ગુજરાત

gujarat

By

Published : Jul 28, 2020, 4:18 PM IST

ETV Bharat / bharat

ઇમિગ્રેશનથી અમેરિકાને ફાયદો થયો છે, સંકુચિત દ્રષ્ટિ ખોટી- USIBCના પ્રમુખ

ભારત અને અમેરિકા વચ્ચે મિનિ વેપાર કરાર થવાની શક્યતા હવે નવેમ્બર 2020ની પ્રમુખપદની ચૂંટણી પહેલા શક્ય લાગતી નથી એમ ભૂતપૂર્વ ડિપ્લોમેટ નિશા બિસ્વાલ માને છે. ઓબામા સરકારમાં નિશા બિસ્વાલ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના નાયબ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે.

immigration-has-benefitted-us-turning-inwards-wrong-usibc-president
ઇમિગ્રેશનથી અમેરિકાને ફાયદો થયો છે, સંકુચિત દૃષ્ટિ ખોટી - USIBCના પ્રમુખ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે મિનિ વેપાર કરાર થવાની શક્યતા હવે નવેમ્બર 2020ની પ્રમુખપદની ચૂંટણી પહેલા શક્ય લાગતી નથી એમ ભૂતપૂર્વ ડિપ્લોમેટ નિશા બિસ્વાલ માને છે. ઓબામા સરકારમાં નિશા બિસ્વાલ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના નાયબ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. વૉશિંગ્ટનથી સિનિયર પત્રકાર સ્મિતા શર્મા સાથે વાતચીત કરતાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના હાલના H1B, L1 વીઝા રદ કરવાના નિર્ણયની ટીકા કરી હતી. યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના પ્રમુખ તરીકે રહેલા બિસ્વાલ કહે છે કે આવી સંકુચિત દૃષ્ટિ કે ઇમિગ્રન્ટ્સના પ્રવાહને અટકાવી દેવો તે અમેરિકા અને તેના અર્થતંત્ર માટે જ નુકસાનકારક છે. ગૂગલે ભારતમાં 10 અબજ ડૉલરના રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે તે વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ડિજિટલ અર્થતંત્ર જ કોવિડ પછીની દુનિયામાં વધશે. આગામી વર્ષોમાં ભારત અને અમેરિકાનો વેપાર પણ વધવાનો છે, પરંતુ ભારતમાં નીતિગત સ્થિરતા પણ જોઈશે. તેમની સાથેની વાતચીતના અંશોઃ

ઇમિગ્રેશનથી અમેરિકાને ફાયદો થયો છે, સંકુચિત દૃષ્ટિ ખોટી - USIBCના પ્રમુખ

સવાલ - નજીકના ભવિષ્યમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપારી કરાર થઈ શકશે?

રાજદૂત લાઇટિઝર અને ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ વચ્ચે વાતચીત થઈ હતી. તે વાટાઘાટો હજી પણ ચાલી રહી છે. જોકે ચૂંટણી નજીક આવતી જાય છે એટલે તેની શક્યતા ઓછી થઈ રહી છે. જો વેપારી કરાર થશે તો મને સાનંદાશ્ચર્ય થશે. ભારત અને અમેરિકાના હિતમાં જ છે કે મિની ટ્રેડ ડિલ શક્ય એટલા વહેલા કરવામાં આવે.

સવાલ - અમેરિકા અને ચીન વચ્ચે વેપારી વાટાઘાટો અટકી છે અને ચીન સાથે સરહદે ઘર્ષણ વધ્યું છે ત્યારે ભારત અને અમેરિકાના દ્વિપક્ષી વેપાર માટે શું શક્યતાઓ છે?

ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક ભાગીદારી આગળ વધારવા માટે ઘણી તકો રહેલી છે. ખાસ કરીને ભારતમાં પુરવઠા પ્રવાહ અને મેન્યુફેક્ચરિંગમાં શક્યતા છે. દવાઓ, સંરક્ષણ, હાઇ ટેક્નોલૉજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શક્યતા છે. આ ક્ષેત્રોમાં ઉદ્યોગો માટે ભરોસાપાત્ર ભાગીદારોની જરૂર છે. ભારત અને અમેરિકા માટે ચીન પણ મહત્ત્વનો વેપારી દેશ રહેવાનો છે અને તેમાં કંઈ ફરક પડવાનો નથી. પરંતુ પુરવઠા પ્રવાહમાં વૈવિધ્ય આવે અને કેટલાક ક્ષેત્રોમાં જોખમ ઓછું કરી શકાય તે માટે ભારતમાં નીતિનું માળખું સ્થિર, આકર્ષક અને મૂડીરોકાણ માટે લાભદાયક થવું જોઈએ. આ અપેક્ષા છે, પણ ટૂંકા ગાળે કંપનીઓ ઘણું નુકસાન જોઈ રહી છે. તેથી અત્યારે મોટા મૂડીરોકાણ માટેના નિર્ણયો કરવાનો સમય નથી. આગલા ઘણા વર્ષો સુધી ભારત અને અમેરિકાના વેપારી સંબંધો ગાઢ બને તે માટે અમે વાટાઘાટો કરી રહ્યા છીએ.

સવાલ - ગલવાનમાં અઠડામણ થયા પછી ભારતે જાહેરાત કરી હતી કે કેટલીક ચીની વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકાશે અને તેનાથી બંદરો પર અવ્યવસ્થા ઊભી થઈ હતી. તેની અસર અમેરિકન કંપનીઓને પણ થશે એવી વાત હતી તે વિશ તમે શું કહો છો?

આ બહુ સંકુલ અને સમજવા જેવો મુદ્દો છે. ભારત સરકાર સુરક્ષાની બાબતે ચિંતિત હોય તે અમે સમજીએ છીએ. રાષ્ટ્રની સુરક્ષાના મુદ્દે અમે સમર્થન પણ આપીએ છીએ. પણ આજે એક બીજા સાથે જોડાયેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે જીવીએ છીએ. તેથી પૂરતો વિચાર કરીને પગલાં લેવા જરૂરી છે અને કોઈ આડઅસર ના થાય તેવો વિચાર કરવો પડે.

સવાલ - ગૂગલના સુંદર પીચાઇએ જાહેરાત કરી છે કે ભારતમાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવશે. ભારતમાં ડિજિટલ અર્થતંત્રમાં બીજી અમેરિકન કંપનીઓ આવશે એમ તમને લાગે છે?

ચોક્કસ. ડિજિટલ જ ભવિષ્ય છે. ડિજિટલ અર્થતંત્ર મહામારી પછી ઝડપથી આગળ વધી રહ્યું છે. સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટ અને ભારતની મોટી ટેક કંપનીઓ આ જ વાત કરી રહ્યા છે. ભવિષ્યના અર્થતંત્રને ટેકારૂપ થવા ડિજિટલ માળખું તૈયાર કરવું, 5G માટે સહકાર સાધવો, એક્સેસને વધારવો. આ બધા ખરેખર ભારત અને અમેરિકા વચ્ચે સહકાર માટેના અગત્યના ક્ષેત્રો છે. આપણા બંનેની બજારો સપ્લાયર્સ અને ઉત્પાદકોને મોટું મેદાન આપી શકે છે.

સવાલ - તમે લાગે છે ખરું કે H1B, L1 વીઝા ડિસેમ્બર સુધી અટકાવી દેવાયા છે તેનાથી સિલિકોન વેલી પર અસર થશે?

અમેરિકાની ચેમ્બર ઑફ કોમર્સના સીઈઓ ટોમ ડોનાહ્યૂએ આ વિશે બહુ મક્કમપણે જણાવ્યું છે કે આ ખોટી દિશાનો નિર્ણય છે. હકીકતમાં તેનાથી અમેરિકાને, અમેરિકાની કંપનીઓ અને અમેરિકન કામદારોને જ નુકસાન થઈ રહ્યું છે. દાયકાઓથી વિદેશથી અમારી ભૂમિ પર આવેલા લોકોને કારણે અમને લાભ થયો છે. વધારે જીવન માટે ઇમિગ્રન્ટ તરીકે આવતા હોય કે વિદેશી વિદ્યાર્થીઓ ઊચ્ચ અભ્યાસ માટે આવતા હોય કે કામચલાઉ વર્ક વીઝા પર આવતા હોય - આ લોકોએ અમેરિકાના અર્થતંત્રને ઉપર લઈ જવામાં ખૂબ ફાળો આપ્યો છે. અમારી એન્ટ્રપ્રન્યોરની સ્પિરિટ અને નવીન શોધને તેનાથી ઉત્તેજન મળ્યું છે. દુનિયાના સૌથી કુશળ લોકો માટે અમેરિકાના દરવાજા બંધ થઈ જાય તેનાથી પ્રતિભા અહીં આવતી અટકશે અને બીજા દેશોને ફાયદો થશે.

સવાલ - ડોનાહ્યૂએ બે લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને અસર કરનારા નિર્ણયની પણ ટીકા કરીને કહ્યું હતું કે તેનાથી અમેરિકાના અર્થતંત્રને ધક્કો લાગશે. ટ્રમ્પ સરકારે શા માટે આવું કર્યું હતું?

શા માટે આવો નિર્ણય લેવાયો હતો તેના વિશે હું કહી શકીશ નહિ. રોગચાળો ફેલાયેલો હોય અને આર્થિક બાબતોની ચિંતા હોય અને આટલી બધી નોકરીઓ ગઈ હોય ત્યારે સંકુચિત રીતે વિચારવાનું મન થાય. પણ અમે કહીએ છીએ કે ખરેખર તે જ ખોટું છે. જોકે આવું શા માટે થાય છે તે સમજી શકાય છે અને ઘણા દેશોમાં થઈ રહ્યું છે. આપણે વધુ દેશો સાથે જોડાઇને કામ કરીએ ત્યારે વધારે સારું કામ થાય. અમારી બજાર, સ્રોતો અને પ્રતિભા વૈશ્વિક છે અને તેની સામે આડખીલી ઊભી કરીને સંકુચિત રીતે વિચારી શકાય નહિ.

સવાલ - આવતા અઠવાડિયે USIBC દ્વારા આઇડિયાઝ ઇન્ડિયા સમીટનું આયોજન ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, જયશંકર અને પોમ્પિઓ વચ્ચે થવાનું છે. તેમાં શું ચર્ચા થવાની શક્યતા છે?

આ વર્ષની થીમ છે વધુ સારા ભવિષ્યનું નિર્માણ. આજે એવા સંકટના સમયમાં આપણે છીએ, જ્યાં સ્ટેટસ ક્વો ચાલે તેમ નથી. આર્થિક કે ભૂભૌતિક જે ધોરણો હતા તે હવે ચાલે તેમ નથી. જીવન જીવવાની પદ્ધતિ બદલવી પડે તેમ છે. આ રીતે હલચલ મચેલી હોય ત્યારે આપણે નવા યુગના દરવાજે પણ ઊભા છીએ. એ આપણા હાથમાં છે કે નવો યુગ કેવો હસે. ધ આઇડિયાઝ સમીટમાં અમેરિકા અને ભારત કઈ રીતે ભવિષ્યના અર્થતંત્ર માટે સહકારથી કામ કરી શકે છે તે વિશેની ચર્ચા થશે. સલામતી માટે ભાગીદારી હોય કે વેપારના માર્ગોને મોકળા કરવાના હોય કે મૂલ્યો અને ધોરણો માટે વ્યૂહાત્મક સંબંધોની વાતો હોય તે સાથે જ નવા જમાનામાં એડજસ્ટમેન્ટ માટેની વાત હોય તે બધાને આવરી લેવાશે.

-સ્મિતા શર્મા

ABOUT THE AUTHOR

...view details