ તેમાં જોડાયો છે અને તે છે ડિસરપ્શન એટલે કે ગૃહની કાર્યવાહીમાં ખલેલ. તેનાથી આજકાલ બંને ગૃહોના સંચાલનમાં ભારે અસંતુલન સર્જાઈ રહ્યું છે.