નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જી સી મુર્મુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેના બદલે હવે નવી જવાબદારી મળી છે. એક ખાનગી સમાચાર એજન્સી અનુસાર, ગિરીશચંદ્ર મુર્મુને ભારતના નવા નિયંત્રક અને ઓડિટર જનરલ (સીએજી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુર્મુ રાજીવ મહર્ષિની જગ્યાએ સીએજી ચીફ બનશે.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મુર્મુનું રાજીનામું એવા દિવસે પડ્યું છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાને ગઈ કાલે એક વર્ષ પૂર્ણ થયું છે.
કોણ છે જીસી મુર્મુ?
ગિરીશચંદ્ર મુર્મુ ગુજરાત કેડરના 60 વર્ષના પૂર્વ આઈપીએસ અધિકારી છે. ગત વર્ષ 29 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ એલજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 1985ની બેચના આઈએએસ અધિકારી મુર્મુના રાજીનામાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
ગિરીશચંદ્ર મુર્મુ મૂળ ઓડિશાના રહેવાસી છે. નવેમ્બર, 1959માં જન્મેલા મુર્મુએ રાજનીતિક વિજ્ઞાનમાં પરાસ્નાતક સાથે એમબીએ પણ કર્યું છે. મુર્મુને PM મોદીના નીકટના વિશ્વાસુ ગણવામાં આવે છે. ગુજરાતમાં મોદીના કાર્યકાળ દરમિયાન મુર્મુએ મહત્વની જવાબદારીઓ મળેલી હતી.
મહત્વનું છે કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે મુર્મુએ તે વખતે મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. મુર્મુ ઉપરાજ્યપાલના પદ પર નિયુક્તના સમયે નાણાં મંત્રાલયમાં સચિવ હતાં.